બર્મિંગહામઃ કેસ મેનેજર દ્વારા ચેરિટી પ્રોસિડિંગ્સની અરજીની ઘોર બેદરકારીપૂર્વક કરાયેલી કાર્યવાહી પર બર્મિંગહામ હાઈકોર્ટે ચેરિટી કમિશનને તેની ફેરસમીક્ષાનો આદેશ આપ્યો હતો. કેસ મેનેજરે ૭૫૬ પાનાની માહિતી અને પૂરાવાને ધ્યાને લીધા વિના અરજીને સુસંગત ન હોય તેવા ૩૩ પાનાના દસ્તાવેજના આધારે અરજી નકારી કાઢી હતી.
અરજદાર ઓંકાર થાન્ડીએ જણાવ્યું હતું કે ચેરિટી કમિશને સ્વીકારી ન શકાય તેવા સ્તરની સર્વિસ આપી છે. તેના લીધે ચેરિટી ફંડમાંથી ૧૨,૨૫૦ પાઉન્ડની ચોરીનો માર્ગ સરળ બન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તે હાઈકોર્ટમાં ન ગયા હોત તો ચેરિટીના ટ્રસ્ટીઓ તેમની કાયદેસરની ફરજોનો ભંગ કરીને છટકી ગયા હોત. કમિશન પાસે નિયંત્રકની કાર્યકુશળતામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને આ સમસ્યાને ઉકેલવા માટે બે મહિનાનો સમય છે.
લેસ્ટરમાં આવેલું ગુરુ નાનક શીખ ટેમ્પલ ‘લંગર’ (વિનામૂલ્યે ભોજન)ની સેવા માટે ફ્રી કિચન ચાલે છે. શીખ ઉપરાંત અન્ય જ્ઞાતિઓના જરૂરતમંદ અને ઘરવિહોણા લોકો તેનો લાભ લે છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે ટ્રસ્ટીઓએ મંદિરના કર્મચારી જોગીન્દર સિંઘ વિરુદ્ધની મૌખિક ફરિયાદો, ફરિયાદનો પત્ર, ઓનલાઈન પિટિશન, એક વીડિયો અને અખબારની ચાર જાહેરાતોને સહેજ પણ ધ્યાનમાં લીધી ન હતી. અન્ય ધર્મના લોકો સાથે તેનું વર્તન અયોગ્ય હતું અને તે તેમને લંગર આપવાનો ઈનકાર કરતો હતો.
ઓંકારે ટ્રસ્ટી દ્વારા થઈ રહેલો અન્યાય જાહેર કરતા અજમેર બસરા અને અમરીક ગિલ નામના બે ટ્રસ્ટીઓએ ઓંકારની ખોટી રીતે શીખ વિરોધી જૂથના સભ્ય તરીકે ઓળખ આપીને તેને બદનામ કર્યો હતો.
ઓંકારે જણાવ્યું હતું કે તેમણે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ૭૫૬ પાનાની અરજી કમિશનને મોકલી હતી. તે પછી ૧૭ નવેમ્બરે બદનક્ષીના અલગ દાવાની કમિશનને જાણ કરી હતી. પહેલી ડિસેમ્બરે તેમને ઈમેલ મળ્યો કે ૭૫૬ પાનાની અરજીની સમીક્ષામાં લાંબો સમય જશે. જોકે, તે પછી ૧૪મી ડિસેમ્બરે જ કેસ મેનેજરે મારી અરજી નકારી હોવાની જાણ કરી હતી
