શહીદોના નામે શરમજનક રાજકારણ

Tuesday 20th February 2018 15:38 EST
 

ભારતીય સૈન્ય તેની બેજોડ બહાદુરી અને શિસ્ત માટે જગવિખ્યાત છે. કારણ કે ગમે તેવા કટોકટીના સમયે પણ તેણે કોઇ પણ પ્રકારે બંધારણીય મર્યાદાઓ ઓળંગી નથી. એ તેના સ્વભાવમાં જ નથી. સરહદે લડતો સૈનિક દુશ્મનોની ગોળીઓ ઝીલતાં યાદ નથી કરતો કે, તેનો ધર્મ કયો છે? જાતિ કઇ છે? કયા પ્રદેશમાંથી આવે છે? કે તેની કઇ માતૃભાષા છે? ‘જય હિંદ’ના નારા સાથે તે મોતને વહોરે છે અને તિરંગામાં લપેટાઇને વતન આવે છે, પણ આ જ દેશના કેટલાક વરવી માનસિકતા ધરાવતા રાજકારણીઓ સૈન્યને કોમી રંગ ચઢાવવા મથે છે. મુઠ્ઠીભર મતોની લાલચમાં નેતાઓ શહીદોના નામે જ રાજકારણ થવા લાગશે. આતંકવાદને પોષતા પાકિસ્તાનને પાઠ ભણાવવા થયેલી સર્જીકલ સ્ટ્રાઇકની વાત હોય કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બીજા મુદ્દા, આ બધાને રાજકીય રંગ ચઢાવવામાં આવી રહ્યો છે. અફસોસજનક હોવા છતાં આ બધું ખુલ્લેઆમ થવા લાગ્યું છે.
ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસઉદ્દીન ઓવૈસીએ જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલામાં શહીદ જવાનો સંદર્ભે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું કે આ આતંકી હુમલામાં પાંચ મુસ્લિમ (જવાનો) પણ શહીદ થયા. તેમણે કહ્યું કે મુસલમાનોને પાકિસ્તાની સમજનારા લોકોએ આમાંથી બોધપાઠ લેવો જોઇએ. હંમેશા વિવાદાસ્પદ નિવેદનોથી સમાચારોમાં ચમકતા ઓવૈસી આવું બોલ્યાં ત્યારે એ ભૂલી ગયા કે મુસ્લિમોએ આ દેશ માટે કંઇ પહેલી વખત પોતાના જીવનનું બલિદાન નથી આપ્યું. સ્વાતંત્ર્ય વેળા ૩૨ વર્ષના અશફાક-ઉલ્લા-ખાનની શહાદતને લોકો આજે પણ યાદ કરે છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વેળા શહીદ થયેલા અબ્દુલ હમીદને તો તેમના શૌર્ય માટે પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. હજારો મુસ્લિમોએ હસતાં હસતાં માભોમની રક્ષા કાજે પોતાના જાનની બાજી લગાવી દેવામાં ગર્વની લાગણી અનુભવી છે. ઓવૈસી અને તેના જેવા નેતાઓ સૈનિકોની શહીદીને રાજકારણ સાથે જોડીને શું મેળવવા માંગે છે?
મુસ્લિમ સમુદાયના હમદર્દ બનવા હવાતિયા મારતા ઓવૈસીને કદાચ ખુદને ખબર નહીં હોય કે પોતે શું બોલે છે. ઓવૈસી જેવા નેતાઓએ સમજવું રહ્યું કે દેશના મુસલમાન પણ બીજા ધર્મના લોકોની જેમ આ દેશને પોતાનો સમજે છે. ઔવેસી જેવા નેતાઓ તેમને ભડકાવવાની કોશિષ તો કરે છે પરંતુ સફળ થતા નથી. જો સફળ થતા હોત તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિશાળ અને મુસ્લિમ બિરાદરોની નોંધપાત્ર વસ્તી ધરાવતા રાજ્યોમાં ઓવૈસીના પક્ષને સમ ખાવા પૂરતી એકાદ બેઠક પણ મળી ગઇ હોત. શહીદ જવાનોની કોમના મુદ્દે બેહૂદુ નિવેદન કરનાર ઓવૈસીએ ઇંડિયન આર્મીએ જડબાતોડ જવાબ આપતાં યોગ્ય જ કહ્યું છે કે અમારે ત્યાં શહીદોની કોમ જોવામાં આવતી નથી. શહીદનો કોઇ ધર્મ હોતો નથી. દેશ માટે જાન આપનારા લોકોને ધર્મ-સંપ્રદાયના ચશ્માથી જોવાનું ઓવૈસી જેવા નેતાઓનું વલણ તેમની હલ્કી માનસિક્તા દર્શાવે છે. આવા નેતાઓને ભારતીયોએ ભૂતકાળમાં પણ ગંભીરતાથી નથી લીધા અને ભવિષ્યમાં પણ નહીં જ લે તેમાં બેમત નથી.


comments powered by Disqus