જિનીવાઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)ની માનવાધિકાર પેનલે તાજેતરમાં દાવો કર્યો છે કે, ચીનની ગુપ્ત જેલોમાં આશરે ૧૦ લાખ ઉઇઘુર મુસ્લિમોને રાજકીય કેદી તરીકે ગોંધી રખાયાના પ્રમાણભૂત અહેવાલો પ્રાપ્ત થયા છે.
વંશીય ભેદભાવ નાબૂદી પરની યુએનની સમિતિના સભ્ય ગે મેકદૌગાલે જણાવ્યું હતું કે, ચીનના શિનજિયાંગ પ્રાંતમાં બ્રેઇનવોશ માટે કેદીઓને રાજકીય કેમ્પોમાં ધકેલી દેવાયાં છે. તેમણે ભારપૂર્વક દાવો કર્યો હતો કે અમને મળેલા આધારભૂત અહેવાલો પ્રમાણે, ચીને સામાજિક સ્થિરતા અને ધાર્મિક કટ્ટરવાદ સામેની લડાઈનાં નામે ઉઇઘુરના સ્વાયત્ત પ્રદેશને ગુપ્ત રીતે સામૂહિક ઇન્ટર્નશિપ કેમ્પમાં તબદીલ કરી દીધો છે.
મેકદૌગાલે વ્યથા વ્યક્ત કરી હતી કે, ફક્ત વંશીય ધાર્મિક ઓળખને કારણે ચીનમાં ઉઇઘુર મુસ્લિમો સાથે દુશ્મનો જેવો વ્યવહાર થઈ રહ્યો છે. વિદેશોમાંથી શિનજિયાંગ પ્રાંતમાં પરત ફરનારા સેંકડો ઉઇઘુર વિદ્યાર્થી લાપતા બન્યા છે. તેમાંના સંખ્યાબંધ ચીની જેલોમાં કેદ છે તો ઘણા ગુપ્ત જેલોમાં જ મોતને શરણ
થયા છે.

