લંડનઃ ગર્ભાધાનની સ્થિતિમાં પેરેસિટોમોલ લેનારી માતા જાણે અજાણે ગર્ભસ્થ બાળકીની ફર્ટિલિટીને નુકસાન પહોંચાડે છે. આ પેઈનકિલર ગર્ભસ્થ પુત્રીને જ નહીં, પણ પૌત્રીની ફર્ટિલિટીને પણ નુકસાન પહોંચાડે છે. વિજ્ઞાનીઓના અભ્યાસ આ દવાથી માનવીય ગર્ભાશયના ૪૦ ટકા ઈંડાને નુકશાન પહોંચતું હતું. આ જ પ્રભાવ ગર્ભવતીના ગર્ભાશય પર વર્તાય તો ગર્ભસ્થ બાળકી પણ ગર્ભમાં ઓછાં ઈંડા સાથે જન્મ લે છે. પરિણામે આવી બાળકીઓ માટે અગળ જતાં ગર્ભાધાન કરવાની શક્યતાના વર્ષ ઘટી જતા હોય છે અને મોનોપોઝ પણ જલદી આવે છે.
અલબત્ત, પેઇનકિલરથી ગર્ભસ્થ પુત્રને પણ નુકસાન થતું હોય છે, પરંતુ મહિલાઓમાં તો ઈંડાનો પુરવઠો મર્યાદિત જ હોય છે. જ્યારે પુત્રના કિસ્સામાં જીવનભર વીર્ય ઉત્પાદન થતું રહે છે. આમ તો વિશ્વભરમાં પેરાસિટામોલનો પેઇનકિલર તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે અને ગર્ભવતી મહિલા માટે તેને સલામત માનવામાં આવે છે.
અગાઉ થયેલા અભ્યાસોમાં પણ એવું જ તારણ નીકળ્યું હતું કે ઉંદરીને પેરાસિટામોલ આપતાં તેમના ગર્ભમાં પણ ઈંડાની સંખ્યા ઘટી જાય છે. ગર્ભાશયનું કદ ઘટી ગયું હતું અને બચ્ચાંની સંખ્યા પણ ઘટી જાય છે.
અત્યાર સુધી પેઇનકિલરની માનવ જાત પર થતી અસર વિશે ખાસ જાણકારી નહોતી, પરંતુ તાજેતરમાં પહેલી વાર થયેલા સંશોધન કહે છે કે માનવીય ભ્રૂણ પર પણ પેઇનકિલરની અસર પડતી હોય છે. તાજેતરના સંશોધનો મહિલાઓને ચેતવણી આપે છે કે અતિ આવશ્યક હોય ત્યારે જ પેરાસિટામોલનું સેવન કરવું જોઇએ.

