હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કવિ અને ગીતકાર ગોપાલદાસ ‘નીરજ’નું ૯૪ વર્ષની વયે ૧૯મી જુલાઈએ નિધન થયું હતું. નીરજ લાંબા સમયથી બીમાર હતા. ૧૭મી જુલાઈએ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આગ્રામાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા હતા અને ૧૯મીએ તેમણે અંતિમ શ્વાલ લીધો હતો. ‘શોખિયો મેં ઘોલા જાય, ફૂલોં કા શબાબ’, ‘લિખે જો ખત તુજે’, ‘એ ભાઈ જરા દેખકે’, ‘ખિલતે હૈ ગુલ યહાં’, ‘ફૂલોં કે રંગ સે’, ‘રંગીલા રે...’ અને ‘કારવાં ગુઝર ગયા’ સહિતનાં ફિલ્મી ગીતો તેમણે લખ્યાં હતાં. તેમને ૧૯૯૧માં પદ્મશ્રી અને ૨૦૦૭માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. ‘અપરાધ' ફિલ્મનું ‘બસ યહી અપરાધ મૈં હર બાર...' તેમજ ‘કારવાં ગુઝર ગયા’ ગીતથી તેમને મોટી ઓળખ મળી હતી. તેમના એક ડઝનથી પણ વધુ કવિતાસંગ્રહ પ્રકાશિત થયા છે. તેમનો જન્મ ચોથી જાન્યુઆરી ૧૯૨૪માં ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના પુરાવલી ગામમાં થયો હતો.

