વૃદ્ધોની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેઓ મૃત્યુ વિશે સતત ચિંતાતુર રહેવા લાગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉંમર વધતાં ઘરડાં લોકો એકલતા વધુ અનુભવતાં હોય છે, જેને પરિણામે તેઓ ડરપોક અને આક્રમક સ્વભાવના બની જતાં હોય છે. એકલવાયું જીવન જીવતાં કે એકલા રહેવાનું પસંદ કરનાર વૃદ્ધો ડરપોક અને આક્રમક હોય છે કે પછી એકલતા મગજને બદલી નાખે છે? આ સવાલનો જવાબ તાજેતરનાં સંશોધનના તારણ આપે છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલાંં એક નવાં અધ્યયનમાં એવું માલૂમ પડયું છે કે લાંબા સમયની એકલતા મગજમાં પેદા થતાં કેમિકલોનું બંધારણ બદલી નાખે છે, જેને પરિણામે વ્યક્તિમાં આક્રમકતા અને ભયની લાગણી પેદા થાય છે. એકલવાયું જીવન જીવતાં લોકોનું શરીર વધારે પ્રમાણમાં સ્ટ્રેસ હોર્મોન પેદા કરતું હોય છે, જે શારીરિક બંધારણ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે.
એકલતાના પગલે બીમારીમાં વધારો
અમેરિકામાં તો સામાજિક એકલતાનો રાફડો ફાટયો છે, જેને કારણે ફક્ત ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જ નહીં પરંતુ ગંભીર બીમારીઓના દરમાં ખાસ્સો વધારો થયો છે. સંશોધકોએ સૌથી પહેલાં તો આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો. અખતરામાં કેટલાક ઉંદરોને લાંબા સમય સુધી એકલા રાખવામાં આવ્યા અને તેના પર નજર રાખવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન એકલા રહેલા ઉંદરોનાં મગજમાં ભય સાથે સંબંધ ધરાવતાં બ્રેઇન પ્રોટીનમાં વધારો જોવો મળ્યો હતો.

