પ.પૂ, મહંતસ્વામીનું દિલ્હી વિચરણ

Wednesday 02nd May 2018 07:43 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામીએ ગુરુવાર તા.૨૬ એપ્રિલથી મંગળવાર તા.૧.૫.૧૮ સુધી દિલ્હીમાં વિચરણ કર્યું હતું.

તે દરમિયાન બાળદિન, યુવા દિન, સ્વયંસેવક દિન અને ભગવાનની તુલાવિધિના દિનની ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત એક દિવસીય સત્સંગ શિબિર પણ યોજાઈ હતી જેમાં દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં આવેલા હરિભક્તોએ ભાગ લીધો હતો. પૂ. મહંતસ્વામીએ સૌને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. તેમણે સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. આ અગાઉ સિમલામાં વિચરણ દરમિયાન પૂ. મહંત સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામીની પ્રેરણાથી નિર્માણ પામેલા નૂતન BAPS મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. તા.૧ મેને મંગળવારે પૂ. મહંત સ્વામીએ આંધ્રપ્રદેશના સિકંદરાબાદ જવા પ્રસ્થાન કર્યું હતું, જ્યાં તેઓ તા. ૬ મે સુધી વિચરણ કરશે.


comments powered by Disqus