બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદે મંગળવારે પોસ્ટ બ્રેક્ઝિટ ઈમિગ્રેશન પ્લાન જાહેર કર્યો હતો. થેરેસા મેએ જણાવ્યું હતું કે આ પ્લાનનો ઉદેશ ઈયુ નાગરિકો માટે યુકેમાં અવરજવરની સ્વતંત્રતાનો અંત લાવીને તમામ દેશોના નાગરિકોને સમાન તકો પૂરી પાડવાનો છે. જોકે, આ પ્લાનમાં લો સ્કીલ્ડ માઈગ્રેશનની સામે હાઈલી સ્કીલ્ડ માઈગ્રેશન પર વધુ ધ્યાન અપાશે, તેને લીધે નવા નિયમોથી ઘણાં ભારતીયોને લાભ થશે. વડા પ્રધાન મેએ ઉમેર્યું હતું કે ભાવિ એમ્પ્લોયર્સે હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સના પરિવારોને પણ સ્પોન્સર કરવાની જરૂર પડશે. જોકે, તે લાંબાગાળે મોટો અવરોધ બનશે.
સાજિદ જાવિદે ચેતવણી ઉચ્ચારી હતી કે નવા ઈમિગ્રન્ટે બ્રિટિશ મૂલ્યો મુજબ જીવવા માટે અને સારી રીતે સંકલિત થવા માટે કડક સિટિઝન ટેસ્ટનો સામનો કરવો પડશે. બિઝનેસ અગ્રણીઓએ નવી પોસ્ટ બ્રેક્ઝિટ ઈમિગ્રેશન સિસ્ટમ માટેની પોતાની યોજના જાહેર કર્યા પછી ‘ફરી જવાનો’ થેરેસા મે પર આરોપ મૂક્યો હતો.
આમ પણ હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ માટે હાલ ઘણી સમસ્યાઓ છે. HMRCમાં ટેક્સ રિટર્નમાં નાની રકમના તફાવતના આધારે તેમાંના ઘણાં લોકોના યુકેમાં સ્થાયી થવાના અધિકારને નકારી કાઢીને વિન્ડરશ જેવું વેરપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે. ઘણાં લોકો સામે કલમ ૩૨૨(૫) હેઠળ આરોપ મૂકાયા હતા. જે આ ઈમિગ્રન્ટ્સને ખોટી રીતે દેશ માટે ‘ગંભીર જોખમ’ ગણાવે છે. ઘણાં લોકોને NHSનો, લેટ અલોન રાઈટ ટુ વર્ક અથવા હોમ ઓફિસના નિર્ણયો સામે ‘ઈન કન્ટ્રી’ અપીલ કરવાનો અધિકાર નથી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ બાદ બ્રિટન ઝડપથી આગળ વધતું રાષ્ટ્ર બનશે. પરંતુ. ઈમિગ્રન્ટ્સની સંખ્યા પૂરતા પ્રમાણમાં ઘટે તેની તકેદારી રાખવાની સાથે દેશને વિશ્વ સ્તરે સ્પર્ધા માટે જે લોકોની જરૂર છે તેમને યુકે આકર્ષે તે મહત્ત્વનું છે.
દરમિયાન, હોમ ઓફિસના દ્વેષપૂર્ણ વલણ, અયોગ્ય રીતે વિઝા, અપીલ અને વર્ક રાઈટ્સનો ઈન્કાર જેવી બાબતોને લઈને હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ ગ્રૂપ દ્વારા તા.૧૦મી ઓક્ટોબરે હાઉસીસ ઓફ પાર્લામેન્ટ બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે.

