લંડનઃ બ્રિટનમાં વસતાં સેંકડો સ્કિલ્ડ ભારતીય કર્મીઓએ તેમની વિઝા અરજીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના કામ કરવાના અધિકાર યથાવત જાળવી રાખવાની માગણી કરી હતી.
ગૃહ મંત્રાલયે આ મહિનામાં વિદેશથી આવેલા ૧૦૦૦ જેટલા ડોકટર, વકીલ, એન્જિનીયર અને ઉદ્યોગ સાહસિકો કે જેઓ જનરલ વિઝાથી બ્રિટનમાં આવ્યા છે તેમના વિઝા અંગે સમીક્ષા કરવા આદેશ કર્યો હતો.
પાર્લામેન્ટમાં હોમ સેક્રેટરી સાજીદ જાવિદે જણાવ્યું હતું કે આ વિઝાની તેમની વર્તણુંક અંગે સમીક્ષા થશે. ભારતીય કુશળ કર્મીઓ વતી અદિતિ ભારદ્વાજે સરકાર સમક્ષ માગણી કરી હતી કે વિઝા ધારકોને સમીક્ષા પૂરી થાય ત્યાં સુધી આરોગ્ય સુવિધાઓ અને કામ કરવાના અધિકારો યથાવત રાખવા જોઈએ. આ વિદેશીઓ પૈકી મોટા ભાગના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા છે.

