લંડનઃ એક બાળકે તેની સ્કૂલમાં કરણ તરીકે જાણીતા ૧૩ વર્ષીય મિત્ર કરણબીર સિંઘ ચીમા પર ચીઝ ફેંકી હતી. આ ઘટનાના દસ દિવસ બાદ કરણનું મૃત્યુ થયું હતું. ચીઝ ફેંકનાર બાળકે પોપ્લર કોરોનર્સ કોર્ટ ખાતે ઈન્ક્વેસ્ટમાં જણાવ્યું હતું કે તેને ખબર ન હતી કે ચીઝને લીધે તેનું મોત થશે. તે બાળકે લગભગ એક ફૂટના અંતરેથી કરણ પર ચીઝ ફેંકી હતી.
હકીકતમાં કરણને ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હતી. વેસ્ટ લંડનના ગ્રીનફર્ડમાં આવેલી સ્કૂલમાં તેના પર ફેંકાયેલી ચીઝની સ્લાઈસનું કરણને ગંભીર રિએક્શન આવ્યું હતું. તેને ઘઉં, ગ્લૂટન, તમામ ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા અને નટ્સની ભારે એલર્જી હતી. તે અસ્થમા અને ઓટોપિક એક્ઝિમાનો દર્દી હતો. કરણ ભણવામાં ખૂબ હોંશિયાર હતો અને તે ભવિષ્યમાં જે કારકિર્દી પસંદ કરે તેમાં ખૂબ સફળ થાય તેમ હતો.

