હૈદરાબાદ અને ઉન્નાવ દુષ્કર્મ અને તે પછીની ઘટનાઓથી સમગ્ર દેશ ક્ષુબ્ધ છે. લોકમાનસમાં આક્રોશ છે. હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મના આરોપીઓને સાચા કે ખોટાં એન્કાઉન્ટરથી મોતને ઘાટ ઉતારી દેવાયા તેની પણ દેશભરમાં ચર્ચા અને પ્રતિચર્ચા થઈ રહી છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની સતત દુહાઈ કે ઉદાહરણો અપાતાં હોય ત્યારે દુષ્કર્મ કે બળાત્કારની ઘટનાઓ સમગ્ર સમાજ માટે લાંછન છે. આવી ઘટનાઓ માટે –ખુદ સ્ત્રી, અપરાધી પુરુષ, સમાજ, કાનૂન, ન્યાય કે સરકાર, કોને જવાબદાર ગણવા તે યક્ષપ્રશ્ન છે. કોઈ પણ અપરાધીનું એન્કાઉન્ટર થવું તે એકલદોકલ ઉપાય હોઈ શકે, લાંબા ગાળાનું નિરાકરણ નહિ.
હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ પછી તેને સળગાવી દેનારા ચાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું છે કે ન્યાય ક્યારેય પણ ત્વરિત થઈ શકે નહીં. ન્યાય જો બદલામાં તબદિલ થાય તો તે તેનું ચરિત્ર - સ્વરૂપ ગુમાવી દેશે. કહેવા માટે તો આ સારી વાત છે પરંતુ, વ્યક્તિ અને ખાસ કરીને નારીના સન્માનનું શું? જોકે, ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ચુકાદામાં લેવાતા સમય અંગે પુન: વિચાર કરવાની જરૂર છે. નિશ્ચિત સમયમાં તેનો ઉકેલ આવે તે અંગે વિચારવું પડશે. અનેક કાયદા છતાં, બળાત્કારો અટકાવી શકાતા નથી ત્યારે જનતાનો વિશ્વાસ ન્યાયપ્રક્રિયામાંથી ઉઠી રહ્યો છે. અદાલતમાં પણ એવાં હીણપતભર્યા પ્રશ્નો કરાય છે ત્યારે માનસિક બળાત્કાર થતો રહે છે. આવી ન્યાયપ્રક્રિયા બદલવાની આવશ્યકતા છે.
અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને તો બળાત્કારના અપરાધીનું મોબ લિન્ચિંગ (ટોળાન્યાય) કરવા સુધીની માગણી કરી છે. દેશમાં અનેક જગ્યાએથી આવો અવાજ ઊઠી રહ્યો છે. પરંતુ, સભ્ય સમાજ માટે બળાત્કાર ખરાબ કહેવાય તેમ કોઈ પણ પ્રકારનું મોબ લિન્ચિંગ પણ ખરાબ જ ગણાય. આપણે ટોળાંશાહીના હાથમાં ન્યાય સોંપી ન શકીએ. આમ છતાં, આવી માગણી એટલા માટે ઉઠી છે કે લોકોને અન્ય ત્વરિત ઉપાય દેખાતો નથી. દેશમાં ફાંસીની સજાનો ચુકાદો અપાયા પછી પણ દોષિતોને ફાંસીના માંચડા સુધી પહોંચાડી શકાયા નથી. છેલ્લે ઓગસ્ટ ૨૦૦૪માં બળાત્કાર અને હત્યાના આરોપી ધનંજય ચેટર્જીને ફાંસી અપાયા પછી ૧૫ વર્ષમાં કોઈને ફાંસી અપાઈ નથી. અપરાધીઓને ફાંસીનો ભય રહ્યો નથી કારણ કે લાંબી કાનૂની પ્રક્રિયાનો લાભ લઈ તેમાંથી બચી શકાય છે, છટકી જવાય છે. વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે. હવે તો બૌદ્ધિકો દ્વારા અપરાધીના માનવાધિકારને આગળ ધરી દેવાય છે. જો માનવાધિકારની વાત હોય તો પીડિતો અને તેમના પરિવારના અધિકારોનું શુ?
હકીકતો તરફ ધ્યાન આપીએ તો નાનપણથી જ બાળકીઓને કુટુંબ કે બહારના વડીલો તરફથી શારીરિક ત્રાસ અથવા લૈંગિક હિંસાનો સામનો કરવો પડે છે. કૌટુંબિક યૌનહિંસા તો બહાર પણ આવતી નથી. આ સમય બાદ બોયફ્રેન્ડ અથવા પતિના હાથે યૌનહિંસા આચરાતી હોય છે. આમાંથી બચી હોય તેવી મહિલાઓ પર સામૂહિક બળાત્કારનો ખતરો તો ઉભો જ રહે છે. દુનિયાના કોઈ પણ સ્થળે પરિસ્થિતિ એકસમાન જ છે. દુનિયામાં કોઈ પણ જગ્યા મહિલા માટે સુરક્ષિત નથી. આજે પોલીસ દળની ત્વરિત કામગીરીને બિરદાવાય છે ત્યારે આ જ પોલીસ વહુ-દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. સુરક્ષાના સ્થાને અને નામે સ્ત્રીઓ પર વધુ નિયંત્રણો લાદવામાં આવે તે યોગ્ય નથી. સ્ત્રીઓએ આવાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ કે વધુ ફેશનેબલ ન દેખાવું જોઈએ તેવી દલીલો કર્યાં વિના તેમને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું ન પડે તેના તરફ ધ્યાન અપાવું જોઈએ. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની હાલત ‘સેકન્ડ ક્લાસ સિટિઝન’ જેવી જ રહી છે. કાળી પટ્ટીઓ બાંધી પ્રદર્શન, સૂત્રોચ્ચારો રાત્રે મીણબત્તીઓ લઈ અંજલિઓ આપવી, સંસદમાં કે ચોરેચૌટે ચર્ચાઓ કરવાથી દિ’ વળવાનો નથી. નિર્ભયાકેસ પછીના લોકજુવાળનું શું થયું તે આપણે જાણીએ છીએ.
કોઈ પણ સભ્ય અને સંસ્કૃત સમાજમાં નારી સન્માન અતિ મહત્ત્વપૂર્ણ છે. આથી જ લખાયું છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’ શું વર્તમાન ભારતીય સમાજ માટે આપણે આ ખોંખારીને કહી શકીએ તેમ છીએ? કોઈ પણ મુક્ત સમાજ અથવા સુશાસન સ્ત્રીઓ પરના બળાત્કાર કે હિંસાને અટકાવી શકાતા નથી. આખરે તો બળાત્કારીઓ સમાજની માનસિકતામાંથી પેદા થાય છે. આવી માનસિકતા અટકાવવા સમાજે જ સ્વનિયંત્રણો લાદવા પડશે. કોઈ પણ સમાજનું નાનું એકમ વ્યક્તિ છે અને તેના પછી ઘર-કુટુંબ આવે છે. જો ઘરમાંથી જ સંતાનોને યોગ્ય શિક્ષણ આપવા કે ઘડતરની તકેદારી લેવાશે તો દરેક વ્યક્તિ પ્રત્યે સન્માનની ભાવના જાગ્રત થઈ શકશે. અન્યથા તો ‘બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ, હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે ગુલિસ્તાં ક્યા હોગા?’