BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈમાં દાદર ખાતે બિરાજમાન છે. તે અગાઉ તેઓ વાશીમાં હતા. ૩જી ડિસેમ્બરને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ ભગવાનના ભક્તની મન, કર્મ અને વચને સેવા કરવી એ સાર આવ્યો અને તો ભગવાન રાજી.’ ૪થીએ નવી મુંબઈમાં નેરુલ ખાતે ડી. વાય પાટીલ સ્ટેડિયમમાં પ.પૂ. પ્રમુખ સ્વામીના ૯૮મા જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી પધારેલા અંદાજે ૭૫૦ સંતો-મહંતો ઉપરાંત ૬૦,૦૦૦થી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ૩,૦૦૦થી વધુ બાળકો-યુવકોએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદોની વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. વીડિયો શો પણ રજૂ કરાયો હતો.
અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા દેશના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહે પૂ. પ્રમુખ સ્વામી સાથેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું,‘ પૂ. પ્રમુખ સ્વામી એક વૈશ્વિક મહાપુરુષ હતા. તેમના સાનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો. તેઓશ્રીનું કાર્ય આજે પૂ. મહંત સ્વામી કરી રહ્યા છે.’ વરિષ્ઠ સંતોએ પણ પૂ. પ્રમુખ સ્વામી સાથેના પ્રેરક અનુભવો રજૂ કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું’ આ પ્રમુખસ્વામીનો જીવનમંત્ર હતો. તેમના મનમાં ૨૪ કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. અંતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો- મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારી ત્યારે સ્ટેડિયમમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. લાખો લોકો જીવંત પ્રસારણના માધ્યમથી મહોત્સવમાં સહભાગી થયા હતા. ૩૫ વિભાગોમાં ૧૦,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ૫મીએ પૂ.મહંત સ્વામી દાદર પધાર્યા હતા. ૭મીએ તારીખ પ્રમાણે પૂ. પ્રમુખ સ્વામીનો જન્મદિવસ હતો. પૂજા દર્શન બાદ આશીર્વાદમાં પૂ.મહંત સ્વામીએ કહ્યું,‘ જે મહારાજે કરાવવું છે તે જ આપણે કરવાનું છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા તેનો એક જ હેતુ - બધાને બ્રહ્મસ્વરૂપ એકાંતિક કરવા છે.’ વર્ષો અગાઉ ૯મી ડિસેમ્બરે પૂ. યોગીબાપાએ મહેળાવમાં પ્રાર્થના કરી હતી. ૯મીએ સવારે પૂ. મહંત સ્વામીએ યોગી ગીતાનું વાંચન -નિરુપણ કર્યું હતું. આશીર્વાદમાં તેમણે કહ્યુ,‘હઠ, મન અને ઈર્ષ્યા એ જ બધું બગાડે છે.’