વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં વચગાળાની ચૂંટણીની ધમાધમ ચરમસીમાએ છે, હોંગકોંગમાં લોકશાહીના જતનના મામલે હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ભારતમાં સ્ત્રીઓ પર વધી રહેલા જાતીય દુરાચારના મામલે તીવ્ર આક્રોશ પ્રવર્તે છે તો દુનિયાના અન્ય દેશોમાં પણ જાતભાતના પ્રશ્ને ખેંચતાણ - અસંતોષ - અશાંતિ પ્રવર્તી રહ્યા છે. પરંતુ ચાલો... આજે આપણે આ બધાથી દૂર જઇને, અલિપ્ત થઇને શ્રદ્ધા-અધ્યાત્મના મુદ્દે મનોમંથન કરીએ. આ સાથે રજૂ કરેલો લેખ આપણા Asian Voiceના અમદાવાદ કાર્યલયના એક સમયના સાથીદાર અને હવે કેનેડા જઇ વસેલા મિતુલબહેને અંગ્રેજીમાં તેમની સાપ્તાહિક કોલમમાં આ સપ્તાહના એશિયન વોઇસમાં લખ્યો છે.
આસ્તિક-નાસ્તિક વચ્ચે ભલે જે કંઇ પણ વિટંબણા હોય, પરંતુ સદભાગ્યે તે ભારતીય - સવિશેષ હિન્દુ અને જૈન ધર્મ - પ્રણાલિમાં તેના વરવા સ્વરૂપમાં જોવામાં આવતી નથી.
સનાતન સંસ્કૃતિનો હરહંમેશ એક જ સંદેશ રહ્યો છેઃ સત્ય એક, નામ અનેક. આ રીતે આવા નાજુક પ્રશ્ને વધુ સહિષ્ણુતા અને સમજદારી ભારતીય સંસ્કૃતિમાં - અને મને કહેવા દો કે આજના ભારતમાં પણ - જોઇ શકાય છે. વાચક મિત્રો, આપને મુનિશ્રી ચિત્રભાનુજીની અમર રચના ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ યાદ હશે જ. આ રચનાની એક પંક્તિમાં શબ્દ આવે છેઃ ધર્મભાવના. સાચે જ પાંચ અક્ષરના આ શબ્દમાં આપણી સંસ્કૃતિનો અર્ક સમાયેલો છે. આ જ પ્રમાણે, સ્વામીશ્રી કૃપાલાનંદજીની એક અમર કૃતિ ‘શ્રદ્ધા નથી હૃદયમાં, સાધન કરે છે શાને..?’ પણ આ જ વાત કરે છેને?! આજના વિશ્વમાં, ભૌતિકવાદ પ્રબળ બન્યો હોવા છતાં, ‘મારો ધર્મ જ શ્રેષ્ઠ અને બીજા બધા નકામા’ તે માનસિક્તા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અને સમાજ-સમાજ વચ્ચેના સંબંધોમાં વિષ સીંચી રહી છે. કેટલાય સમાજમાં ઓનર કિલીંગ અને તેના જેવા અત્યંત બિહામણા અને કદરૂપા સ્વરૂપો જોવા રહ્યા છે, પરંતુ હિન્દુ ધર્મમાં આવી જડતા, કટ્ટરતા લગભગ નહીંવત્ છે.
બહેન મિતુલ ચારેક વર્ષથી ગુજરાત સમાચાર - Asian Voice સાથે જોડાયેલી છે. મારા સદ્ભાગ્યે આવી કેટલીય માનસપુત્રીઓ કે તેના સરખા ભાઇભાંડુઓ કાર્યાલયમાં કે અન્ય રીતે સાથસહયોગ આપી રહ્યા છે. મિતુલ જેવી જ મૂંઝવણ આપણા સમાજના - સવિશેષ તો યુવા પેઢીના - અસંખ્ય સંતાનો અનુભવી રહ્યા હશે તેમ માનવું લગારેય અઘટિત નથી. થોડીક આપણી સહિષ્ણુતા - સમજદારી અને થોડીક તેમની સહિષ્ણુતા - સમજદારી. મિતુલે તેના લેખમાં લખ્યું જ છે તેમ મેં ક્યારેય એક ફાધર ફિગર તરીકે તેના પર મારી ધર્મ સંબંધિત માન્યતા થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો નથી. હું ભલે પરમકૃપાળુ પરમાત્મામાં અખૂટ આસ્થા ધરાવતો હોઉં, પરંતુ આ જ પરમાત્મા પ્રત્યેના મિતુલના આગવા દૃષ્ટિકોણને અપનાવવામાં પણ મેં લગારેય ખચકાટ અનુભવ્યો નથી. આ જ તો આપણો સંસ્કાર-વારસો છેને?! સર્વધર્મ સમભાવ. આ સૂત્રમાં ટાંકેલા ‘ધર્મ’ શબ્દને તેના શાબ્દિક અર્થમાં, સંકુચિત દૃષ્ટિકોણમાં મૂલવવાના બદલે - માન્યતા, વિચાર, વિચારસરણી, મૂલ્યો જેવા વ્યાપક સ્વરૂપે મૂલવશો તો સમજાશે કે સનાતન હિન્દુ ધર્મનું આ સૂત્ર ટૂંકુ ને ટચ હોવા છતાં કેટલું શક્તિસભર છે.
વાચક મિત્રો, ધર્મ-શ્રદ્ધાની વાતો ચાલી રહી છે ત્યારે ઘરઆંગણે, આપણા બ્રિટનની એક હકીકત પ્રત્યે અંગૂલી નિર્દેશ કરવાની રજા લઉં છું. બ્રિટનમાં આપણા હિન્દુ ધર્મના એક સંપ્રદાયના ડઝનથી વધુ અલગ - અલગ ઘટકો - જૈનોમાં જેને ફિરકા કહે છે તે - જોવા મળે છે. તેમના સર્વોચ્ચ અને સર્વસ્વીકાર્ય ‘ભગવાન’ એક જ છે, પરંતુ અલગ અલગ ગુરુઓ પ્રત્યેની આસ્થાના કારણે, કેટલીક આગવી માન્યતા સહિતના વિવિધ ઘટકો હોવા છતાં આમ જીવનમાં કોઇ અસહ્ય પરિસ્થિતિ, સામાન્યપણે, સર્જાતી નથી. કારણ? આપણો સંસ્કાર વારસો. વૈવિધ્યમાં એકતા આપણું પરમ તત્વ છે. (ક્રમશઃ)
•••
નાસ્તિકની મહામૂંઝવણઃ આસ્થાની ખોજ
- મિતુલ પનીકર
પ્રિય વાચકમિત્રો,
મારી લેખમાળાને સારો આવકાર સાંપડી રહ્યો છે તે સારી વાત છે. આ લેખમાળાના વિષય તેમજ રાજકારણ, કામકાજ સહિતના મુદ્દે સીબી પટેલ સાથે મારી વાતચીત-ચર્ચા થતી રહે છે. ઘણી વખત વાતોમાં કોઈ વિષય પણ નથી હોતો. સીબી વિદ્વાન શબ્દપુરુષ છે અને હું આ ક્ષેત્રમાં ઉત્સાહી હોવાં છતાં,
નવીસવી છું. વિશ્વમાં બે વર્ગ મુખ્ય છે- આસ્તિક અને નાસ્તિક. આસ્થા કે ધર્મ વિશે લખવું કે બોલવું અતિ મુશ્કેલ છે.
ABPL સાથે મારો નાતો ૨૦૧૫થી બંધાયો છે. આ ચાર વર્ષમાં સીબી અને મારાં સાથીઓએ મને વિકસતી નિહાળી છે. હું મોટા ભાગના વિષયોમાં તેઓ સાથે સહમત થતી રહું છું પરંતુ, એક વિષય એવો છે જેમાં મેં મજબૂત મૌન જાળવ્યું છે. આ વિષય છે આસ્થાનો. મારાં ઈશ્વર કોણ છે? સૌપહેલા ૨૦૧૫માં સીબી સાથે ટેલિફોન પર વાત થઈ ત્યારે તેમણે મને હું કોનામાં માનું છું તેવો પ્રશ્ન કર્યો હતો. હું કેથોલિકમાં શિક્ષિત મલયાલી હિન્દુ છું, જેનો ઉછેર ગુજરાતમાં થયો છે. હું તો બધા પ્રકારના ઈશ્વરને માનું છું અથવા તો કોઈને પણ નહિ. મેં કહ્યું કે હું કોઈની પૂજા કરતી નથી. મારાં ઉત્તરનું માન રાખતા સીબીએ વિષય બદલી નાખ્યો.અમારી સાપ્તાહિક ચર્ચા દરમિયાન અમે વિવિધ વિષયો પર વાતો કરી. મેં કેનેડામાં મારાં અનુભવો જણાવ્યાં અને એક પ્રેમાળ પિતાની જેમ તેમણે કેટલાંક સૂચનો પણ કર્યા. વિષયાંતર થતું રહ્યું અને સીબીએ તેમની પ્રિય પ્રાર્થના ‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે’નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું તેમને જીવન વિશે કોઈ જ ચિંતા નથી. આખરે તો ભગવાન શિવજી સાથે તેમનો કરાર થયો છે અને તેમનું જીવન શિવજી હસ્તક છે. આ પછી, વાતચીતનો અંત આવ્યો પરંતુ, તેમણે મને વિચારતી કરી મૂકી છે. મેં મારું જીવન કોને સોંપ્યું છે? મારો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો છે. ઘણી નાની વયે મેં માતાને ગુમાવી હતી. પરિવારની ચર્ચામાં ધર્મની કદી વાત આવી જ ન હતી.
આનું કારણ એ છે કે અમે નાસ્તિકો અને આસ્તિકો, પરસ્પરની લાગણીઓનો આદર કરતા સાથે જ રહેતા હતા. મારી માતા ધાર્મિક વ્યક્તિ હતી. આમ છતાં, તેમણે મંદિરની તેમની સાપ્તાહિક મુલાકાતોમાં સાથે આવવાં મને કે મારાં ભાઈને કદી ફરજ પાડી હોવાનું મને યાદ નથી. ધર્મની બાબત આવે ત્યારે તેઓ વણબોલી મર્યાદા-સરહદને આદર આપતાં હતાં. આ મર્યાદા ખુદ તેમણે જ બાંધી લીધી હતી.
પુનરાવલોકન કરું તો, પસંદગી તેમણે મારાં પર છોડી હતી. ઈશ્વર છે, ઈશ્વર નથી. સીબી સાથે વાત થયા પછી મેં ભારતમાં મારા ભાઈને ફોન કર્યો. આ કેવું વિચિત્ર છે કે આટલાં વર્ષો સાથે ઉછર્યાં પછી પણ તે સર્વેશ્વર પરમાત્મામાં માને છે કે નહિ તેની મને ખબર જ નથી. મારાથી ચાર વર્ષ નાનો મારો ભાઈ તેની ઉંમરની સરખામણીએ ઘણો પરિપક્વ છે. ૧૪ વર્ષની વયે પેરન્ટ ગુમાવીએ ત્યારે આમ જ થાય છે.
મેં તેને પ્રશ્ન કર્યો કે શું તેઓ આસ્તિક છે. થોડું અટકી તેણે ઉત્તર વાળ્યો કે,‘સાચું કહું તો હું હજું જાણતો નથી.’ હવે મેં જરા અલગ રીતે પ્રશ્ન કર્યો કે,‘શું તું ઈશ્વરમાં માનવા ઈચ્છે છે?’ આ વખતે તેમણે ઉત્તર વાળ્યો કે, ‘હા, ચોક્કસ,’ આગળ ખણખોદ ન કરવી તેની મને ખબર હતી. આમ છતાં, તેના ઉત્તરથી મને સંતોષ થયો નહિ. મને વિચાર આવ્યો, શું હું ઈશ્વરમાં માનવા ઈચ્છું છું. મારી સામે આવેલી કોઈ પણ મુશ્કેલી- સમસ્યામાં મેં તર્કસંગત લાભ અને ગેરલાભ, કારણો, પરિણામો વિચાર્યાં છે. હું બીજું કશું જાણતી નથી. આકાશી વાદળામાં છુપાયેલી ‘વ્યક્તિ’નું સ્મરણ કરવાનું કદી યાદ રહ્યું નથી. હું જ્યારે પણ કોઈ સીમાચિહ્ન વટાવતી ત્યારે હું તેનાં વિશે વિશ્લેષણ કરતી. જો દુઃખ મારું હોય તો આનંદ-ખુશી પણ મારાં જ હોય ને.
જોવાંની વાત તો એ છે કે હું ખૂબ ધાર્મિક ગુજરાતીને પરણી છું. તે દરરોજ સવારે પ્રાર્થના કરે છે. તે હિન્દુ પંચાંગ એવી રીતે જુએ છે જાણે તેના જીવનનો આધાર તેના પર જ હોય. વાસ્તવમાં અમારી સમગ્ર વિઝાપ્રક્રિયા દરમિયાન તે ભગવાનનું ચિત્ર સાથે રાખતા હતા. મને જરા પણ આશ્ચર્ય નથી. મારી માતા અને સીબીની માફક મારાં પતિએ પણ તેમની સાથે આમાં જોડાવા કહ્યું નથી કે ધર્મ, આસ્થાના લાભનો ઉપદેશ કદી આપ્યો નથી. મારી વાત કરું તો, હું તેમની માન્યતાઓને સપોર્ટ કરું છું અને તેમની રીતભાત પર કોઈ ટીપ્પણ નહિ કરવાનું પણ જાણું છું.
મારાં પ્રશ્નોનો કદી ઉત્તર મળશે તેમ હું માનતી નથી. કદાચ ઈશ્વરનું ધ્યાન મારી તરફ ગયું નથી. શું મારામાં આસ્થા-શ્રદ્ધા છે? હું હકારમાં જવાબ આપવાં ઈચ્છીશ. પરંતુ, મારી આસ્થા કોનામાં છે? મને જરા પણ ખબર નથી.
•••