ચિન્મય મિશન વર્લ્ડવાઈડના મુખ્યા સ્વામી સ્વરૂપાનંદ યુકેની મુલાકાતે

Wednesday 11th September 2019 06:23 EDT
 
 

ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદ ‘અવેકન ધ અવતાર વિધિન’ વિષય પર ઈંગ્લિશમાં પ્રવચન માટે યુકેની મુલાકાતે આવી રહ્યા છે. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા સ્વામી સ્વરૂપાનંદ નાના હતા ત્યારે પિતાના બુકશેલ્ફમાંથી તેમણે 'શ્રીમદ ભગવત ગીતા' વિષે પૂ. ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદે કરેલો અનુવાદ અને ભાષ્ય પ્રકાશન વાંચ્યું હતું. તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. બાદમાં તેઓ ચિન્મય મિશન હોંગકોંગમાં યુવા કેન્દ્રના સક્રિય સભ્ય બન્યા હતા.

તેઓ પુખ્ત વયના થયા ત્યારે પૂ.ગુરુદેવથી તેમજ વેદાંતના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. તેમણે પરિવારનો વેપાર છોડીને ૧૯૮૪માં મુંબઈના સાંદિપની સાધનાલય આશ્રમમાં પૂ.ગુરુદેવ અને પૂ.ગુરુજી તેજોમયાનંદના શિષ્ય બનીને વેદાંતનો અભ્યાસ શરુ કર્યો હતો. ત્યારબાદ તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપીને હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમણે ફાર ઈસ્ટમાં નવા મિશન સેન્ટરો શરુ કરવાની કામગીરી સંભાળી હતી. ૧૯૯૨માં શિવરાત્રીના પવિત્ર દિવસે ગુરુજી તેજોમયાનંદજીએ મઠની પરંપરામાં તેમનો સ્વામી સ્વરૂપાનંદ તરીકે સમાવેશ કર્યો હતો.

જ્ઞાન યજ્ઞોમાં અધ્યક્ષ પદ સંભાળવા ઉપરાંત સ્વામીજીએ ઈક ઓમકાર, સંકટ મોચન અને મહા મૃત્યુંજય મંત્રની સમીક્ષા લખી છે. તેમણે આધ્યાત્મિક તેમજ આધુનિક પુરુષો અને મહિલાઓ માટે જીવનશૈલીના વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.

કાર્યક્રમમાં પધારવા સૌને જાહેર આમંત્રણ:

ચિન્મય મિશન યુકે દ્વારા સ્વામી સ્વરૂપાનંદ દ્વારા ભગવદ ગીતાના ચોથા અધ્યાય પર આધારિત ‘અવેકન ધ અવતાર વિધિન’ વિષય પર ઈંગ્લિશમાં છ સાંધ્ય પ્રવચનનું તા.૨૧ અને ૨૨ સાંજે ૬.૩૦થી ૮ અને તા.૨૩થી ૨૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે આયોજન કરાયું છે. આપણે ભગવાનના અવતારને કેવી રીતે સમજી શકીએ ? આપણી જાતમાં રહેલા અવતારને કેવી રીતે જાગૃત કરી શકીએ તે વિશે સ્વામી સ્વરૂપાનંદ માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં પ્રવેશ મફત છે. પ્રવચનનો લાભ લેવા સૌને આમંત્રણ છે. વધુ માહિતી માટે સંપર્ક - WWW.CHINMAYAUK.ORG


comments powered by Disqus