BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે. તેઓ ૬ઠ્ઠી સપ્ટેમ્બરે જહોનિસબર્ગ પધાર્યા હતા. તે અગાઉ ૩જીએ કમ્પાલામાં તેમની નિશ્રામાં સંપદિનની ઉજવણી થઈ હતી. તેમાં સંપનું મહત્ત્વ સમજાવાયું હતું. સંપ ન હોય તો પરિવારમાં કેટલા પ્રશ્રો ઉભા થાય તે દર્શાવતો સંવાદ રજૂ થયો હતો. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ બીજા પાસે સંપની આશા ન રાખવી. મારે સંપ રાખવો છે એ નક્કી કરવું’. ૪થીએ પૂ. મહંત સ્વામીએ યુગાન્ડાના વડા પ્રધાન રુહાકાના રુગાન્ડાની સૌજન્ય મુલાકાત લીધી હતી. ૫મીએ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દશાબ્દિ દિન ઉજવાયો હતો. પૂ. પ્રમુખ સ્વામી સાચા સંત હતા તે સંવાદ દ્વારા દર્શાવાયું હતું. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આકાશનો પાર આવે તેમ નથી તેમ આ પ્રાપ્તિનો પણ પાર આવે તેમ નથી. સમય બગાડવો નહીં. સત્સંગ પ્રધાન રાખવો. સત્સંગમાં બધું જ આવી જાય છે.’ ૬ઠ્ઠીએ જહોનિસબર્ગ પધારેલા પૂ. મહંત સ્વામીનું બાળકોએ વૈદિક મંત્રોના ગાન સાથે સ્વાગત કર્યું હતું. ૮મીએ સ્વાગત દિન તેમજ બાળદિનની ઉજવણી થઈ હતી. સવારની સભામાં કિર્તનો રજૂ થયા તેમાં બાળકોએ પણ કિર્તનો ગાયા હતા. વર્ષો અગાઉ પૂ. ભગતજી મહારાજનું જૂનાગઢમાં ભવ્ય સન્માન થયું તે પ્રસંગના અંશો તેમજ તેને અનુરૂપ કિર્તનો રજૂ થયા હતા. સાંજે સાઉથ આફ્રિકાના ગૌટેંગના પ્રિમિયર ડેવિડ મખુરા પૂ. મહંત સ્વામીની મુલાકાતે આવ્યા હતા. તેમણે સાઉથ આફ્રિકામાં બીએપીએસનું શિખરબદ્ધ મંદિર બની રહ્યું છે ત્યારે તેમાં સ્વયંસેવક તરીકે યોગદાન આપવાની ભાવના વ્યક્ત કરી હતી. બન્ને વચ્ચે સારો વાર્તાલાપ થયો હતો. ત્યારબાદ બન્ને સભામાં પધાર્યા હતા. ૧૯૬૦માં પૂ. યોગીબાપાને પરમીટ ન મળવાને લીધે હરિભક્તોએ ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાની બોર્ડર વચ્ચેના No man's landમાં પૂ. યોગીબાપાની પધરામણી કરાવી હતી. તે પ્રસંગને બાળકોએ સંવાદ રૂપે ભજવ્યો હતો. ૯મીએ જળઝીલણી એકાદશી ઉત્સવ નિમિત્તે પૂ. મહંત સ્વામીએ ઠાકોરજીને જળ ઝીલાવ્યું હતું. સાંજે કિર્તન આરાધના યોજાઈ હતી.