રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચેના પ્રેમની ખબર હવાની ઝડપે ફેલાઈ ગઈ છે. આ પ્રેમી પંખીડા હવે રજા માણવા એકબીજાના સંગાથે રહેવા ઇટાલીના લેક કોમો સિટી જવાના છે. બોલિવૂડમાં એવી ચર્ચા પણ છે કે તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા છે. જોકે પહેલા એવી વાત આવી હતી કે, રણબીરે આલિયાના જન્મદિને તેને આ વેકેશનની ગિફ્ટ આપી હતી, પરંતુ હવે લોકોને આ ટાણે દીપિકા અને રણવીરના લગ્ન યાદ આવી રહ્યા છે. આ યુગલે પણ ઇટાલીના લેક કોમો સિટિમાં લગ્ન કર્યાં હતાં. તેથી લોકોમાં ગુસપુસ શરૂ થઇ ગઇ છે કે, રણાલિયા લગ્નની તૈયારી માટે ઈટાલી જઇ રહ્યાં છે. બીજી તરફ રણબીરનો પિતા રિશી કપૂર બે મહિનામાં કેન્સરની સારવાર કરાવી મુંબઇ પાછો ફરી રહ્યો છે. તેથી એ પછી રણબીર-આલિયાના લગ્ન થાય તેવી શક્યતા છે. બંને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ બાદ લગ્ન કરે તેવી શક્યતા છે.

