તાજેતરમાં કેર એજ્યુકેશન ટ્રસ્ટે એની ૨૦ મી સફળ જન્મ જયંતિની ઉજવણી પોટર્સબાર ખાતે ઓશવાળ સેન્ટરમાં કરી હતી. જેમાં ૫૦૦ જેટલા ટેકેદારો, દાતાઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ૨૦ વર્ષ દરમિયાન કેટલાં નાણાં એકત્ર થયા અને એ ક્યાં, કેવી રીતે ખર્ચાયા તેની માહિતી પૂરી પડાઇ હતી. ભાવિ યોજનાની વિગતો પણ જાહેર કરાઇ હતી. આ પ્રસંગે ટ્રસ્ટીઓ નીતીનભાઇ શાહ અને ભરતભાઇ સોલંકી સાથે પ્રશ્નોત્તરી થઇ હતી.
૧૯૯૮માં કેર એજ્યુકેશનના પ્રથમ પ્રોજેક્ટનો શુભારંભ ગુજરાતના ભૂજ ખાતેના નવજીવન અંધજન મંડળ, ડિસેબિલિટી સેન્ટરના લાભાર્થે થયો હતો. સેવાભાવી મહાનુભાવો આ ચેરિટીનું સંચાલન કરતા હોવાથી કોઇપણ ખર્ચ ઉમેર્યા વિના દાતાઓના ૧૦૦% નાણાં ગરીબ અને સુવિધાથી વંચિત બાળકોના શિક્ષણ પાછળ ખર્ચાય છે.
આજસુધીમાં પાંચ દેશો (ભારત, નેપાળ, કેન્યા, અને યુગાન્ડા)માં ૨૨ પ્રોજેક્ટો હાથ ધરાયા હતા અને ૩,૦૦૦,૦૦૦ પાઉન્ડ જેટલું ભંડોળ એકત્ર કરાઇ ૧૦,૦૦૦ બાળકોના હિતાર્થે ખર્ચાયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૮માં હિમાલયની ખીણમાં મનાલી ખાતે ૩૫૦ વિદ્યાર્થીઓ માટેની શાળાનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમાં કેટલાક તો ૧૦ દિવસનું ટ્રેકીંગ કરી સ્કુલમાં હાજરી આપવા આવે છે. ધન્ય છે આવા સમાજસેવીઓ અને દાતાઓને!

