લંડનઃ વન જૈન તરીકે ઓળખાતી અને ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા પ્રતિનિધિત્વ થતી જૈન કોમ્યુનિટીએ આગામી વસતિ ગણતરીમાં જૈન ટીક બોક્સનો સમાવેશ કરવાની વડા પ્રધાનને વિનંતી કરતી ૫,૦૦૦ સહી સાથેની પિટિશન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટને સોંપી હતી.
ઈન્સ્ટિટ્યુટના ચેરમેન નેમુભાઈ ચંદેરિયાએ જણાવ્યું હતું, ‘ વસતિ ગણતરીની પરિભાષા અટપટી છે અને આગામી વસતિ ગણતરીમાં મોટા એક માત્ર જૈન ધર્મનો સમાવેશ કરાયો નથી. ૨૦૧૧ની વસતિ ગણતરીમાં યુકેમાં રહેતા માત્ર ૩૦ ટકા જૈનોનો સમાવેશ કરાયો હતો અને ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સની હાલની યોજનામાં તેમાં કોઈ ખાસ સુધારો થશે નહીં.
વસતિ ગણતરીની માહિતીનો ઉપયોગ હેલ્થ, એજ્યુકેશન અને સોશિયલ કેરનું ફંડિંગ અને નીતિ નક્કી કરવા તેમજ બીબીસી જેવા બ્રોડકાસ્ટરો દ્વારા પ્રોગ્રામીંગ માટે થાય છે.
યુકેમાં રહેતા જૈનોની માહિતી મેળવીને ડેટા સુધારવો જોઈએ જેથી જાહેર ક્ષેત્ર દ્વારા લેવાતા નિર્ણયોમાં જૈન કોમ્યુનિટીનો સમાવેશ થયો છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકાય.
ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના પ્રતિનિધિમંડળમાં જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના ચેરમેન સાંસદ ગેરાથ થોમસ અને ઓનલાઈન પિટિશન શરૂ કરનારા લંડન એસેમ્બલી મેમ્બર ઓફ બ્રેન્ટ એન્ડ હેરોના નવીન શાહનો સમાવેશ થતો હતો.

