બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સાધુ પૂ.જ્ઞાનેશ્વર સ્વામી યુકેના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૫ ઓક્ટોબર સુધી યુકેમાં રોકાણ દરમિયાન તેઓ લંડન અને લંડનની આસપાસના સેન્ટરોમાં હરિભક્તોને કથા પ્રવચનનો લાભ આપશે.
સાધુ બન્યા તે પહેલા તેઓ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ ઈન સિવિલ એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ થયા હતા. ૧૯૭૩માં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે તેમને દીક્ષા આપી હતી. સાધુ તરીકે તેમણે સંસ્કૃત, સ્વામીનારાયણ ઈતિહાસ અને સાહિત્ય તેમજ હિંદુ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ૧૯૯૮થી તેઓ સારંગપુરમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરના હેડ સાધુ તરીકે સેવા આપી રહ્યા છે. સારંગપુરમાં આવેલા નવા સાધુઓ માટેના સંત તાલીમ કેન્દ્રના વડા પૈકી તેઓ પણ એક વડા છે. તેઓ દુનિયાભરમાં બીએપીએસના સાધુઓની તાલીમ અને તેમના કલ્યાણની દેખરેખ રાખે છે.
તેઓ સુશિક્ષિત છે અને દુનિયાભરનો પ્રવાસ ખેડીને પોતાના પ્રવચનો દ્વારા ભક્તોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેઓ સારા વક્તા,લેખક અને કવિ છે. તેમણે ઘણાં ભજનો પણ લખ્યાં છે. તેમણે ૪૫ વર્ષ કરતાં વધુ સમય પૂ. પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવા કરી છે અને તેમનો વિશ્વાસ તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.