BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે. ૧૦મીને મંગળવારે વચનામૃત દ્વિશતાબ્દિ દિન ઉજવાયો હતો. તે નિમિત્તે ગ્રંથ પાલખી યાત્રા યોજાઈ હતી અને ગ્રંથની તુલા વિધિ કરવામાં આવી હતી. વધુમાં, વચનામૃતના આધારે ‘સદપુરુષનો મહિમા’ વિષય પર સંવાદની પ્રસ્તુતિ થઈ હતી. ૧૧મીએ વડીલ દિન ઉજવાયો હતો. તેમાં વડીલોએ ક્વિઝ સહિત વિવિધ આયોજનોમાં ભાગ લીધો હતો. વિશેષ રજૂઆતમાં પાર્કિંગ, સિક્યુરિટી સહિતના સેવા વિભાગના સભ્યોએ તેમના સાધનો હાથમાં રાખીને કીર્તનો રજૂ કર્યા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘ પૂ. યોગીબાપા કહેતા કે જેને કંઈ ન આવડતું હોય તે સેવા કરવા મંડી પડે તો આગળ આવી જાય.’ ૧૨મીએ યુવક દિન ઉજવાયો હતો. યુવકોએ પૂ. મહંત સ્વામીના જીવનના પ્રસંગો વિશે સંવાદ રજૂ કર્યો હતો. ૧૩મીએ તારીખ પ્રમાણે પૂ. મહંત સ્વામીનો જન્મદિન હતો. સાંજે ‘એવા સંતને નમુ હું શીશ’ કાર્યક્રમ રજૂ થયો હતો. તેમાં પૂ. મહંત સ્વામીના જીવન વિશે પ્રવચન અને વીડિયોના માધ્યમથી રજૂઆત થઈ હતી. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ ક્હયું ‘ આપણને દિવ્ય સત્સંગ મળ્યો છે તેને બરાબર પચાવવો.’ કાર્યક્રમમાં અંદાજે ૪,૦૦૦ ભાવિકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સમૂહમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને પૂ. મહંત સ્વામીની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટર ઝ્વેલી મ્ખેઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પૂ. મહંત સ્વામીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ૧૪મીએ સમજણ દિન ઉજવાયો હતો. ૧૫મી પ્રમુખ સ્વામી શતાબ્દિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પૂ. પ્રમુખ સ્વામીના વિવિધ ગુણોનું ગાન કરાયું હતું. સંવાદ દ્વારા શતાબ્દિ દિનની ઉજવણીનું દ્રશ્ય ઉભું કરાયું હતું. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે.