આસો માસના સુદ પક્ષ એકમ (૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯)થી નવરાત્રિ મહાપર્વની શરૂઆત થશે. નવરાત્રિ એ હિંદુ-સનાતન ધર્મ નો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. નવરાત્રિનો શાબ્દિક અર્થ નવ રાત એમ થાય. આ નવ રાત દરમ્યાન માતાજીના નવ શક્તિ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ધર્મનો અધર્મ પરનો વિજયના પ્રતીક રૂપે આ તહેવાર ઉજવાય છે. ‘મા’ આધ્યશક્તિ જગદંબા નવ દિવસ નવરાત અસુરો સામે યુધ્ધે ચડી મહાઅસુર મહિષાસુરનો વધ કરે છે તેવી દંતકથાઓ હિન્દુ પૌરાણિક સાહિત્યમાં મળે છે. આમ નવરાત્રિ એટલે નવ રાત સુધી માના દેવી સ્વરુપની અખંડ આરાધના. કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.
‘મા’ જગદંબાના ત્રણ મુખ્ય રૂપો છે જેમ કે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી. આમ તો હિંદુ ધર્મ પ્રમાણે ‘મા’ના ઘણા રૂપો છે પણ નવરાત્રિમાં પહેલાં ત્રણ દિવસોમાં શૈલપુત્રીમા, બ્રહ્મચારીણીમા અને ચંદ્રઘંટામાની વંદના કરવામાં આવે છે. તો બીજા ત્રણ દિવસોમાં, કુશમંદા, સ્કંદમાતા અને કાત્યાયનીમાની પૂજા કરવામાં આવે છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસોમાં, કાલરાત્રી, મહાગૌરી અને સિધ્ધીરાત્રીની આરાધના થાય છે. માના આ સ્વરૂપો મૂળ તો એક જ છે પણ જેમ નદી, ઝરણાં અને ધોધ અલગ નામથી ઓળખાય છે પણ તેમનું મૂળ તત્વ તો પાણી જ રહે છે તેવી જ રીતે યુગે યુગે શક્તિ સ્વરૂપે પ્રગટ થયેલ ‘મા’ ના જુદાજુદા રૂપની અર્ચના કરવામાં આવે છે પણ અંતે તો શક્તિની જ ઉપાસના થાય છે. શરદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની સવિશેષ ઉજાણી થાય છે, શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે.
ગરબો ગુજરાતી શબ્દ છે, ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે, લોકનૃત્ય પણ છે. ગરબો એટલે સંસ્કૃત શબ્દ ‘દીપગર્ભો ઘટ’ પરથી ઉતરી આવ્યો છે. જેમાંથી ‘ઘટ’ સમયાંતરે લુપ્ત થાય છે અને ‘દીપગર્ભો’ જળવાઇ રહે છે. જો કે તેમાં પરિવર્તન થતાં થતાં ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ તરીકે પ્રચલિત થાય છે. ટુંક્માં, ગરબો એટલે છિદ્રો ધરાવતા માટીના ઘડામાં દીવો રાખી માથે લઇ તાળી પાડતાં વર્તુળાકારમાં નૃત્ય કરવું અને હાથમાં દાંડીયા લઇ રાસ રમે એ ખેલૈયા કહેવાય. આ ધાર્મિક તહેવારની સાથોસાથ સાંસ્કૃતિક તહેવાર પણ છે.
શારદીય નવરાત્રિમાં ખાસ કરીને યુવકો અને યુવતીઓમાં અવનવા સાંપ્રત વસ્ત્રોને પાંરપરિક રીતે પહેરવાનો ખાસ ચસ્કો લાગ્યો છે. ગામઠી ચણીયા ચોળીમાં કચ્છી ભરત ગૂંથણ અને તેના પર ભાત ભાતનાં આભલા, ટીલડી, ઝૂમખા, મોતી, ગોટા, લટકણ સજાવેલા ભરવાડ કે રબારી સ્ટાઇલના ચાંદીના ઘરેણાં, કેડીયું, ધોતિયુ, ચોયણો, ફેંટો, પાઘડી, કોટી, કમર પટ્ટો સજાવી ગરબે ઘૂમતા જોવા મળે છે. ગુજરાતના મોટા શહેરોમાં તો યુવતીઓ બેકલેસ બ્લાઇઝ (કેડીયાં) પહેરવા પીઠ પર છૂંદણાં છૂંદાવતી હોય છે.
આ નવ દિવસ બાદ દસમો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવાય છે, જેનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. મા આદ્યશક્તિનો મહિષાસુર પર વિજય તથા ભગવાન શ્રી રામનો લંકાપતિ રાવણ પર વિજય એમ બે પૌરાણિક પ્રસંગો આ તહેવાર સાથે જોડાયેલા છે. ગુજરાતમાં અને ભારતમાં નવરાત્રિના નવ દિવસ પછી દશેરા ઉજવાય છે, જેમાં રાત્રે રાવણ દહન કરવામાં આવે છે. ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનુ પણ એક નવું ચલણ શરુ થયું છે. બંગાળમાં આ નવ દિવસો દરમયાન મા દુર્ગાની પુજા કરી દશમીને દિવસે મુર્તી વિસર્જન કરવામાં આવે છે તો ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં નવરાત્રિ દરમિયાન રામલીલા ઉત્સવ કરવામાં આવે છે જેમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
બ્રિટનના પાટનગર લંડન સહિત શહેરો-નગરોમાં મા આદ્યશક્તિનુ આ મહાપર્વ નવ દિવસ ખૂબ રંગેચંગે ઉજવાય છે. નવરાત્રિ દરમ્યાન આપણે સાચા હિન્દુ તરીકે આપણા સનાતન ધર્મની પરંપરાની શાન જાળવવી જોઇએ. નવરાત્રિના પવિત્ર નવ દિવસો દરમિયાન દારૂ-માંસનું સેવન કરી સંસ્થાઓ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા-આરતી ગાઇએ એ યોગ્ય નથી આપણા ધર્મ અને તહેવારોની શાન આપણે ગૌરવથી જાળવવી જોઇએ.