વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેટલાક સુજ્ઞ વાચકોને આ શીર્ષક જરાક આકરું લાગે છે, ખરુંને? સાચું કહું તો હું પણ તમારા જેવી જ મૂંઝવણ અનુભવું છું, પરંતુ આ સિવાયો બીજો કોઇ વિકલ્પ જણાતો નથી. જે કોઇ કવિ - સર્જકે આ ઉક્તિને શબ્દદેહ આપ્યો છે તેમાં મેં એક શબ્દ ઉમેર્યો છે અને તે શબ્દ છે ‘સ્થિતિ’.
નીચી ગતિ, નીચી મતિ, નીચા નિશાન જ્યાં હશે... ઉક્તિ કોણે કંડારી છે એ તો હું નથી જાણતો, (જો તમે જાણતા હો તો લખી જણાવજો, બાપલ્યા...) પરંતુ એટલું અવશ્ય કહી શકું કે આખરે તો મતિ અને ગતિ એક સિક્કાની બે બાજુ સમાન છે. મતિ અને ગતિના સંયોજનથી પ્રાપ્ત થાય તે સ્થિતિ. આથી જ હું સ્થિતિ શબ્દનો ઉમેરો સકારણ ગણી રહ્યો છું.
ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનીઓ ચંદ્રની દક્ષિણ ધ્રુવની અજાણ ભોમકા સુધી જઇ પહોંચ્યા તેના મૂળમાં પણ મતિ, ગતિ ને (પરિણામસ્વરૂપ) સ્થિતિ જ છે ને?! નિર્ધારિત લક્ષ્યાંકને આંબવામાં, ઇતિહાસ સર્જવામાં ભલે હાથવેંતનું છેટું રહી ગયું, પરંતુ ભારતે અદ્ભૂત કહી શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે એમ અવશ્ય કહી શકાય. ચંદ્રયાન-૨ મિશન ખરેખર અટપટું હતું. (જો આવું ન હોત તો તો અનેક દેશ ત્યાં પહોંચી ગયા હોત ને?!) વિકસિત દેશો ગણાતા અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો પણ જ્યાં પહોંચવાનું લક્ષ્યાંક રાખ્યું નહોતું તેવા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી આપણું ચંદ્રયાન-૨ જઇ પહોંચ્યું. વળી, સમગ્ર પ્રોજેક્ટ સોએ સો ટકા મેઇડ ઇન ઇંડિયા હતો. ધરતી પરથી રવાના થયેલું અને આશરે ૨.૮૬ લાખ માઇલનું અંતર કાપીને ચંદ્રની ધરતી સુધી પહોંચેલું યાન લેન્ડિંગ પોઇન્ટથી સવા માઇલના અંતરે હતું ને સંપર્ક તૂટી ગયો.
યાનની ચોક્કસ ઝડપ, પૃથ્વીની ગતિ, ચંદ્રની સ્થિતિ, બન્ને વચ્ચેનું અંતર... આવા જાતભાતના પડકારો ઓળંગીને ભારત ત્યાં પહોંચ્યું. જાતજાતની ગણતરી મંડાઇ હશે, અંદાજ મૂકાયા હશે અને તેના આધારે દિવસ, સમય, સ્થળ વગેરે નક્કી થયા હશે. છતાંય ક્યાંક કોઇ વાતે ગરબડ થઇ ગઇ. તો શું આનો મતલબ એ છે કે મિશન નિષ્ફળ રહ્યું? ભારતના જ નહીં, અમેરિકા, ચીન, બ્રિટનના અંતરીક્ષ વિજ્ઞાનીઓ માને છે કે માત્ર નિર્ધારિત લેન્ડિંગ નથી થયું એટલું જ, બાકી ભારતનું મિશન સફળ જ રહ્યું છે. ચીનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનું કહેવું છે કે ભારતે જે હાંસલ કરેલી સિદ્ધિ આશ્ચર્યજનક છે. તો વળી અમેરિકાની ‘નાસા’એ તો ઇચ્છા પણ વ્યક્ત કરી દીધી છે કે તેઓ સોલર સિસ્ટમ અંગેના આગામી મહત્ત્વપૂર્ણ સંશોધન માટે ‘ઇસરો’ સાથે મળીને કામ કરવા માગે છે.
ભારતીય વિજ્ઞાનીઓની આવી અંતરિક્ષને આંબતી સિદ્ધિ - સફળતા છતાં આપણા ભાઇભાંડુઓના એક વર્ગમાં આ મુદ્દે ક્યાંક અશાંતિ, અસુખ પ્રવર્તે છે એમ જણાય છે. આ વર્ગમાં આપણા અખબારના કેટલાક માનવંતા વાચકો, ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. આપ સહુ જાણતા જ હશો કે ગુજરાત સમાચાર - Asian Voiceમાં પ્રકાશિત થતાં વાચકોના પત્રોના વિભાગમાં પ્રસિદ્ધ થતાં પત્રોમાં તંત્રીમંડળના સાથીઓ ભાષાકીય કે જોડણીલક્ષી સુધારાવધારા સિવાય ભાગ્યે જ કોઇ ફેરબદલ કરતું હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે પત્રમાં રજૂ થયેલા વિચારો કે દૃષ્ટિકોણ યથાતથ્ રજૂ થતા હોય છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઇ ચોક્કસ મુદ્દા સંદર્ભે પોતાના વિચારો કે મંતવ્યો દર્શાવવાનો દરેક વ્યક્તિને - દરેક વાચકને અબાધિત અધિકાર છે, અને એક પ્રકાશક-તંત્રી તરીકે હું અને અમારું તંત્રીમંડળ આ મામલે હંમેશા કાળજી રાખીએ છીએ. પત્રમાં રજૂ થયેલું સૂચન ખુદ અમારી ટીકાટિપ્પણ કરતું હોય તો પણ અમે તેને પ્રકાશિત કરતાં ખચકાતા નથી.
ભાગ્યે જ એવું બને છે કે અમે કોઇ વાચકનો પત્ર પ્રકાશિત કરવાનું ઇરાદાપૂર્વક ટાળીએ છીએ, અને આવું બને છે ત્યારે પ્રકાશક-તંત્રી તરીકે હું જે તે પત્રલેખકને ફોન કરીને પત્ર પ્રકાશિત ન કરવાનું કારણ જણાવવાનું ઔચિત્ય ચૂકતો નથી. અલબત્ત, ફરીથી કહું છું કે આવું જવલ્લે જ બનતું જ બનતું હોય છે. વાચકોના પત્રને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ સ્પષ્ટ છે - અમે પત્રલેખકોને અમારા માર્ગદર્શક, દિશાનિર્દેશક માનીએ છીએ. અમારો દરેક વાચક, દરેક ગ્રાહક અમારો આરાધ્ય દેવ છે તો પત્રલેખકો પણ તેમનાથી લગારેય ઉણાં ઉતરતા નથી. જોકે આવો જવલ્લે જ લેવાતો નિર્ણય તાજેતરમાં બે વખત લેવાયો. અમે બે પત્રો - ચોક્કસ કારણસર પ્રસિદ્ધ કર્યા નથી.
મારા વાંચકમિત્રો, આમાંથી એક પત્રના લેખક લંડનમાં રહે છે, અને તેમને મિત્ર પણ ગણું છું. અવારનવાર તેમના પત્રો આપણા અખબારોમાં પ્રકાશિત થતા રહ્યા છે. આ પત્રલેખકે ચંદ્રયાન-૨ મિશન પાછળ ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાના ભારત સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. આ ખર્ચના મુદ્દે તેમણે સરકારનો ઉધડો લીધો છે અને જનહિત માટે બીજા મહત્ત્વના કાર્યોની અગ્રીમતા તેમણે પત્રમાં દર્શાવી છે.
આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોવા છતાં હું મારી પાસે ઉપલબ્ધ કેટલીક માહિતીના આધારે સ્પષ્ટ માનું છું કે આ પત્રનું પ્રકાશન આપણો હોંસલો ઘટાડવામાં નિમિત્ત બને તેમ હોવાથી પત્રનું પ્રકાશન ટાળ્યું છે. પત્રલેખક મિત્ર આ મુદ્દે દરગુજર કરશે તેવી આશા છે.
આ જ અરસામાં આથી પણ વધુ જલદ અને આક્રોશભર્યો કહી શકાય તેવો બીજો એક પત્ર પણ અમને મળ્યો. આ પત્રમાં લેખકે માત્ર ચંદ્રયાન-૨ મિશનની જ ટીકા નથી, પરંતુ ભારત સરકાર દેશની સુરક્ષા કાજે શસ્ત્રસરંજામની ખરીદી માટે હજારો કરોડો રૂપિયા ફાળવે છે એ પણ તેમને ફોગટ જણાય છે. મેં નોંધ્યું કે આ માનવંતા પત્રલેખકે દોષનો ટોપલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઠાલવવામાં કોઇ કસર છોડી નથી. તેમણે તો બીજા કેટલાય દાખલા-દલીલ ટાંક્યા છે. જોકે પત્રમાં આ બધી ‘હૈયાવરાળ ઠાલવવા છતાં’ વાચકની ખાનદાની કે તેમણે શુક્રવારે ફોન કરીને મને જણાવ્યું કે ‘એ પત્ર હાલ પ્રકાશિત કરતાં નહીં, મને હવે ટાઢા દિમાગે વિચારતા એવું લાગે છે મેં તેમાં વાતનું વતેસર કરી નાંખ્યું છે. જરાક વધુ પડતો આક્રોશ વ્યક્ત થઇ ગયો છે...’ મેં પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મને પણ કંઇક આવું જ લાગ્યું હોવાથી તમારો પત્ર પ્રકાશિત કરવાનું ટાળવાનો હતો. વાચક મિત્રો, આપ સહુ તો જાણો જ છો, હું કેટલું ઓછું બોલું છું...! આથી મેં પણ તેમની સાથે - પત્ર સંદર્ભે - મુદ્દાસર વાત કરી. ભૂતકાળના એ પ્રસંગો યાદ કરાવ્યા કે જેમાં જે તે વેળા તેની ટીકા થઇ હતી, હાંસી ઉડી હતી કે તેના અમલીકરણ અંગે શંકા વ્યક્ત થઇ હતી. જેમ કેઃ-
અમદાવાદની આગવી ઓળખ એવા કાંકરિયા તળાવની કાયાપલટના આયોજન વેળા તેમાં પ્રવેશ ફી નક્કી થઇ ત્યારે વિપક્ષ સહિતના એક બહોળા વર્ગે જોયા-કારવ્યા વગર જોરદાર વિરોધ કર્યો હતો. આંદોલન સુદ્ધાં થયાં. પરંતુ લોકોએ એક વખત નવાનવેલા કાંકરિયાની મુલાકાત લઇને ત્યાંનો નજારો નિહાળ્યો ત્યારે સમજાયું કે આટલા સુંદરતમ સ્થળની જાળવણી માટે થોડીક પ્રવેશ ફી હોય તેમાં કંઇ વાંધો હોવો જોઇએ નહીં. હવે અહીં દર ડિસેમ્બરમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. છેલ્લા દસકાથી યોજાતા ગીતસંગીત, ખાણીપીણીના આ રંગારંગ કાર્યક્રમમાં એટલી વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટે છે કે પોલીસ અને વહીવટી તંત્ર માટે લોકોને મેનેજ કરવાનું મુશ્કેલ થઇ જાય છે. અમદાવાદની મધ્યે સાકાર થયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પણ આવો જ વિરોધ થયો હતો. લોકોને રૂપિયાનું આંધણ લાગતું હતું. આજે કાશ્મીરથી માંડીને કોલકતાના વહીવટી તંત્રો પ્રોજેક્ટનો અભ્યાસ કરીને પોતાને ત્યાં આવો જ પ્રોજેક્ટ સાકાર કરવા પ્રયત્નશીલ છે.
સરદાર સરોવર નર્મદા બંધ અને તેના પર સાકાર થયેલા સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે પણ વિરોધ થયો જ હતોને?! લોકો કટાક્ષમાં કહેતા હતા કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઊંચું, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ગુજરાતમાં બનશે એમ?! યહ બાત કુછ હજમ નહીં હુઇ... લખી રાખજો પચ્ચીસ વર્ષે ય પ્રતિમા અધૂરી જ હશે, વગેરે વગેરે. આજે સ્થિતિ શું છે? નર્મદા ડેમના ઓવારે આપણી નજર સમક્ષ વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા ઉભી છે. વિશ્વના ટોપ-ટેન પ્રવાસન સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે. એક સમયે જ્યાં ડેમ સિવાય નિહાળવા જેવું કંઇ નહોતું અને રહેવા માટે માત્ર સરકારી ગેસ્ટ હાઉસ હતું, જ્યાં સમગ્ર વિસ્તાર ખાલીખમ હતો તે વિસ્તાર આજે પર્યટકોથી ધમધમી રહ્યો છે. ૧૫મી ઓગસ્ટે આશરે ૨૫ હજાર મુલાકાતીઓ આવ્યા હતા. હોટેલ, ખાણીપીણી, ટ્રાન્સપોર્ટેશન... જરા વિચારો કેટકેટલાને રોજગારી મળી રહી હશે? કેટલાના વેપાર-ધંધા ધમધમવા લાગ્યા હશે? ૧૩૮ મીટરની સર્વોચ્ચ સપાટીએ હિલોળા લેતા સરદાર સરોવર ડેમે સૌરાષ્ટ્ર-કચ્છનો સિંચાઇથી માંડીને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલ્યો છે તે નાનીસૂની વાત નથી. મંગળવારે આપણા મોદી સાહેબે પણ ફરી એકવાર નર્મદે હર... લલકાર્યું.
વાચક મિત્રો, પેલા મુરબ્બી પત્રલેખક સાથે લાં..બી ચર્ચા ચાલી અને તેમણે પણ સ્વીકાર્યું કે દરેક ખર્ચમાં નફા-નુકસાનની સીધી ત્રિરાશી માંડવાની જરૂર નથી. લાભ કોઇ એક જ માર્ગે મળે તે જરૂરી નથી, તે પરોક્ષ સ્વરૂપે પણ આવી શકે છે. આપણા મૂર્ધન્ય સર્જક બ.કા. ઠાકોરે યોગ્ય જ કહ્યું છેઃ નિશાનચૂક માફ, ન માફ નીચા નિશાન. આપણે નાના માણસ રહ્યા છીએ, અને કદાચ આ માનસિક્તામાં રચ્યાપચ્યા રહેવાના કારણે જ આપણે મોટા સ્વપ્ન વિશે વિચારતા નથી. આપણી સજ્જતા - ક્ષમતા હોવા છતાં આપણે વામણા શા માટે રહેવું છે, વિરાટ કેમ ન બની શકીએ?
તાજેતરમાં જ ‘ધ ઇકોનોમિસ્ટ’ નામના વિખ્યાત સાપ્તાહિકે ચંદ્રયાન-૨ મિશન સંદર્ભે ભારતને કેન્દ્રમાં રાખીને એક લેખ પ્રકાશિત કર્યો છે તેમાં પણ આ જ વાતનો ઉલ્લેખ છે. આ ચંદ્રયાન મિશન ખૂબ જ ઓછા ખર્ચે પરિપૂર્ણ થયું તેનો ખાસ સ્વિકાર થયો છે. તેમાં જણાવાયું છે કે ભારત સરકારે દેશમાં ઉપલબ્ધ કાર્યકુશળતા અને કૌશલ્યને નજરમાં રાખીને રિસર્ચ અને ડેવલપમેન્ટ (આરએન્ડડી) ક્ષેત્રે વધુ ભંડોળ ફાળવવાની જરૂર છે. હાલ ભારતમાં શોધ અને સંશોધન ક્ષેત્રે તેની કુલ જીડીપીના માત્ર ૦.૦૬ ટકા રકમ વાપરવામાં આવે છે. આ અહેવાલ એમ પણ ટાંકે છે કે છેલ્લા ૨૦ વર્ષથી તેમાં કોઇ ઉમેરો થયો નથી. મતલબ કે જો ફુગાવાના વાસ્તવિક દરને ધ્યાને લેવામાં આવે તો વર્ષ પ્રતિ વર્ષ આર એન્ડ ડી પાછળ ખર્ચાતા નાણાંમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ દ્વારા વપરાતા ભંડોળમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.
હવે આપણે વિશ્વનું મોખરાનું અર્થતંત્ર ધરાવતા ચીનનું ચિત્ર જોઇએ... ચીન તેની જીડીપીના ૩ ટકા જેટલી ઊંચી રકમ શોધ-સંશોધન માટે ફાળવે છે. ભારતીય અર્થતંત્ર કરતાં ચીનનું અર્થતંત્ર અનેકગણું વિશાળ છે, એટલે આપ સહુ અંદાજ લગાવી શકો છો કે તે આરએન્ડડીને કેટલું મહત્ત્વ આપે છે અને આ ક્ષેત્રે કેટલું જંગી ભંડોળ ફાળવાતું હશે. આજથી ચાર દસકા પૂર્વે ચીન આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ્યું ત્યારે રેડીમેડ ગાર્મેન્ટ, રમકડાં, ઘરવપરાશના ઇલેક્ટ્રિક ગેજેટ્સ વગેરેનું ઉત્પાદન કરતું હતું. આજે આ જ ચીન ટેલિકોમથી માંડીને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને શસ્ત્રસરંજામના ક્ષેત્રે અમેરિકાથી લઇને જાપાન જેવા દેશોને હંફાવી રહ્યું છે. આધુનિકતમ ટેક્નોલોજીના ક્ષેત્રે તેની આણ પ્રવર્તે છે.
વાચક મિત્રો, સહુ કોઇએ સ્વીકારવું રહ્યું કે ઘાણીના બળદની જેમ એક જ કુંડાળામાં ગોળ ગોળ ફરીને આગળ વધી શકાતું નથી. આજે સમસ્ત વિશ્વની માનવજાત પ્રગતિના પંથે, વિકાસ માર્ગે વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હરણફાળ ભરી રહી છે ત્યારે તેમની સાથે કદમ તાલ મિલાવવા હોય તો વ્યક્તિ હોય કે દેશ - તેણે પોતાની મર્યાદાની સરહદોને ઓળંગીને આગળ વધવું પડે. નિર્ધારિત લક્ષ્ય સાથે ચોક્કસ દિશામાં નક્કર પ્રયાસ હાથ ધરવા પડે. આ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ કરવું પડે, અને સફળતા-નિષ્ફળતાની પરવા સાથે જ બુદ્ધિ અને કાર્યકુશળતા સાથે જ નાણાં પણ ફાળવવા પડે.
મન ચંગા તો....
મિત્રો, આપને જણાવવું રહ્યું કે હું એક બીજા અગત્યના મુદ્દે પણ અભ્યાસ કરી રહ્યો છું. બ્રિટન તેની NHSના કારણે સમગ્ર વિશ્વમાં આરોગ્ય સેવાક્ષેત્રે માનવંતુ સ્થાન ધરાવે છે. નાની-મોટી બીમારી આવે, ડોક્ટર તપાસે, દવા આપે અને સારવાર-સુશ્રુષા કરે. આ તો થઇ NHSમાં થતી દર્દ અને દર્દીની પરંપરાગત સારવાર પદ્ધતિની વાત. હવે અહેવાલ છે કે આઇટી ક્ષેત્રે ડિગ્રી ધરાવતા ૩૫ વર્ષના આરબ યુવાન મુસ્તફા સુલેમાને મનના માર્ગે તનની સારવાર કરતી અનોખી સારવાર પદ્ધતિ વિકસાવી છે, અને આગામી દિવસોમાં NHS તેનો પ્રાયોગિક ધોરણે અમલ શરૂ કરવા સક્રિય બન્યું છે. આ પદ્ધતિમાં વ્યક્તિની વૈચારિક મર્યાદા, જીવનમાં નવા માર્ગો અપનાવવાની તૈયારી, મનોસ્થિતિને બદલવાની સજ્જતા વગેરે પાસાંને કેન્દ્રમાં રાખીને દર્દીની સારવાર કરવામાં આવે છે.
આ બધી જટિલતા છોડીને આપને સાદા શબ્દોમાં સમજાવું તો આ સારવાર પદ્ધતિમાં દર્દીની મનોસ્થિતિ કેન્દ્રસ્થાને હશે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ અથવા તો જેવું મન તેવું તન ઉક્તિને પ્રાધાન્ય અપાશે. વ્યક્તિના હકારાત્મક અભિગમની તેના શરીર પર લાભકારક અસર જોવા મળતી હોય છે જ્યારે નકારાત્મક અભિગમ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ સાબિત થતો હોય છે. વ્યક્તિ આનંદ-ઉલ્લાસમાં જીવન વીતાવતી હોય, સમય સાથે ચાલવામાં માનતી હોય, આધુનિક પ્રવાહથી વાકેફ રહેતી હોય તો વય ગમેતેટલી વધે, પણ તેનું આરોગ્ય સદાબહાર સ્વસ્થ રહેતું હોય છે. તન-દુરસ્તી હોય કે મન-દુરસ્તી, માત્ર દવાદારૂ કે સારવારસુશ્રુષા ઉપર જ આધારિત નથી. થોડોક જીવન જીવવાનો જુસ્સો જોઇએ, જીવન માણવાનો દૃષ્ટિકોણ જોઇએ, પોતાની જાતમાં વિશ્વાસ જોઇએ, અને થોડીક ઉપરવાળામાં શ્રદ્ધા પણ જોઇએ. આ બધાનો સરવાળો તંદુરસ્ત તન-મનનું સર્જન કરતો હોય છે. વિજ્ઞાન ભલે ધરતી પરથી ચંદ્ર પર પહોંચી ગયું હોય, પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ તો આપણે જાતે જ કેળવવો રહ્યો. (ક્રમશઃ)