મંદીના એંધાણ સામે પ્રોત્સાહક પગલાં

Tuesday 17th September 2019 12:08 EDT
 

છેલ્લાં થોડાં સમયથી સમગ્ર વિશ્વ મંદીના ભરડામાં ફસાતું હોવાના અણસાર પ્રાપ્ત થયા છે. આવી સંજોગોમાંથી ભારત પણ બાકાત રહી શકે તે શક્ય નથી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધથી તેમજ અમેરિકા અને ઇરાન તથા ઉત્તર કોરિયા સાથેની કટોકટીએ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે ધક્કો માર્યો છે. બીજી તરફ, સતત ઘટતી નિકાસની ચિંતા ભારત સહિત સમગ્ર વિશ્વને સતાવી રહી છે. જોકે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નિકાસ તેમજ રિઅલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા
તત્કાળ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.
છ વર્ષની નીચલી સપાટીએ પહોંચેલા અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા છેલ્લાં એક મહિનામાં ત્રીજી વખત પ્રોત્સાહક પગલાં જાહેર કરાયાં છે. ઉલ્લેખનીય છે કે ધીમા આર્થિક વિકાસની અસર નિકાસ ઉપર પણ જોવા મળી છે. જેમ્સ અને જ્વેલરી, લેધરની ચીજવસ્તુ, એન્જિનિયરિંગ માલસામાન અને પેટ્રોલિયમ પેદાશોની નિકાસ નોંધપાત્રપણે ઘટી છે.
મહત્ત્વની બાબત તો એ છે કે નાણાં પ્રધાને પૂર્વ વડા પ્રધાન અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહની સલાહ સાંભળવાની તૈયારી પણ દર્શાવી છે. પૂર્વ વડા પ્રધાને દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને ખૂબ ચિંતાજનક ગણાવી છે. ડો. મનમોહન સિંહ નાણાં પ્રધાન હતા ત્યારથી જ ભારતે ઉદારવાદ તરફ પ્રયાણ કર્યું હતું અને અર્થતંત્ર મજબૂત બન્યું હતું તે હકીકત નકારી શકાય તેમ નથી. ડો. સિંહે પણ નોકરી-રોજગાર આપી શકે તેવા સેક્ટરને મજબૂત કરવા તેમ જ નિકાસ વધારવા ચીન-અમેરિકાના વેપારયુદ્ધનો લાભ લેવા સહિતનાં પગલાં સૂચવ્યા છે.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર, ભારતનો આર્થિક વિકાસ દર છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. વિકાસ દર અનુમાનથી પણ ઘણો નીચો રહેતાં દેશની અર્થવ્યવસ્થા સંકટમાં હોવાનું સ્પષ્ટ બન્યું છે. આ ઘટાડો ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખપત ઘટવાથી છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે (આઇએમએફ) ભારતીય અર્થતંત્રના નબળા વિકાસદર વિશે ચિંતા દર્શાવી છે. આમ છતાં, ચીનની સરખામણીએ ભારત આગળ છે અને ટૂંક સમયમાં વિશ્વની સૌથી વધુ ગતિએ વિકાસ કરનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ અડધોઅડધ ભાગીદારી ધરાવતા ઓટોમોબાઇલ બજારની મંદી દેશનાં અર્થતંત્ર માટે ખતરાસમાન ગણી શકાય છે. તાજેતરમાં નાણાં પ્રધાન સીતારામને દેશના ઓટો સેક્ટરની મંદી અથવા વાહનોનાં વેચાણમાં ભારે ઘટાડા માટે ઓલા અને ઉબર જેવી કેબ કંપનીઓને પણ કારણભૂત ગણાવી હતી. આને કદાચ અંશતઃ સાચું ગણાવી શકાય કારણ કે વાહનોના નિભાવ, લોન પરના વ્યાજ અને વીમાખર્ચમાં વધારા સહિતના પરિબળો ઉપરાંત, લોકો પાસે નાણાંનો અભાવ પણ મુખ્ય પરિબળ છે. ઓટોમોબાઇલ ઉપરાંત ટેક્સટાઇલ સેકટર પણ મંદીની ઝપેટમાં છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે લગભગ દસ કરોડ લોકોની પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી સંકળાયેલી છે.
સરકાર સમક્ષ અર્થવ્યવસ્થાને વેગ આપવા અને લાખો નવા રોજગાર ઊભા કરવા સહિતના અનેક પડકાર ઉભાં થયાં છે ત્યારે ઝડપી અને યોગ્ય દિશામાં પગલા થકી જ મંદીના કળણમાંથી બહાર નીકળી શકાશે તે સમજવું રહ્યું.


comments powered by Disqus