એક ભારતીય તરીકે આપણે ગર્વ લેતા હોઈએ કે દેશમાં વિવિધતામાં એકતા છે, પરંતુ આવું વૈવિધ્ય સામાજિક પોતને વેરણછેરણ કરતું હોય તો દેશની પ્રગતિને અવરોધે છે. કાયદાની નજરે સર્વ સમાન હોવાની વ્યાખ્યા બંધારણ પૂરતી મર્યાદિત રહી ગઈ છે. દેશમાં અનેક ધર્મ અને સંપ્રદાયો છે. બધાના રીતરિવાજો અલગ હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે દેશના કાયદાને અવરુદ્ધ હોય તે સારું ન જ ગણાય. આવી જ એક બાબત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો સમાન નાગરિક સંહિતા વિશે છે. યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતા એટલે એવો કાયદો જે ધર્મનિરપેક્ષ હોય અને તમામ ધર્મના લોકો પર એકસમાન રીતે લાગુ થાય. તે કોમન સિવિલ કોડની મૂળ ભાવના છે. દેશને આઝાદી પ્રાપ્ત થઈ ત્યારથી અટવાયેલો આ મુદ્દો સંપત્તિ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણીના કારણે ફરીથી ચર્ચાની એરણે આવ્યો છે.
ભારતમાં નાગરિકો માટે આમ તો સમાન કાયદો છે, પરંતુ લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ પરના નિર્ણય પર્સનલ લો પ્રમાણે થાય છે. દેશમાં હિન્દુ, મુસ્લિમ તેમજ ખ્રિસ્તી સહિતના પર્સનલ લો અસ્તિત્વ ધરાવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ દેશની ભાવિ સરકારો બંધારણના અનુચ્છેદ ૪૪ના ભાગ-૪ અંતર્ગત ઉલ્લેખિત યુનિફોર્મ સિવિલ કોડને સમગ્ર દેશના નાગરિકો માટે લાગુ કરશે તેવી બંધારણના ઘડવૈયાઓને આશા હતી, પરંતુ આટલા વર્ષ પછી પણ કોઈ મજબૂત પ્રયાસ કરવામાં આવ્યા નથી. જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે ગોવાના એક સંપત્તિ વિવાદના કેસમાં સમાન નાગરિક આચારસંહિતાનો ઉલ્લેખ કર્યો અને બંધારણના અનુચ્છેદ ૪૪ અંગે ગંભીરતાના અભાવને સરકારની નિષ્ફળતા ગણાવી છે.
વિવિધતામાં એકતાનો વિરોધાભાસ જોઈએ તો ગોવા ભારતનું જ રાજ્ય છે, પરંતુ ત્યાં એક સમયે પોર્ટુગલનું શાસન હતું અને આજે પણ પોર્ટુગીઝ નાગરિક સંહિતા ૧૮૬૭ લાગુ પડે છે, જે ઉત્તરાધિકાર અને વારસાના અધિકારને પણ સંચાલિત કરે છે. ગોવાની બહાર આ પ્રકારના કાયદાઓ લાગુ નથી. સુપ્રીમ કોર્ટે આ કાયદાની વાસ્તવિક યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પ્રશંસા કરી છે. ગોવામાં મુસ્લિમ પુરુષોના લગ્ન નોંધાય છે તેઓ બીજા લગ્ન કરી શકતા નથી તેમજ ઇસ્લામધર્મીઓ મૌખિક તલાક પણ આપી શકતા નથી. હકીકતમાં ૧૯૬૧માં ભારતમાં સામેલ થયા બાદ, ગોવા, દીવ અને દમણના પ્રશાસન માટે સંસદે ગોવા, દમણ અને દીવ એડમિનિસ્ટ્રેશન એક્ટ ૧૯૮૨ પસાર કર્યો તેમાં ભારતીય સંસદે પોર્ટુગલના સિવિલ કોડ ૧૮૬૭ને ગોવામાં યથાવત રાખ્યો હતો જેના પરિણામે ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ થઇ હતી.
સમાન નાગરિક ધારો લાગુ કરવાની ચર્ચા અવશ્ય થાય છે, પરંતુ રાજકીય વાદવિવાદોના પગલે બાદ આ મુદ્દો કોરાણે મૂકી દેવાય છે. કોમન સિવિલ કોડના વિરોધીઓ અનુસાર સરકાર તેના માધ્યમથી મુસ્લિમ સહિતના અલ્પસંખ્યકો પર હિન્દુ કાયદો લાગુ કરવા ઈચ્છે છે. કોમન સિવિલ કોડના સમર્થકોનું કહેવું છે કે કાયદો બધા માટે સમાન હોવાથી દેશમાં એક્તા વધશે. જોકે, નરેન્દ્ર મોદી સરકારે રચેલા ૨૧મા લો કમિશને તેના કન્સલ્ટેશન પેપરમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી તેમ જણાવીને સંબંધિત પર્સનલ લોમાં સુધારા કરવાની ભલામણ કરી છે.
જો ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તો તેના કાયદાઓ શા માટે ધર્મનિરપેક્ષ નથી તે પ્રશ્ન પણ મહત્ત્વનો છે. વિવિધ ધર્મોના અલગ અલગ કાયદાઓથી વૈમનસ્ય સર્જાય છે તે પણ એક હકીકત છે. બીજી તરફ, ભાજપ દ્વારા છેક ૧૯૯૮થી દરેક ચૂંટણી ઘોષણાપત્રમાં યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાને સ્થાન અપાયું છે. સુપ્રીમ કોર્ટની ટકોરના પગલે આજે દેશમાં ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠરાવતો કાયદો બની ગયો છે તો શા માટે અન્ય કાયદાઓ ઘડી શકાય નહિ?
ભાજપના એજન્ડામાં રહેલા એનઆરસી અને અનુચ્છેદ ૩૭૦ વિશે ઐતિહાસિક નિર્ણયો લેવાયા જ છે. સર્વોચ્ચ અદાલતની આ ટીપ્પણી પછી ભાજપ સરકાર સિવિલ કોડ મુદ્દે સક્રિય વિચારણા કરી શકે છે. મજબૂત લોકશાહીમાં વિરોધ નોંધપાત્ર પરિબળ છે અને વિરોધ થતો રહે છે, પરંતુ દેશના નાગરિકોના કલ્યાણ અર્થે સમાન સિવિલ કોડ જરૂરી લાગે છે.