વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગાયિકા લતા મંગેશકરને ૨૮ સપ્ટેમ્બરે એટલે કે તેમનાં ૯૦માં જન્મદિવસે ‘ડોક્ટરેટ ઓફ ધ નેશન’નો ખિતાબ આપવાનું નક્કી કર્યું છે. કહેવાય છે કે આ સન્માન યુગોના યુગો સુધી યાદગાર રહેશે. ભારતીય ફિલ્મ સંગીતમાં સાત દાયકાથી અભૂતપૂર્વ યોગદાન આપનારાં લતાજીએ જીવનનાં ૧૩માં વર્ષે ગાયકી શરૂ કરી હતી.
મધ્ય પ્રદેશના ઇંદોરમાં જન્મેલા લતા મંગેશકરે ગીત ગાવાની શરૂઆત ૪૦ના દાયકામાં કરી હતી ત્યારે તેઓ માત્ર ૧૩ વર્ષનાં હતા. લતાજીએ પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘કિતી હસાલ’ માટે ગાયું હતું. જો કે જેને ફાઇનલ કટ પહેલાં હટાવી દેવાયું હતું. ૧૯૪૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘ગજાભાઉ’ માં તેમણે હિંદી સોંગ ‘માતા એક સપૂતની દુનિયા બદલ દે’માં અવાજ આપ્યો હતો. આ તેમનું પહેલું ગીત માનવામાં આવે છે.
લતા મંગેશકરને ૩ નેશનલ એવોર્ડ મળ્યાં છે. તેમાં ફિલ્મ ‘પરિચય’ માટે ૧૯૭૨માં, ‘કોરા કાગઝ’ માટે ૧૯૭૪માં અને ‘લેકિન’ માટે ૧૯૯૦નો સમાવેશ થાય છે. ભારત સરકારે તેમણે પદ્મભૂષણ (૧૯૬૯), દાદા સાહેબ ફાળકે (૧૯૮૯), પદ્મ વિભૂષણ (૧૯૯૯) અને ભારત રત્ન (૨૦૦૧)થી પણ સન્માનિત કર્યાં છે.