તા.૧૪ સપ્ટેમ્બરને શનિવારે શ્રી વલ્લભ નિધિ (યુકે) (SVNUK) દ્વારા વેમ્બલી મંદિર ગોકલધામ સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આગામી સ્પ્રિંગ ૨૦૨૦માં ઓર્ગન ડોનેશન એટલે કે અંગ દાનના કાયદામાં થઈ રહેલા ફેરફારની સમજ આપવા તેમજ વેમ્બલી અને આસપાસના વિસ્તારોની હિંદુ કોમ્યુનિટી દ્વારા ઓર્ગન ડોનેશનને સક્રિય રીતે સમર્થન મળે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને જૈન એન્ડ હિંદુ ઓર્ગન ડોનેશન (JHOD) અને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ લોક્લ કોમ્યુનિટીના અગ્રણીઓ, બ્રેન્ટ કાઉન્સિલ સહિત ૨૧૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર અર્નેસ્ટ એઝીયાજુઘી, લીડર ઓફ કાઉન્સિલ કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, કાઉન્સિલર તૃપ્તિ સાંગાણી અને ઈન્ડિયન હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ટ્રેડ) રાહુલ નાનગરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ સેવા સંસ્થાન, મા કૃપા ફાઉન્ડેશન અને ભાટિયા કોમ્યુનિટીના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
SVNUKના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરારે સૌનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મહત્ત્વના પ્રોજેક્ટને સક્રિય રીતે સહયોગ આપવા બદલ આપણે સૌએ ગૌરવની લાગણી અનુભવવી જોઈએ. તેમણે આ કાર્યક્રમને સપોર્ટ કરવા બદલ JHOD સ્ટીયરિંગ ગ્રૂપના ચેરમેન કિરીટભાઈ મોદીનો આભાર માન્યો હતો અને તેમનું પ્રેઝન્ટેશન નિહાળવા આતુર હોવાનું જણાવ્યું હતું.
શિવમ કક્કડ અને તેમના માતુશ્રી જૈમિનીબેન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ શિવમના પિતાજીનું અવસાન થયું અને તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તે અંગે શિવમ તેમના અનુભવનું વર્ણન કર્યું હતું. પરિવારમાં આવી પડેલા દુઃખના સમયમાં પણ તેમણે અન્યોને આપેલી ‘જીવનની ભેટ’ બદલ માતા અને પુત્ર બન્નેનું SVNUK દ્વારા સન્માન કરાયું હતું.
કિરીટ મોદીએ ઓર્ગન ડોનેશન વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને દર્શકોને સાનુકુળ રહે તે માટે મુખ્યત્વે ગુજરાતીમાં જ વર્ણન કર્યું હતું. સ્પ્રિંગ ૨૦૨૦થી કાયદામાં પરિવર્તન, ડોનરના આંકડા, વધુ ડોનરોની જરૂરિયાત અને ઓર્ગન ડોનેશન બાબતે હિંદુ કોમ્યુનિટીની મુખ્ય ચિંતાઓ આ તમામ મુદ્દે તેમણે વિસ્તૃત સમજ આપી હતી. સમગ્ર યુકેના વિવિધ હિંદુ મંદિરોના વડાઓએ ઓર્ગન ડોનેશનને સપોર્ટ કર્યો હતો અને તેની પાછળનો તર્ક અને હેતુ સમજાવ્યા હતા તેનો વીડિયો પણ આ પ્રસંગે દર્શાવાયો હતો.
ઉપસ્થિત રહેલા લોકો પૈકી કેટલાં લોકો કાયદામાં થનારા ફેરફાર વિશે જાણે છે, કેટલાં લોકોએ ઓર્ગન ડોનશન માટે સંમતિ આપી છે અને કેટલાં લોકોએ ઓર્ગન ડોનેશન અંગે પરિવાર સાથે ચર્ચાવિચારણા કરી છે તેવા પ્રશ્રો પણ પૂછ્યા હતા. અંતે પણ આ જ પ્રશ્રો પૂછાયા હતા અને તેના પરિણામ ખૂબ સંતોષજનક રહ્યા હતા. મોટાભાગના લોકો કાયદામાં થનારા નવા ફેરફારોથી વાકેફ હતા. ૧૭ લોકોએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દિવસે વધુ ૧૪ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. અન્ય ૫૧ લોકોએ ચર્ચા બાદ રજિસ્ટ્રેશન કરાવવાનું જણાવ્યું હતું