અમેરિકાના કેલિફોર્નિયામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ રિવરસાઈડ (UCR) ખાતે ગત ૨૩ ઓક્ટોબરે જૈન સ્ટડીઝમાં શ્રીમદ રાજચંદ્ર એન્ડાઉડ ચેરનું ઉદઘાટન યોજાયું હતું. આ સમારંભમાં યુનિવર્સિટી ફેકલ્ટી, અધિકારીઓ અને જૈન સમુદાયના અગ્રણીઓ સહિત ૭૫ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેના ચેર તરીકે એસોસિએટ પ્રોફેસર ડો. એના બઝેલ્જ નીમાયા હતા.
સમારોહનો પ્રારંભ મિયામીની ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીથી ખાસ આવેલા સામાણી ચૈતન્ય પ્રજ્ઞા અને સામાણી હિમ પ્રજ્ઞા દ્વારા નવકાર મંત્રની પ્રાર્થના સાથે થઈ હતી.ડો. સુલેખા જૈને નોર્થ અમેરિકામાં જૈન એકેડેમિક એજ્યુકેશનના ઈતિહાસનું વર્ણન કર્યું હતું અને UCR ખાતે જૈન ચેરના કાર્યક્રમોની વિગતો આપી હતી.
JAINA ના પ્રમુખ મહેશ વાઢેરે દાતાઓ વતી વક્તવ્ય આપ્યું હતું અને જૈન સિદ્ધાંતોના પ્રસાર માટે જૈન ચેરના મહત્ત્વ વિશે માહિતી આપી હતી.
ચેર એના બઝેલ્જે UCR ખાતે તેમણે કામગીરી શરૂ કર્યા બાદની પ્રગતિની વાત કરી હતી અને અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી ઓસ્ટિન અટ્ટાવેને પ્રથમ શ્રીમદ રાજચંદ્ર એવોર્ડ એનાયત કર્યો હતો.
ચાન્સેલર વિલ્કોક્સે યુનિવર્સિટીમાં વિવિધતાના મહત્ત્વ અને વિદ્યાર્થીઓને વિવિધ ધર્મોના દ્રષ્ટિકોણ સમજાવવાનું કેટલું મહત્ત્વનું છે તેની વાત કરી હતી.