૧૨ નવેમ્બરે શાંતિ, સંવાદિતા, સહઅસ્તિત્ત્વ અને તમામ ધર્મો અને માનવીઓ માટે આદરભાવના પ્રચારક ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીની વિશ્વભરમાં ઉજવણી થઈ. જૈન ધર્મ દુનિયાના સૌથી જૂના ધર્મ પૈકીનો એક છે જ્યારે શીખ ધર્મ સૌથી નવો કહેવાય. વસતિની દ્રષ્ટિએ શીખ ધર્મ દુનિયામાં પાંચમો સૌથી મોટો અને જૈન ધર્મ છઠ્ઠો સૌથી મોટો ધર્મ છે. જૈન ધર્મ અને શીખ ધર્મ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા છે. ગુરુ નાનક દેવ અને શીખ ધર્મના ઉદભવથી જૈનો અને શીખો સાથે ચાલી રહ્યા છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઈન્ટરફેથ સંવાદ, આંતરિક નિર્ભરતા, સહ-અસ્તિત્વ, વિવેક, સહકાર એકબીજાની સંભાળ રાખવા અને એકબીજાને મદદનું જીવંત અને વાસ્તવિક ઉદાહરણ છે.
જૈનો અને શીખોનો ઈતિહાસ એકબીજા સાથે સંકળાયેલો છે. ૨,૬૦૦ વર્ષ અગાઉ ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં થયો હતો અને જૈન ધર્મનો વ્યાપ બિહારમાં વધ્યો હતો.પટણા (બિહાર)માં શીખોનો ઘણો ઈતિહાસ રચાયો હતો. ગુરુ તેગ બહાદૂર અને ગુરુ ગોવિંદસિંહજી પટણામાં રહ્યા હતા. ગુરુ ગોવિંદસિહનો જન્મ પટણા (બિહાર)માં થયો હતો.
શીખો અને જૈનોએ ક્યારેય એકબીજાને નુક્સાન પહોંચાડ્યુ નથી કે ઝઘડ્યા નથી કે એકબીજાના ધાર્મિકસ્થળોને તોડી પાડ્યા નથી. પંજાબમાં જૈનો શીખ કોલેજોમાં અને શીખો જૈન કોલેજોમાં ભણે છે. જૈનો અને શીખોએ સાથે કામ કરીને લુધિયાણાને દુનિયાનું હોઝિયરી પાટનગર બનાવ્યું. કેટલાંક જૈન સાધુઓ પંજાબના શીખ પરિવારમાંથી આવ્યા છે. જૈન સાધુઓ ઘણી વખત શીખોના ઘરે રહે છે અને તેમની પાસેથી ગોચરી (ભોજન) પણ લે છે. પંજાબી યુનિવર્સિટી પતિયાલામાં ડિપાર્ટમેન્ટ ઓફ જૈનોલોજી પણ છે.
જૈનો અને શીખોના સમૃદ્ધ અને પ્રભાવશાળી ઈતિહાસના વિસ્તૃત અહેવાલ માટે જુઓ એશિયન વોઈસ પાન નં. ૨૫