જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરવા સાથે જ તેના વિભાજનના ભારતના સમયોચિત પગલાથી છંછેડાયેલા પાકિસ્તાનની હાલત તો ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુવે જેવી થઈ છે. કાશ્મીર મુદ્દાને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાના તેના પ્રયાસોને સરિયામ નિષ્ફળતા જ સાંપડી છે. પાકિસ્તાનના દુરાગ્રહથી કાશ્મીર વિશે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં બંધબારણે કરાયેલી ચર્ચામાં પણ માત્ર સ્થાયી સભ્ય ચીન સિવાય કોઈએ તેને સાથ આપ્યો નથી. આમ પણ બંધબારણાની બેઠકમાં ચર્ચાની કોઈ નોંધ રખાતી નથી કે રેકોર્ડમાં સામેલ કરાતી નથી અને સત્તાવાર નિવેદન પણ જારી કરાતું ન હોવાથી તેનું ખાસ મહત્ત્વ ન હતું. અલબત્ત, આનાથી આંતરરાષ્ટ્રીય વલણ કોની તરફ છે તેનો અંદાજ જરૂર મેળવી શકાય છે.
જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે લેવાઇ રહેલાં પગલાંની નોંધ લેવામાં આવી છે તો રાજ્યમાં માનવ અધિકારો અંગે હાલત ખતરનાક હોવાની ચીનની દલીલમાં કોઈને વજૂદ જણાયું નથી. કાશ્મીરમાં માનવ અધિકારો અંગે ચિંતા દર્શાવતું ચીન લોકશાહીની સ્થાપના ઈચ્છતા હોંગકોંગમાં દેખાવકારો પર દમનનો કોરડો વિંઝી રહ્યું છે તે જગજાહેર છે. કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો મુદ્દો ભારતનો આંતરિક મામલો હોવાની દલીલને અન્ય સ્થાયી સભ્યો રશિયા, ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ પણ સમર્થન આપતા પ્રસ્તાવનો ભારે ફિયાસ્કો થયો તેને ભારતનો મોટો વિજય લેખાવી શકાય.
જોકે ભારતે હવે ચીનની અવળચંડાઇ પર વિશેષ ધ્યાન આપવું પડશે. ચીને અગાઉ કાશ્મીરને ભારતનો આંતરિક મામલો હોવાનું જણાવી વિશેષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. આ પછી તેણે ફરી પાકિસ્તાનની તરફેણ કરી છે. તરફેણ કરવાના આર્થિક કારણો હોઈ શકે પરંતુ, ભારતનો આંતરરાષ્ટ્રીય દબદબો વધે નહિ તે માટે ચીન કોઈ પણ રમત રમી શકે છે તે પણ યાદ રાખવું રહ્યું.
ભારતે પણ હવે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ વાતચીત કે વાટાઘાટ કરવાની હશે તો માત્રને માત્ર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર વિશે જ થશે. ભારત માટે હવે તે દ્વિપક્ષી મંત્રણાથી ઉકેલવાનો મુદ્દો રહ્યો છે. યુએન સિકયુરિટી કાઉન્સિલમાં પરાજય પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને હવે ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી સામે પ્રશ્નો ઉભા કરી તેના વિશે ગંભીરતાથી વિચાર કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે.
આંતરરાષ્ટ્રીય ‘બેઈજ્જતી’ અને દેશની નબળી આર્થિક પરિસ્થિતિની ચિંતા કરવાના બદલે ઇમરાન ભારત વિરુદ્ધ ખાંડા ખખડાવી રહ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને કોઈ એક્શન લેવાનો પડકાર ફેંક્યો છે. પાકિસ્તાની આર્મી અને લોકો ઇંટનો જવાબ પથ્થરથી આપવા સજ્જ હોવાની શેખી મારતા પાકિસ્તાને અગાઉના યુદ્ધોમાં થયેલી કારમી હારને યાદ રાખવી ઘટે.