BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ટાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં સમસ્ત આફ્રિકા ખંડના કાર્યકરો અને કિશોર-કિશોરીઓની કુલ ત્રણ શિબિરો ’દિવ્યમ – મહંત સ્વામીના સંગે, દિવ્યતાના રંગે’ નું આયોજન કરાયું હતું. તા.૧૧થી૧૩ દરમિયાન પૂ. મહંત સ્વામીની નિશ્રામાં કાર્યકરોની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં કાર્યકરોના ગુણો અને કાર્યકરલક્ષી વાતો રજૂ કરાઈ હતી. ૧૩મીએ સવારે પૂજામાં પૂ. મહંત સ્વામીએ સેન્ટ્રલ આફ્રિકાના ત્રણ હરિમંદિરોની ભૂમિપૂજા કરી હતી. આ ત્રણ મંદિરોમાં લીલોંગવે, લીમ્બે અને મઝુઝુનો સમાવેશ થાય છે. તા.૧૪થી ૧૬ દરમિયાન કિશોર-કિશોરી શિબિર યોજાઈ હતી. શિબિરમાં કથાવાર્તાઓ અને પ્રવચનો રજૂ થયા હતા. ૧૫મી ઓગસ્ટને રક્ષાબંધનના દિવસે પૂ. મહંત સ્વામીએ સમગ્ર આફ્રિકા ખંડના હરિભક્તો માટેની રાખડીઓ પ્રસાદીની કરી હતી. ૧૭મીને શનિવારે કાર્યકરોની શિબિરનો પ્રારંભ થયો હતો. આ શિબિર તા.૧૯ સુધી યોજાઈ હતી. આ શ્રણે શિબિરોમાં આપણી પરિસ્થિતિ કેવી છે તે વિષયે સંવાદ રજૂ કરાયા હતા. સહનશક્તિ, દાસભાવ, ગુરુમાં આત્મબુદ્ધિ અને આહનિક દ્રઢતાએમ ચાર ગુણોને કેન્દ્રમાં રખાયા હતા. આ ગુણો આપણા જીવનમાં કેવી રીતે આવે તેનું શિબિરમાં સંવાદ દ્વારા વાત કરાઈ હતી. પૂ. મહંત સ્વામીમાં આ તમામ ગુણો છે તે દર્શાવતા પ્રસંગો રજૂ કરાયા હતા. તેની રજૂઆત બાદ પૂ. મહંત સ્વામી શિબિરમાં ભાગ લેનાર સૌને આશીર્વાદ આપતા હતા. પૂ. મહંત સ્વામીએ આ બધામાં વિશેષ કરીને મહિમાની વાત કરી હતી. તેમણે કહ્યું,‘જો ભગવાનનો અને ગુરુનો મહિમા હોય તો આ બધા ગુણો આવે.’
૧૯મીએ કાર્યકરોની શિબિરનું સમાપન થયું હતું. ૨૦મીએ પૂ. મહંત સ્વામી વાઈટ સેન્ડ રિસોર્ટથી દાર-એ-સલામ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા.