વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગત રવિવારે મને માન્ચેસ્ટરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા છ કલાકના વ્યાખ્યાન- ઉપદેશને સાંભળવાની અને તેમાંથી શીખવાની અનેરી તક સાંપડી હતી. ‘રાધા શ્યામ કી કથા ભાગવતી’ નું ટાઈટલ ધરાવતી આ કથા ધારણા પ્રમાણે જ ૩,૦૦૦થી વધુ શ્રોતાઓની ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ સાથે ભરચક હતી. ભાઈશ્રીએ સંસ્કૃતના શ્લોકોનું રસપાન કરાવ્યું અને હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેની સમજ પણ આપી. શ્રોતાગણમાં વિવિધ વયજૂથના અને સુશોભિત વસ્ત્ર પરિધાન કરેલા લોકોનો સમાવેશ થયો હતો. એમાંથી માત્ર પાંચ વર્ષની એક બાળકીએ વિશેષપણે મારું ધ્યાન ખેંચ્યું. આ બાળકી પોતાનાં પરિવાર સાથે પોર્ટુગલથી આવી હતી. તે અસ્ખલિત વાણીમાં ભગવદ ગીતાનાં શ્લોકો બોલી શકતી હતી. તેણે પોતાનાં કૌશલ્યથી સમગ્ર ઓડિયન્સને રોમાંચિત કરી દીધું હતું. આ સમગ્ર કાર્યક્રમ અદ્ભૂત હતો. ભાઈશ્રીના ઉપદેશમાં ભારતીય સંગીતની સંગત તેમજ ચબરાકિયાં અને રસપ્રદ લઘુકથાઓએ રંગત જમાવી હતી.
ભાઈશ્રીએ તેમના વ્યાખ્યાનમાં મહાભારતમાં અર્જુનના માર્ગદર્શક-સારથીના સ્વરુપમાં ભગવાન કૃષ્ણે જે સમસ્યાઓનો સામનો કર્યો તેની વાત કરી હતી. મારી સમજ અનુસાર કુરુક્ષેત્રનું યુદ્ધ તમામ યુગોમાં મહાયુદ્ધ હતું અને બની રહેશે. આ યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે ખેલાયું હતું. ભગવાન કૃષ્ણના બહેન સુભદ્રાનાં લગ્ન અર્જુન સાથે થયાં હતાં જ્યારે, તેમના પુત્ર સામ્બના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયાં હતાં. ભગવાન કૃષ્ણ બન્ને પરિવાર સાથે સંબંધથી જોડાયેલા હોવાં છતાં તેમણે આ યુદ્ધમાં કેવી રીતે તટસ્થ અભિગમ જાળવ્યો હતો તે ભાઈશ્રીએ સમજાવ્યું.
આટલા વર્ષોમાં હું સમજી શક્યો છું કે રામાયણ અને મહાભારતના મહાગ્રંથો વેપારવણજ, જીવન, પરિવાર અને વિશેષતઃ માતાપિતા, બાળકો તેમજ વિસ્તૃત પરિવારના સભ્યો સાથેના સંબંધના સંચાલન અને નિભાવની બાબતે સલાહ અને શીખામણના અદ્ભૂત અને પ્રકાશમય ઉદાહરણો આપે છે. આ કથામાં યુકેના ઉચ્ચ સમાજના ઘણા અગ્રણી સભ્યોની ઉપસ્થિતિ હતી. શ્રોતાગણમાં ભુપેન્દ્ર કણસાગરા તેમજ સંજય અને વિપૂલ વડેરા ઉપસ્થિત હતા. યુકેના કેટલાય મિલિયોનેર્સ અને મલ્ટિ-મિલિયોનેર્સ પણ જોવા મળ્યા. સ્ટેજના પાછળના હિસ્સે ૮૧ વર્ષની પાકટ વયે અવસાન પામેલા જયંતિલાલ વડેરાના બે પોર્ટ્રેટ પણ મૂકવામાં આવ્યા હતા. જયંતિભાઈ યુગાન્ડામાં પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા.
જોકે, હકાલપટ્ટીના કાળમાં તેમણે પોતાના બે પુત્ર અને દીકરી મીનાબહેન સાથે યુકે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
લગભગ ખિસ્સે ખાલી કહેવાય તેવી પરિસ્થિતિમાં તેઓ શરૂઆતમાં પુનર્વસન કેમ્પ્સમાં રહ્યા અને પાછળથી લેન્કેશાયરના બોલ્ટનમાં સ્થાયી થયા હતા. જયંતિભાઈએ બે છેડાં ભેગા કરવામાં તે સમયે ભારે સંઘર્ષ વેઠ્યો હતો અને તેમના સંતાનો પણ એ પડકારજનક સમયમાં જ ઉછર્યાં હતાં.
તેમના પુત્રોએ સુગંધિત દ્રવ્યોનાં ક્ષેત્રમાં પગ જમાવ્યા છે અને હવે મલ્ટિ-મિલિયોનેર્સ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. સૌથી ધ્યાન ખેંચે તેવી મહત્ત્વની બાબત એ પણ ગણવી જોઈએ કે તેમના પત્ની કલાવતીબહેન આ કથાની વ્યવસ્થામાં અગ્રેસર રહ્યાં હતાં.
ભાઈશ્રી અન્ય બાબતોની સાથોસાથ તેમની સમજાવવાની શક્તિ અથવા કહીએ તો અન્યો સાથે સંવાદ સાધવાના કૌશલ્ય માટે વિશેષ જાણીતા છે. હું અને ઓડિયન્સમાં રહેલા અન્ય શ્રોતાઓ જાણે અમૃતપાન કરતા હોઈએ તે રીતે ભાઈશ્રીના ઉપદેશના શબ્દો ઝીલવામાં એકરસ થઈ ગયા હતા. આ કથામાં તેઓએ સમસ્યાઓ કેવી રીતે ઉદ્ભવે છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેના વિશે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત, તેઓએ ભારતની બહુચર્ચિત જ્ઞાતિપ્રથા અથવા તો વર્ણ વ્યવસ્થા વિશે પણ વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણે જેમ જાણીએ છીએ કે માનીએ છીએ તે વાસ્તવિકતા નથી. પ્રેરણાદાયી અને મનનીય વર્ણન કરતા ભાઈશ્રીએ બ્રહ્માજીની વર્ણ વ્યવસ્થાની મૂળભૂત કલ્પના શું હતી તેની સમજ આપી હતી. તેમણે સમજાવ્યું કે માનવશરીરમાં મગજ સૌથી ઉપર છે તે બુદ્ધિપ્રતિભા-જ્ઞાનનું સૂચન કરે છે (બ્રાહ્મણો પુરોહિત-ધર્માચાર્ય અને ગુરુ-શિક્ષક છે). આ પછી, હાથ આવે છે, જે શક્તિ-તાકાતનો નિર્દેશ કરે છે (ક્ષત્રિયો લડવૈયા અને શાસક). આના પછી, ઉદર આવે છે, જે સમગ્ર શરીરનું સંચાલન કરતા અવયવોના કેન્દ્ર સમાન છે. (વૈશ્યો સોદાગર, ખેડૂત અને વેપારી છે.) માનવશરીરનો છેલ્લો હિસ્સો પગ છે, જે સખત કાર્ય અને પરિશ્રમનું સૂચક છે (આપણી જ્ઞાતિપ્રથાનો આ ચોથો અને આખરી હિસ્સો શુદ્ર છે, જેઓ શ્રમિક હતા).
ભાઈશ્રીએ કર્મ સંબંધે પણ ઘણું કહ્યું. તેમણે કર્મ (કાર્ય), સુકર્મ (સારા કાર્ય) અને દુષ્કર્મ (દુરાચરણ કે ખરાબ કાર્ય) વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું. ઊર્જા, એકાગ્રતા અને રચનાત્મકતાથી બહેતર મનુષ્ય, પરિવાર અને સમાજની રચના થાય છે. તેઓએ ઉદ્યોગસાહસિકતા, સંવાદિતા, પરિવાર અને પ્રસન્નતા વિશે અનોખો ઉપદેશ આપ્યો હતો.
મારી વાત કરું તો, હું તો તેમના પ્રત્યેક શબ્દથી મંત્રમુગ્ધ જ બની ગયો હતો. ભાઈશ્રી જ્યારે દરેક વ્યક્તિમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ અથવા જવાબદેહિતા વિશે બોલી રહ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણે કર્તવ્ય અથવા ફરજનિષ્ઠા વિશે જે કહ્યું હતું તેનું મને સ્મરણ થઈ આવ્યું. મારા માટે, આ કથા શીખવાની એક ઉમદા તક બની રહી હતી. જીવનઉદ્ધારક અને પ્રેરક કાર્યક્રમ માટે હું
ભાઈશ્રી અને વડેરા પરિવારનો ઋણી છું. (ક્રમશઃ)