અયોધ્યા કેસના વેળાસર ચુકાદાના એંધાણ

Tuesday 24th September 2019 14:21 EDT
 

વર્ષોથી વિલંબિત અયોધ્યા કેસનો ચુકાદો હવે નજીકમાં હોવાના એંધાણ મળી રહ્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની રોજ ચાલતી સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોને ૧૮ ઓક્ટોબર સુધીમાં તેમની દલીલો અને પ્રતિદલીલો આટોપી લેવા સૂચના આપી છે જેથી બંધારણીય બેન્ચના ન્યાયમૂર્તિઓને ચુકાદો લખવાનો પૂરતો સમય મળી રહે. કોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં સુનાવણી પૂરી કરવા આતુર છે. કોર્ટે સોમવારથી સુનાવણી માટે એક કલાક વધારી દીધો છે. આમ કરવાનું અન્ય કારણ એ પણ છે કે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી અને તે પછી સાત ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર સુધી દશેરા સહિતની રજા હોવાથી ૧૮ ઓક્ટોબર સુધી માત્ર ૧૬ દિવસ સુનાવણી શક્ય બનશે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષકારો સાથે વાત પછી સ્પષ્ટ કર્યું છે કે તેઓ ૧૮ ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂરી કરવા માગે છે જેથી ચુકાદો લખવામાં બેન્ચને ચાર સપ્તાહનો સમય મળી શકે. દલીલો પૂર્ણ થયા પછી ચુકાદામાં કોઈ વિલંબ નહિ થાય. ૧૮ ઓક્ટોબર સુધીમાં સુનાવણી સમાપ્ત કરી દેવાના નિર્ણય પાછળ મુખ્ય કારણ તો એ જ છે કે ચીફ જસ્ટિસ ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યાં છે અને ૧૫ નવેમ્બર તેમનો કામકાજનો અંતિમ દિવસ રહેશે. તેઓ પોતાના જ કાર્યકાળમાં આ મહત્ત્વપૂર્ણ ચુકાદો અપાય તે માટે ઉત્સુક હોય તે સ્વાભાવિક છે.
હાલ મુસ્લિમ પક્ષના ધારાશાસ્ત્રી રાજીવ ધવન દલીલો કરી રહ્યા છે અને તેઓ સપ્તાહના અંત સુધીમાં દલીલો પૂર્ણ કરવા સંમત થયા છે. આ પછી પ્રતિદલીલો ચાલશે અને તેનો પણ જવાબ અપાશે, પરંતુ આ માટે વધુ સમય નહિ અપાય તેમ ચીફ જસ્ટિસે જણાવી દેતાં કેસને વધુ વિલંબમાં નાખવાની કોઈ કારી ફાવશે નહિ. આનું કારણ એ ગણાય કે જો ચીફ જસ્ટિસ ગોગોઈની નિવૃત્તિ સાથે આ બંધારણીય બેન્ચ દ્વારા ચુકાદો આપી ન શકાય તો નવા ચીફ જસ્ટિસ દ્વારા નવી બંધારણીય બેન્ચનું ગઠન કરવું પડે, તેઓને પણ નવેસરથી કેસનો અને પૂર્વ ચુકાદાઓનો અભ્યાસ કરવાનો થાય. નવેસરથી દલીલો થાય, પુરાવાઓ રજૂ કરવામાં આવે અને કેસ તો લંબાતો જ રહે, જે અત્યાર સુધી થતું આવ્યું છે.
વર્તમાન બંધારણીય બેન્ચના ન્યાયમૂર્તિઓ સમક્ષ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ લેન્ડ ટાઇટલ કેસની સુનાવણી ચાલે છે તેમાં અલ્લાહાબાદ હાઈ કોર્ટના ૨૦૧૦ના ચુકાદાની યોગ્યતા તપાસવાનો મુદ્દો મુખ્ય છે. હાઈ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના ૨.૭૭ એકરના વિવાદિત ક્ષેત્રને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે એકસરખા ત્રણ હિસ્સામાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. જોકે, હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી આવી છે, જેનો નિકાલ બેન્ચે કરવાનો છે. આ કેસમાં જમીનના ટાઈટલના અધિકાર ઉપરાંત, લોકોની અસીમ શ્રદ્ધા પણ સંકળાયેલી છે.
હવે આ કેસમાં ફરીથી સમાધાનની વાત પણ આગળ આવી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટના આદેશથી જ રચાયેલી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફ. એમ. આઇ. કલિફુલ્લા, વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રીરામ પંચૂ અને શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતા પેનલે આ મામલા સાથે સંકળાયેલા લોકો સાથે ૧૫૫ દિવસ સુધી વાતચીત દ્વારા સમાધાન અને નિરાકરણનો પ્રયાસ કર્યો હતો, જેને નિષ્ફળતા સાંપડી હતી. જોકે, સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાએ સમાધાનની વાત આગળ વધારવા મધ્યસ્થતા પેનલને વિનંતી કરી છે. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બંધારણીય બેન્ચે કેસના પક્ષકારો ઇચ્છે તો કોર્ટ બહાર મધ્યસ્થી દ્વારા પણ સમાધાન થકી નિર્ણય કરી શકે છે પરંતુ તેના માટે સુનાવણી અટકાવાશે નહિ તેની પણ સ્પષ્ટતા કરી મામલાનો અંત લાવી દેવાની દિશા સ્પષ્ટ કરી છે. દેખીતી રીતે જ મધ્યસ્થતાની પ્રક્રિયા ગુપ્ત રખાશે અને સુપ્રીમ કોર્ટને તેનો અહેવાલ અપાશે. બંધારણીય બેન્ચની કામગીરી પ્રશંશનીય જ છે તેની સાથોસાથ જો તમામ પક્ષકારો સુલેહ અને સંપથી લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો ઉકેલ લાવે તેનાથી વધુ રુડું શું કહી શકાય?


comments powered by Disqus