BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ કેન્યાના નૈરોબી ખાતે બિરાજમાન છે. આ અગાઉ તેઓ જહોનિસબર્ગમાં હતા ત્યારે ૧૭મીએ કિશોર દિનની ઉજવણી કરાઈ હતી. તેમાં કિશોરોએ સંવાદ અને નૃત્ય રજૂ કર્યા હતા. ૧૮મીએ પૂ. શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ ઉજવાયું હતું. સવારની પૂજામાં પૂ. શાસ્ત્રીજી મહારાજના ગુણોનું ગાન કરતા કીર્તનો રજૂ થયા હતા. પૂ. મહંત સ્વામીએ પણ આશીર્વચનમાં તેમનો મહિમા વર્ણવ્યો હતો. સાંજે જહોનિસબર્ગના મેયર હર્મન મશાબાએ પૂ. મહંત સ્વામીની સૌજન્ય મુલાકાત લીધી હતી. ૧૯મીએ રાત્રે પૂ. મહંત સ્વામી કેન્યાના નૈરોબી પધાર્યા હતા. ૨૧મીને શનિવારે સ્વાગત દિન ઉજવાયો હતો. સવારની સભામાં આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘રામ ત્યાં કામ નહીં અને કામ ત્યાં રામ નહીં. બેય સાથે ન બને.’ તેમણે કહ્યું, ‘જે ભગવાનના માર્ગે ચાલે તે સાધુ’. સાંજે સ્વાગત દિનની ઉજવણીમાં હરિભક્તો અને સંતોએ વૈદિક ષોડષોપચાર વિધિથી હરિકૃષ્ણ મહારાજ અને પૂ. મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત, સંવાદ ભજવાયો હતો અને નૃત્ય રજૂ થયું હતું. ૨૨મીને રવિવારે સમીપ દર્શન યોજાયા હતા. ૨૩મીએ તિથિ પ્રમાણે પૂ. મહંત સ્વામીએ ૮૭મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. સવારે પૂ. મહંત સ્વામીએ નવીનીકરણ પામેલા અભિષેક મંડપમમાં નીલકંઠવર્ણી મહારાજની પૂજનવિધિ કરી હતી અને અભિષેક કર્યો હતો. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ શ્રીજી મહારાજે કહ્યું કે મને જે હેત કરે છે તેને હું કરોડગણું હેત કરું છું. આ મારા પરનું હેત છે. સામાન્ય નથી. આ એક સોદો છે અને સંતો તથા હરિભક્તોએ જ નહીં, બધાએ આ સોદો કરવા જેવો છે. તેમાં સફળતા મળે અને આગળ ધસીએ એ જ પ્રાર્થના.’ વિવિધ કેન્દ્રોમાંથી પધારેલા હરિભક્તોએ પૂ. મહંત સ્વામીને વધાવ્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે.