તાજેતરમાં હિન્દી દિવસ નિમિત્તે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનમાં ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ સૂત્ર અપાયું તેના ઘેરા પડઘા પડ્યા છે. આમાંથી જ રાષ્ટ્રભાષા વિરુદ્ધ પ્રાદેશિક ભાષાનો વિવાદ સર્જાયો છે. ગૃહ પ્રધાન શાહે હિન્દીનાં માધ્યમથી સમગ્ર દેશને એક તાંતણે બાંધવાની અપીલ કરી કહ્યું હતું કે, ‘અલગ અલગ ભાષાઓ અને બોલીઓ આપણા દેશની તાકાત છે, પરંતુ હવે દેશને એક ભાષાની જરૂર છે જેથી અહીં વિદેશી ભાષાઓને સ્થાન ના મળે.’ હિન્દી ભાષા થોપવાના વિવાદ મધ્યે અમિત શાહને વાત અને વિવાદને વાળતા કહેવું પડ્યું છે કે તેમણે ક્યારેય પણ હિન્દીને પ્રાદેશિક ભાષાઓ પર લાદવાની વાત નથી કરી. હિન્દીને ફક્ત બીજી ભાષાની રીતે શીખવાનો અનુરોધ કર્યો છે.
આપણે ભૂતકાળ તરફ નજર કરીએ તો બ્રિટિશ ભારતમાં ઈંગ્લિશ, ઉર્દુ અને હિન્દી સત્તાવાર ભાષાઓ હતી જેમાંથી ઈંગ્લિશનો ઉપયોગ મુખ્ય હતો. આઝાદી પછી ભારતના બંધારણમાં હિન્દીના વધુ પ્રચલન સાથે ઈંગ્લિશને ૧૫ વર્ષમાં તબક્કાવાર નાબૂદ કરવાની ભલામણ સ્વીકારાઈ હતી, પરંતુ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા અથવા રાષ્ટ્રભાષા બનાવવાના વિચાર સામે જબરદસ્ત વિરોધ થવાથી આજે હિન્દી અને ઈંગ્લિશને સત્તાવાર ભાષા તરીકે અપનાવાઈ છે.
ભારતીય બંધારણના આઠમા શેડ્યુલમાં જે તે રાજ્યો કે પ્રદેશોમાં સૌથી વધુ બોલાતી અને સત્તાવાર ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી ૨૨ સુચિત ભાષાની યાદી છે. આમ પણ દેશના વહીવટમાં ઈંગ્લિશ, હિન્દી અને પ્રાદેશિક ભાષાને મહત્ત્વ અપાયું છે.
પાર્લામેન્ટ, ન્યાયતંત્રમાં હિન્દી અને ઈંગ્લિશનો ઉપયોગ થાય છે, પરંતુ બંધારણ અને ભારતની સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ છે કે તમામ કાયદાનો સત્તાવાર પાઠ, પાર્લામેન્ટરી કાયદા અને વૈધાનિક દસ્તાવેજો (ઈન્સ્ટ્રુમેન્ટ્સ) ઈંગ્લિશ ભાષામાં જ રખાશે. પાર્લામેન્ટ બંધારણમાં સુધારા સાથે આ પરિસ્થિતિ બદલી શકે છે, પરંતુ તેમ થયું નથી. શાહના નિવેદન સામે દેખીતી રીતે દક્ષિણ ભારતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આઝાદી અને તે પહેલાથી દક્ષિણના પ્રદેશોમાં હિન્દીવિરોધ જાણીતો છે. આને તેઓ દેશના ઉત્તર અથવા હિન્દી બેલ્ટના સાંસ્કૃતિક આક્રમણ તરીકે લેખાવે છે. દક્ષિણ ભારતમાં ભાજપનાં નેતાઓ ડીએમકે તેમજ કોંગ્રેસી નેતાઓ તેમજ રજનીકાંત અને કમલ હાસન જેવા અભિનેતાઓ તથા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ માતૃભાષા સાથે સમજૂતી નહિ કરવા હાકલ કરી છે. રજનીકાંતે હિન્દીને થોપવામાં આવશે તો તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરશે તેમ કહ્યું છે.
કોઈ પણ સ્થળે પ્રાદેશિક તેમ જ માતૃભાષાનું સ્થાન વિશિષ્ટ છે. વ્યક્તિ જન્મ સાથે ઘરમાં બોલાતી ભાષા શીખે છે જે તેની માતૃભાષા છે. તેની ભાષા આજીવન ભૂલાતી નથી. જોકે, મોટા થવાની સાથે અન્ય લોકો સાથે પરિચય કેળવવા તેને અન્ય ભાષાઓ શીખવાની પણ જરૂર પડે છે. આ ભાષા અંગ્રેજી ઉપરાંત હિન્દી પણ હોય છે. ઘણાં લોકો અભ્યાસ કે નોકરી અર્થે ફ્રાન્સ, જર્મની, રશિયા પણ જાય છે ત્યાંની ભાષા પણ શીખવી પડે છે. આમ નવી ભાષા શીખવાથી માતૃભાષાનો અંત આવી જતો નથી. વધારાની ભાષા તરીકે હિન્દી શીખીએ તેમાં કોઈ વિરોધનું કારણ નથી. આથી, વાતનું વતેસર કરવાની આવશ્યકતા નથી.