નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલમાંથી ચૂંટણી જીતનારી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ તાજેતરમાં સંસદમાં શપથ લીધાં હતાં. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી બંને સ્ટાર્સે શપથ લીધા બાદ સ્પીકર ઓમ બિરલાના આશીર્વાદ લીધા હતા. પોતાના લગ્નમાં જ વ્યસ્ત હોવાના કારણે નુસરત જહાં પ્રથમ દિવસે શપથ લઈ શકી ન હતી. સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવવધૂ નુસરતના માથામાં સેંથો પૂરેલો હતો અને હાથમાં મહેંદી અને ચુડો જોવા મળ્યો હતો. નુસરત જહાંએ બિઝનેસમેન જૈન સાથે ૧૯મી જૂને તૂર્કીમા બોડરમ સિટીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં વ્યસ્ત હોવાના કારણે નુસરત જહાં સંસદના પહેલા દિવસે શપથ લેવા જઈ શકી ન હતી. નુસરતના લગ્નમાં તેમનાં અંગત મિત્ર મિમી ચક્રવર્તી પણ ગયાં હતા. બંને સ્ટાર્સને સોશિયલ મીડિયામાં આ જ કારણે ઘણાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. યુઝર્સનું કહેવું હતું કે, લગ્ન અને રિસેપ્શન માટે નુસરત જહાં પાસે સમય છે, પણ સંસદમાં શપથ લેવા માટે સમય નથી.

