તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે...

સી. બી. પટેલ Tuesday 26th November 2019 10:27 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક સદાબહાર રચના સાથે આપનો સેવક હાજર છે. આ રચના થકી મારી - તમારી - આપણી પરિસ્થિતિ વિશે રજૂઆત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જો જો... બાપલ્યા, મહેરબાની કરીને કોઇ અજાણતા પણ બંધબેસતી પાઘડી પહેરી ના લેતાં. મને યાદ છે તે પ્રમાણે ચંપારણના સત્યાગ્રહ બાદ મોહનદાસ કરમચંદ ગાંધી દેશના સર્વમાન્ય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે જે પ્રકારે બ્રિટિશ શાસકોને ભીંસમાં લીધા હતા તે જોઇને ચોમેર તેમનો જયજયકાર થઇ રહ્યો હતો. લોકો તેમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતા, પરંતુ એક હિચકારી ઘટનાએ માહોલ પલટી નાંખ્યો. જલિયાંવાલા બાગની કત્લેઆમ બાદ દેશભરમાં પ્રજાજનોમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. ચૌરીચૌરા ખાતે પોલીસ મથકને સળગાવી દેવામાં આવ્યું, જેમાં કેટલાક પોલીસમેન મૃત્યુ પામ્યા.
દેશભરમાં સ્વાતંત્ર્ય આંદોલન જ્યારે ચરમસીમાએ પહોંચ્યું હતું ત્યારે ગાંધીજીએ શાંતિ અને અહિંસાના પોતાના સિદ્ધાંતોને માથે ચઢાવીને આખું આંદોલન સમેટી લેવા હાકલ કરી. પ્રાયશ્ચિતના ભાગરૂપે ઉપવાસ પણ કર્યા. મોહનદાસ કરમચંદ ગાંધીના આ નિર્ણયથી તેમના સાથીદારો અને સમર્થકોના એક વર્ગમાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું.
આ પછી ગાંધીજીએ ૧૯૨૩ આસપાસ અસહકાર અને સવિનય આંદોલનની જ્યોત પ્રગટાવી. અને તેમના જ કેટલાક માનીતા સાથીદારો સામે પડ્યા. આપણી રોજબરોજની જિંદગીમાં પણ આવું બનતું જ હોય છે. તમારા બાળમિત્રો, કોલેજકાળના સહાધ્યાયીઓ, પરિવારજનો કે નોકરી-ધંધાના સ્થળે સાથી કર્મચારીઓ એક યા બીજા કારણસર જ્યારે અસહકાર કરે, જરૂરતના સમયે મોઢું ફેરવી લે, નાજુક પળે તમને સાથ-સહકાર આપવાના બદલે તમારી સામે વિરોધનો બૂંગિયો પીટે ત્યારે શું કરવું?
મને યાદ છે તે પ્રમાણે તે અરસામાં મોહનદાસ કરમચંદ ગાંધી થોડોક સમય શાંતિનિકેતન જઇને કવિવર ટાગોર સાથે રહ્યા હતા. આરામ તો ઠીક છે, તેમનો મુખ્ય ઉદ્દેશ તો ચિંતન-મનનનો હતો. મુકામ દરમિયાન નોબેલ વિજેતા સર્જક અને ઉંચા ગજાના ચિંતક ટાગોર સાથે વિચારવિનિમય પણ કર્યો. ગાંધીજીના મનોમંથન વિશે જાણ્યા બાદ કવિવરે એક અદભૂત રચનાને આકાર આપ્યો. જેના શબ્દો હતાઃ જોડી તોર ડાક શૂને કેઉ ના અસે તોબે એકલા ચોલો રે... મહાદેવભાઇ દેસાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યોઃ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... (સંપૂર્ણ ગીત માટે જૂઓ બોક્સ)
જીવનમાં કદી સંક્રાંતિકાળ પણ આવે. જો તમારા હેતુઓ અને સિદ્ધાંતો મૂલ્યો આધારિત સોનેરી પાયા પર હોય તો...
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે...
વાચક મિત્રો, રજૂઆત મેં કરી, વિચારવલોણું ચલાવીને પદાર્થપાઠ રૂપી માખણ તારવવાનું કામ આપનું છે. (ક્રમશઃ)

•••

(મૂળ કૃતિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની
ગુજરાતી અવતાર : મહાદેવભાઈ દેસાઈ)

એકલો જાને રે
તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે
જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો ધાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે

•••


comments powered by Disqus