એક તરફ મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણી શકાય તેવા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) મુદ્દે પણ રાજકારણ રમાય છે. એનઆરસીનો ઉદ્દેશ દેશના વાસ્તવિક નાગરિકો અને ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ નિશ્ચિત કરવાનો છે. એનઆરસી સંદર્ભે આસામમાં વિવાદ હજુ શમ્યો નથી. બંગાળમાં ૨૦૨૧ની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ અને તૃણમુલ કોંગ્રેસે નાગરિકતા વિવાદને મુદ્દો બનાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંગાળમાં એનઆરસી લાગુ નહિ કરવા દેવાનો હુંકાર કરી રહ્યાં છે. તેની સામે ગૃહ પ્રધાન અમિત શાહે સમગ્ર દેશમાં એનઆરસી પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરતાં જ ભારે હોબાળો મચી ગયો છે. ચોક્કસ ધર્મના લોકોને લક્ષ્યાંક બનાવાશે તેવી દલીલ સામે શાહે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર દેશભરમાં એનઆરસી લાગુ કરાશે
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો મુદ્દો ભારત માટે નવો નથી. દેશના ભાગલા પછી તુરત પૂર્વ પાકિસ્તાનથી આવતા ગેરકાયદે નિર્વાસિતોની ઓળખ માટે આસામમાં પહેલી વખત ૧૯૫૧માં એનઆરસી અપડેટ કરાયું હતું. જોકે, ગેરકાયદે નિર્વાસિતોની ઓળખ પછી પણ ઘૂસણખોરી સતત ચાલુ રહી અને ૧૯૭૧ પછી મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવતાં રાજ્યમાં વસતીનું સ્વરૂપ જ બદલાવા લાગ્યું. આસામમાં ઘૂસણખોરોને પાછા કાઢવાનું આંદોલન લગભગ ૩૭ વર્ષથી ચાલી રહ્યું છે. આસામમાં એનઆરસીની અંતિમ યાદીમાં મુસ્લિમ અને હિંદુ સહિત ૧૯ લાખથી વધુ લોકોના નામ બાકાત રહેવાથી પશ્ચિમ બંગાળના લોકો અને સવિશેષ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ છે.
આસામની સરખામણીએ પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરીની સમસ્યા વધુ જૂની અને ગંભીર છે. વર્તમાન પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશીઓની બોલચાલ, રહેણીકરણી અને રીતિરિવાજોમાં સામ્ય સ્વાભાવિક છે. આથી, સરહદપારથી આવેલા લોકોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે. દેશના ભાગલા પડયા ત્યારથી ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ૭૦ લાખ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવ્યા તે પછી પણ પ્રવાહ આજ દિન સુધી થંભ્યો નથી.
વાસ્તવિકતા એ છે કે દેશમાં ગેરકાયદે ઘૂસેલા લોકોના કારણે સાચા નાગરિકો જાહેર સેવાઓ, રોજગાર તેમજ વિકાસના લાભથી વંચિત રહે છે. આપણે જે દેશના નાગરિક હોઈએ તેની સાબિતીઓ દર્શાવવા માટે યોગ્ય દસ્તાવેજો મેળવી લેવામાં ખોટું શું છે?
આ ઉપરાંત, સરકારે નાગરિકતા સુધારા બિલ પણ શિયાળુ સત્ર દરમિયાન પસાર કરાવવાની કવાયત હાથ ધરી છે તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. આ વિધેયક પસાર થાય તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગલાદેશના તમામ ગેરકાયદે સ્થળાંતર કરનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ ભારતીય નાગરિકત્વ મેળવવાને પાત્ર બનશે. હવે છ વર્ષથી ભારતમાં રહેતા આવા વિદેશીઓ નાગરિકત્વ મેળવી શકશે.
એનઆરસી હોય કે નાગરિકત્વ સુધારા વિધેયક તૃણમૂલ પક્ષના મમતા બેનરજીના સહિતના કેટલાક વિપક્ષી નેતાઓ તેનો વિરોધ એટલા માટે કરી રહ્યાં છે કે તેમની મુસ્લિમ મતબેંકને ભારે અન્યાય કરાઈ રહ્યો હોવાની દુહાઈ દઈ શકાય. સાચા નાગરિકોએ ગેરકાયદે વસતા લોકોને બહાર ધકેલવાની કાર્યવાહીમાં સાથ અને સહકાર આપી દેશ અને બંધારણ પ્રતિ પોતાની નિષ્ઠા વ્યક્ત કરવી જ જોઈએ.