ભારત માટે ચિંતાનો વિષય શ્રીલંકા અને નેપાળ

Tuesday 26th November 2019 10:25 EST
 

ભારતીય ઉપખંડમાં બે મહત્ત્વપૂર્ણ ઘટનાએ આકાર લીધો છે. આ બંને ઘટના ભારતના દક્ષિણ/ભારતીય પાડોશી દેશ શ્રીલંકા અને નેપાળ સાથે સંકળાયેલી છે, જે ભારતની વિદેશ નીતિ માટે પડકારરૂપ બની શકે છે. શ્રીલંકા ભારતનું નિકટનું પાડોશી હોવાથી ત્યાં સર્જાતી નાનામાં નાની ઉથલપાથલ પણ ભારત માટે મહત્ત્વ ધરાવે છે. શ્રીલંકામાં ભારતવિરોધી અને ચીનસમર્થક રાજપક્સે પરિવાર સત્તાનું કેન્દ્ર બની ગયો છે જે ચિંતાજનક છે. નિવૃત્ત સંરક્ષણ સચિવ ગોટબાયાએ રાષ્ટ્રપ્રમુખ બનતાંની સાથે જ તેના બન્ને મોટા ભાઈ મહિન્દા રાજપક્સેને દેશના વડા પ્રધાન અને ચામલ રાજપક્સેને વેપાર પ્રધાન બનાવી દીધા છે.
ગોટબાયા અને મહિન્દાએ ભારત સાથે સારા સંબંધો જાળવવાની ખાતરી તો ઉચ્ચારી છે, પરંતુ તેમાં કેટલો ભરોસો મૂકવો તે લાખ રૂપિયાનો સવાલ છે. મહિન્દા અને ગોટબાયાએ મળીને તામિલ સમુદાય વિરુદ્ધ આક્રમક-હિંસક ઓપરેશન ચલાવી અસંખ્યને મોતને ઘાટ ઉતાર્યા પછી તેઓ ચર્ચામાં આવી ગયા હતા. હવે ફરી તેમના હાથમાં સત્તાનો દોર આવતાં લઘુમતીઓમાં ભય પ્રસરે તે સ્વાભાવિક છે.
ભારત માટે આથી પણ વધુ ચિંતાની બાબત એ છે કે શ્રીલંકામાં ચીનનો પગપેસારો વધી ના જાય. હકીકતમાં ચીનની કઠપૂતળી ગણાતા મહિન્દાના ૧૦ વર્ષના સત્તાકાળમાં ચીને શ્રીલંકામાં સારો એવો પગપેસારો કર્યો હતો. ભારતના વિરોધ છતાં મહિન્દાએ ચીનને વિશાળ હમ્બનટોટા બંદર વિકસાવવાની પરવાનગી આપીને ચીની સબમરીનો શ્રીલંકાના જળક્ષેત્રમાં ડેરો જમાવી શકે તેવી છૂટછાટ આપી હતી.
હવે નવી પરિસ્થિતિમાં ભારતે પણ સાવચેતીપૂર્વક પગલાં લેવાની જરૂર રહેશે. મહિન્દાના કાર્યકાળમાં ભારત-શ્રીલંકાના સંબંધોમાં મીઠાશ રહી ન હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી પ્રમુખ ગોટબાયા ૨૯ નવેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ ઘટનાક્રમ ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજનૈતિક અને વ્યૂહાત્મક સંબંધોને પણ નક્કી કરશે કારણ કે શ્રીલંકા સાથે ભારતના અનેક વ્યૂહાત્મક હિત સંકળાયેલાં છે.
નેપાળ સાથે પણ ભારતના યુગો પુરાણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહેલા છે. જોકે, નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના સામ્યવાદી શાસન પછી ચીન તરફ તેનો ઝૂકાવ વધી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખને અલગ કેન્દ્રશાસિત વિસ્તારો જાહેર કરાયા પછી ભારત દ્વારા જારી કરાયેલો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના વિસ્તારોને સમાવતો નવો સત્તાવાર નકશો નેપાળ સાથે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ભારતે નવા નકશામાં નેપાળના પશ્ચિમી છેડા પરના કાલાપાની ક્ષેત્રને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે તેના સંદર્ભે નેપાળી વડા પ્રધાન કે. પી. ઓલીએ તીવ્ર પ્રતિક્રિયા આપી આ પ્રદેશ નેપાળનો જણાવી ત્યાંથી સૈનિકો ખસેડી લેવા ભારતને જણાવ્યું છે. નેપાળનું આ વલણ ભારત માટે આંચકાસમાન છે.
વાસ્તવિકતા એ છે કે ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતું કાલાપાની ભારતનો જ વિસ્તાર છે અને ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી ભારતીય સુરક્ષા દળના ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો તૈનાત છે. હવે અચાનક નેપાળને કાલાપાની યાદ આવ્યું છે.
કાલાપાનીને લઇને નેપાળે ઊભા કરેલા વિવાદના મૂળમાં ચીનનો જ દોરીસંચાર હોવાનું પ્રતીત થાય છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે ચીને ભારતની સરહદો સુધી પહોંચવા રેલવે અને માર્ગ યોજનાઓ ઉપરાંત, નેપાળને મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં પણ સામેલ કર્યું છે. ચીન બધી બાજુએથી ભારતને ઘેરી રહ્યું છે. આ સંજોગોમાં ભારતે કૂટનીતિના ઉપયોગ સાથે સૂઝ-બૂઝથી પથ્થર હેઠળ દબાયેલો હાથ બહાર કાઢવાની આવશ્યકતા રહે છે.


comments powered by Disqus