વૃદ્ધાવસ્થામાં સંભાળની કટોકટીઃ ફંડ માટે દર સપ્તાહે વેચાતાં ૪૦૦ ઘર

Wednesday 02nd October 2019 07:39 EDT
 
 

લંડનઃ વૃદ્ધાવસ્થામાં પોતાની સારસંભાળના નાણાની ચુકવણી માટે વ્યવસ્થા કરવા ગત વર્ષ ૨૦૧૮માં આશરે ૨૧,૧૨૦ પેન્શનરોએ પોતાના ઘર વેચી નાખ્યાં હતાં. જે પેન્શનરો પાસે પોપર્ટીના મૂલ્ય અને બચત સહિત ૨૩,૨૫૦ પાઉન્ડ સહિતની વ્યવસ્થા હોય તેમને સરકારી મદદ અપાતી નથી. ઈન્ડિપેન્ડન્ટ એજ ચેરિટીના અભ્યાસ મુજબ સામાજિક સંભાળના નાણા ચુકવવા માટે ઓછામાં ઓછાં ૪૦૦ પેન્શનર દર સપ્તાહે પોતાના ઘર વેચી નાખે છે. ગત વર્ષે ૨૧,૧૨૦ પેન્શનરોએ આવું પગલું લીધું હતું, જે સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૧૧,૮૮૦ પેન્શનરોની હતી.

તાજા રિપોર્ટ અનુસાર રોયલ કમિશને ૧૯૯૯માં વ્યક્તિગત સંભાળ મફત કરવાની દરખાસ્ત કરી હતી તે પછી ૩૩૦,૦૦૦થી વધુ વૃદ્ધ લોકોએ પોતાની સંભાળના બિલ ચુકવવા પોતાના ઘર વેચવાની ફરજ પડી હતી. વૃદ્ધોની વસ્તી વધતી જાય છે અને સંભાળની કિંમત સાતમા આસમાને પહોંચી છે તેમજ પોપર્ટીના મૂલ્ય અને બચત સહિત ૨૩,૨૫૦ પાઉન્ડ સહિતની વ્યવસ્થા ધરાવનારને સરકાર મદદ આપતી નથી ત્યારે આ સમસ્યા વધુ વકરી છે.

ચેરિટીના સંશોધકોએ આ ગણતરીઓ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના ડેટા પરથી કરી છે જે અનુસાર જે લોકો પોતાના નાણાથી રેસિડેન્સિયલ કેર મેળવે છે તેમાંથી ૩૦ ટકાએ આવી સંભાળ માટે પોતાના ઘર વેચવાં પડે છે. અભ્યાસમાં ધારણા કરાઈ છે કે સોશિયલ કેરમાં સરેરાશ અઢી વર્ષનો વસવાટ થાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કેટલીક કાઉન્સિલોએ વૃદ્ધોને મૃત્યુ અગાઉ ઘર વેચવાથી બચાવવા ‘ડિફર્ડ પેમેન્ટ એગ્રીમેન્ટ્સ’ની ઓફર કરી છે.

વડા પ્રધાન બોરીસ જ્હોન્સને સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે જ સોશિયલ કેરને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ, હવે તેમાં વિલંબ થવાની તેમણે કબૂલાત કરી છે. બે દાયકાની સમીક્ષા, કમિશન્સ અને દરખાસ્તો છતાં, કોઈ સરકારો આ સમસ્યાના યોગ્ય ઉકેલની નજીક આવી નથી.

ચેરિટી દ્વારા કરાયેલા યુગવ ઓપિનિયન પોલના તારણો જણાવે છે કે ૬૫ વર્ષથી વધુ વયના લોકોને મફત અંગત સંભાળ મળે તે માટે ૭૮ ટકા મતદાતાએ તરફેણ કરી હતી. આનો અર્થ એ છે કે પોતાના જ ઘરમાં સંભાળ મેળવતાં લોકોને કોઈ ખર્ચ નહિ થાય તેમજ રેસિડેન્સિયલ કેર હોમ્સમાં સંભાળ માટે રહેનારાએ માત્ર રહેવાનો અને ભોજનનો ખર્ચ ચુકવવાનો થશે. 


comments powered by Disqus