પીઢ અભિનેતા વિજુ ખોટેનું સોમવારે ૭૭ વરસની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમના ઘણા અંગો નિષ્ક્રિય થઇ ગયા હતા. તેમણે પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. વિજુ ખોટેની ભાણેજે જણાવ્યું હતું કે, તેમનું અવસાન હોસ્પિટલમાં થાય તે તેમને પસંદ નહોતું.તેથી તેમની અંતિમ ઇચ્છાનુસાર અમે તેમને થોડા દિવસો પહેલા જ હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા હતા.
વિજુ ખોટેએ ફિલ્મોમાં ઘણા વિવિધ પાત્રો ભજવ્યા છે, પરંતુ ‘શોલે’ ફિલ્મના ‘કાલિયા’ના પાત્રથી તેમને લોકપ્રિયતા મળી હતી. આ પાત્ર માટે તેમને રૂ. ૨,૫૦૦ ફી ચૂકવાઇ હતી. વિજુ ખોટેએ પોતાની કારકિર્દીમાં ૩૦૦ થી વધુ ફિલ્મો કરી છે. હિંદીની સાથેસાથે તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ખોટેએ કોમેડી રોલ પણ તેમણે કર્યાં છે. વિજુની બહેન શુભા ખોટે જાણીતાં અભિનેત્રી છે જ્યારે શુભાની પુત્રી ભાવના બલસાવર પણ જાણીતાં અભિનેત્રી છે. ૧૯૯૩માં ટચૂકડા પડદા પર આવેલી સીરિયલ ‘જબાન સંભાલકે’એ વિજુને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તેમણે કેટલાક નાટકોમાં પણ સુંદર અભિનય આપ્યો હતો.