હવે તો ‘બુદ્ધ’ એ જ કલ્યાણ

Tuesday 01st October 2019 15:10 EDT
 

યુએન જનરલ એસેમ્બલી સમક્ષ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને તેમના પોષનારાઓની આકરી ટીકા કરી છે અને ભારતે વિશ્વને યુદ્ધ નહિ બુદ્ધ આપ્યાં હોવાનું જણાવ્યું છે. નફરત અને હિંસાની માનસિકતાના વૈશ્વિક પડકારો સામે ભગવાન બુદ્ધના શાંતિના ઉપદેશ જ કામ લાગશે. ભગવાન બુદ્ધનો સંદેશ વર્તમાનકાળમાં પણ એટલો જ સુસંગત છે જેટલો અઢી હજાર વર્ષ પહેલાં હતો. ભારત એવો દેશ છે જેની યુગો પુરાણી મહાન પરંપરા સદૈવ વસુધૈવ કુટુંબકમ્, વિશ્વશાંતિ, અહિંસા અને કરુણાની રહી છે. છતાં, તેણે અસંખ્ય વિદેશી આક્રમણો અને પરાધીનતા સહન કર્યાં છે. વિનાશકારી યુદ્ધોનાં ઘા ખમ્યા છે છતાં, શાંતિના ઉપદેશનો પ્રસાર કર્યો છે. વિશ્વમાં આજે અનેક પ્રદેશોમાં ઘોષિત-અઘોષિત યુદ્ધો ખેલાય છે. અફઘાનિસ્તાન હોય કે સીરિયા, સુદાન હોય કે સોમાલિયા અને હવે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગે છે. આવામાં ભગવાન બુદ્ધનો ઉપદેશ જ કામ લાગી શકે તેમ છે. ભગવાન બુદ્ધ જીવન જીવવાની સાચી રીત સમત્વ અથવા તો મધ્યમ માર્ગના પ્રચારક હતા. જ્યાં સમત્વ હોય ત્યાં જ શાંતિ રહે છે, યુદ્ધના ભણકારા પણ ત્યાં વાગતાં નથી.
એમ કહેવાય છે કે ‘યુદ્ધસ્ય કથા રમ્યઃ’, યુદ્ધની કથાઓ સાંભળવામાં સારી લાગે છે, પરંતુ તેનાથી પ્રસરતો વિનાશ અને બરબાદી માનવજાતને સદીઓ પાછળ ધકેલી દે છે. આમ છતાં, ઘણી વખત ન્યાય અને ધર્મની સ્થાપના માટે યુદ્ધ અનિવાર્ય થઈ પડે છે. મહાભારતના ભીષણ યુદ્ધની વાત કરીએ તો તે અન્યાય સામે ન્યાય અથવા તો અધર્મ સામે ધર્મનો જંગ હતો. માતા કુંતીએ સમય પારખીને કહ્યું હતું કે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ ભગવાન કૃષ્ણે પણ યુદ્ધને ખાળવા અને શાંતિ સ્થાપવા અનેક પ્રયાસ કર્યા છતાં યુદ્ધ તો થઈને જ રહ્યું. મહત્ત્વની નોંધવા જેવી બાબત એ છે કે ‘યુદ્ધપર્વ’ પછી જ ‘શાંતિપર્વ’ આવે છે.
ભારતે હંમેશાં શાંતિને પ્રાધાન્ય આપ્યું છે. જોકે, એક બાબતે આપણે સ્પષ્ટ રહેવું જોઈશે કે શાંતિ અને શક્તિ એક જ સિક્કાની બે બાજુ છે. જો શક્તિ હશે તો શાંતિ રહેશે. નબળી વ્યક્તિ શાંતિની વાતો કરશે તો તે કાયર જ ગણાશે. આપણે શાંતિદૂત ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ ત્યારે તેમનો શાંતિ અને અહિંસાનો સંદેશ બુદ્ધપરંપરાનો જ હિસ્સો છે. પરંતુ ગાંધીએ ખુદ ‘કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસાને પસંદ કરીશ’ તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારત પોતાના ગૌરવભંગનું અસહાય સાક્ષી બની રહે તેના કરતા પોતાના સન્માનના રક્ષણ માટે શસ્ત્રો ઉઠાવે તેમ હું ઈચ્છું.’
કેટલાય વર્ષો અગાઉ, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ઘાસ ખાઈને પણ ૧૦૦૦ વર્ષ યુદ્ધ કરવાની વાતો કરી હતી. ભારત શક્તિશાળી હોવાથી પાકિસ્તાન સફળ થઈ શકતું નથી તે અલગ વાત છે. આથી, તેણે આતંકવાદને પ્રોત્સાહન આપી પ્રોક્સીયુદ્ધ છેડ્યું છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદી પછી પાકિસ્તાન વધુ ભુરાટું થયું છે. આર્થિક પાયમાલીમાં સબડતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન આજે પણ ભારત સાથે પરમાણુ યુદ્ધ ખેલવાની ધમકી આપે છે.
ભારત અને પાકિસ્તાન યુદ્ધોન્માદને આગળ વધાર્યા વિના પોતાના વિકાસને માર્ગે આગળ વધશે તો જ સમગ્ર પ્રદેશમાં ખુશહાલી ફેલાશે. આપણે ભલે ‘હવે તો બુદ્ધ એ જ કલ્યાણ’ની વાત કરીએ, હિંસા કે યુદ્ધથી અળગાં રહીએ, પરંતુ ગૌરવપૂર્ણ અસ્તિત્વ માટે શક્તિસભર રહી ફૂંફાડા મારવાનું પણ ચાલુ રાખીએ.


comments powered by Disqus