ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ વિશ્વનો સૌથી શક્તિશાળી કેમેરો ધરાવતો ઉપગ્રહ કાર્ટોસેટ-૩ (CARTOSAT-3) અવકાશમાં તરતો મૂકીને સ્પેસ મિશન ક્ષેત્રે વધુ એક ઇતિહાસ રચવા સાથે દેશને ગૌરવ અપાવ્યું છે. ભારત માટે આ સંકુલ ઉપગ્રહનું નિર્માણ સૌથી પડકારજનક બની રહ્યું હતું, પરંતુ ભારતીય વિજ્ઞાનીઓ તેમાં જરા પણ પાછા પડ્યા નથી તે ગૌરવની બાબત છે. અવકાશ ક્ષેત્રે ભારતનો પ્રવેશ ઘણો મોડો થયો તેમ કહી શકાય તેમ છતાં, વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ તેણે ભારે હરણફાળ ભરી છે તેનો ઈનકાર થઈ શકે નહિ. ભારતના ચંદ્ર અને મંગળ મિશનોએ ભારે પ્રશંસા અપાવી છે.
અત્યાર સુધી અમેરિકી ઉપગ્રહ ‘વર્લ્ડવ્યુ-૩’નો કેમેરા વિશ્વમાં સૌથી શક્તિશાળી ગણાતો હતો, પરંતુ ભારતે તેનું સ્થાન આંચકી લીધું છે. દેશના નવમા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કાર્ટોસેટ-૩ ઉપગ્રહના કેમેરાની મદદથી ૫૦૯ કિલોમીટરની ઉંચાઈથી ૨૫ સેન્ટિમીટરની વસ્તુનો હાઇ રેઝોલ્યુલશન ફોટોગ્રાફ્સ લઈ શકાય છે. આમ તો, કાર્ટોસેટ-૩ નાગરિક ઉપયોગ હેતુનો સેટેલાઈટ છે, પરંતુ ભારતીય સુરક્ષા દળો માટે પણ તેના સર્વેલન્સ કેમેરાનું વિશેષ મહત્ત્વ રહેશે તેમાં કોઈ શંકા નથી. ભગવાન શિવજીની સંહારક ત્રીજી આંખ સમાન અત્યાધુનિક લેન્સ સાથેના આ કેમેરાથી પાકિસ્તાન સહિતના નાપાક પડોશી દેશોની ગતિવિધિઓ તેમજ આતંકી છાવણીઓ અને ઘૂસણખોરી પર બાજનજર રાખી શકાશે. વધુ ચોકસાઈથી સર્જિકલ સ્ટ્રાઈક્સને અંજામ આપી શકાય તેવી ભારતની આ સિદ્ધિથી તેમના પેટમાં તેલ અવશ્ય રેડાયું હશે.
અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો ૧૬૨૫ કિલોગ્રામનો આ સેટેલાઈટ પાંચ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેવાનો છે ત્યાં સુધી વિવિધ પ્રકારની માહિતી અને થ્રી-ડી નકશા મોકલતો રહેશે. આનાથી ભવિષ્યના વિકાસકાર્યો માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, તટવર્તી જમીનનો ઉપયોગ અને નિયમન, રોડ નેટવર્ક્સના મોનિટરિંગ, કૃષિ અને જળસ્ત્રોતો, હવામાન, ભૌગોલિક સ્થિતિઓમાં આવતા બદલાવની ઓળખમાં નોંધપાત્ર મદદ મળશે. તેનું અન્ય વિશેષ મહત્ત્વ એ છે કે પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા તો બચાવ અને રાહતકાર્યોનાં આયોજનમાં પણ તે ઉપયોગી સાબિત થશે.
આ લોન્ચિંગમાં અમેરિકાના ૧૩ કોમર્શિયલ નેનો સેટેલાઇટ્સ પણ માત્ર ૨૬ મિનિટ અને ૫૬ સેકન્ડ્સમાં સફળતાપૂર્વક એમની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરાયા છે. ઈસરોએ સૌપહેલા ૧૯૯૯માં જર્મનીનો ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં રવાના કર્યો તે પછી વિદેશી ઉપગ્રહોના પ્રક્ષેપણના ક્ષેત્રે ભારત કાઠું કાઢી રહ્યું છે. ભારતમાં ઉપગ્રહોના નિર્માણ અને પ્રક્ષેપણ સસ્તાં પડે છે તેમજ ટેકનિકલ કૌશલ્ય બેનમૂન હોવાથી વિશ્વબજારમાં તેની નામના વધી છે. નોંધપાત્ર બાબત એ કહી શકાય કે ભારતે આ સાથે પરદેશી સેટેલાઈટ લોન્ચિંગની ત્રેવડી સદી (૩૧૦) નોંધાવી છે. ગયા સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમ ચંદ્રની ધરતી પર પગ મૂકવાનો વિક્રમ સર્જી ન શક્યું તેની નિષ્ફળતા તેમજ હાલમાં આખરે ચંદ્રયાનના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળ્યો તેની ઘોર નિરાશાને ભૂલાવી માર્ચ ૨૦૨૦ સુધીમાં વધુ ૧૩ ઉપગ્રહો લોન્ચ કરવાની તૈયારી કરાઈ રહી છે. આ માટે ઈસરો, તેના વડા ડો. કે. સિવન અને તેના સક્ષમ વિજ્ઞાનીઓ પ્રશંસાને પાત્ર છે. પ્રસિદ્ધ ઉર્દૂ શાયર ડો. મોહમ્મદ ઈકબાલે સાચું જ લખ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી...’