કોઈ તો કહી દો વાયરાને કે ધીમે ધીમે વાય,
રેશમ સરખી સાડી મારી ઉડી ઉડી જાય !
વારંવારે આંગણું વાળુ ધૂળના ઢગલા થાય
દિશા તારી જરાક બદલું તો ઘરમાં ઘૂસી જાય !
કહી દો પેલા વાદળને કે, ‘ના’ ગમે ત્યાં વરસી જાય
કસ કસ પે‘ર્યો કબજો મારો પલળી પલળી જાય !
મન મૂકીને ભલે વરસ તું સગલો મારો ભાય,
મહા મે‘નતે વાવેલ મારો બાજરો સુકઈ જાય !
કહી દો પેલા સુરજને કે ધીમે ધખતો જાય,
ધોમ ધોમ ધખતા તાપે મારો ‘વર’ પરસેવે ના‘ય !
બળ્યું !! દા‘ડે તો ઠીક, હું સહન કરી લઉં ભાય,
અડધી રાતે એ પડખે સરકે મુજને કેવું થાય !
આટ આટલા ભગવાનો ને અનેક દેવને દેવી,
‘ધા’ નાખતી હું ફરું છું મંદિરોને દેરી !
કો‘ક તો કહી દો સખણા ચાલે ત્રણેય છછુંદર,
પગે પડીને ભઈલા માગુ હું નિરાંતની નીંદર !!
(દાક્તર સાહેબ, પ્રતિષ્ઠિત સમાજસેવક, પત્ર લેખક હવે કવિ સ્વરૂપે. હાર્દિક આવકાર - તંત્રી)