મહારાષ્ટ્રમાં એક મહિના લાંબા નાટ્યાત્મક ઘટનાક્રમો પછી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનપદે શિવસેના-એનસીપી-કોંગ્રેસની ત્રિપાંખી સરકાર અસ્તિસ્વમાં આવી છે. સારી વાત છે કે સરકારે વિશ્વાસનો મત હાંસલ કરી લીધો છે પરંતુ, સરકાર કેટલું લાંબુ ચાલશે તેવો પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકારે ચતુર રાજકારણી શરદ પવારની એનસીપી અને સોનિયા ગાંધીની કોંગ્રેસ - એમ બે કાખઘોડીના સહારે ચાલવાનું છે. સાચી વાત તો એ છે કે સત્તામાં સહભાગિતા અને વૈચારિક મતભેદ બે મહત્ત્વના મુદ્દા બની રહેશે. દરેક સરકાર આપતી હોય છે તેમ ઠાકરે સરકારે પણ ખેડૂતો, રોજગાર, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, મહિલાઓ, શિક્ષા, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે.
ત્રણે પક્ષો દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતી સધાઈ છે તેમાં સેક્યુલારિઝમ કે ધર્મનિરપેક્ષતાનો મુદ્દો મહત્ત્વનો છે. ઠાકરે સરકારે કહેવાતા બિનસાંપ્રદાયિક મૂલ્યો પર અડગ રહેવાની વાત ઉચ્ચારી છે જે ખરેખર તો શિવસેનાના લોહીમાં જ નથી. અત્યાર સુધી હિન્દુત્વની વિચારધારા પર ચાલતી શિવસેનાના નેતાને જ્યારે સાવરકર અને હિન્દુત્વના મુદ્દે સવાલ પૂછાયો ત્યારે હિન્દુત્વ સાથે જોડાયેલો સવાલ ટાળી દેવાયો હતો.
મહારાષ્ટ્રના મજબૂત ઠાકરે પરિવારનો પહેલો સભ્ય મુખ્ય પ્રધાન પદે આવ્યો છે ત્યારે ફોટોગ્રાફીમાં વિશેષ રસ ધરાવતા ઉદ્ધવ ઠાકરેના બિનઅનુભવ વિશે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકીય શાસન તેમજ વહીવટ કરવાનો અનુભવ ન હોવાથી રાજ્યના અર્થતંત્ર સહિતના અનેક પડકારોનો સામનો કરી શકશે કે કેમ? જોકે, પાઈલટમાંથી વડા પ્રધાન બનેલા રાજીવ ગાંધી પાસે પણ આવો અનુભવ ન હતો છતાં તેમણે શાસન ચલાવ્યું હતું. અલબત્ત, કોંગ્રેસના રાજીવ ગાંધી પાસે સંપૂર્ણ બહુમતી હતી, જે ઉદ્ધવ ઠાકરે પાસે નથી. આમ છતાં, બાળાસાહેબ ઠાકરેના નિધન અને રાજ ઠાકરે જેવા મજબૂત સંગઠનકર્તા સાથે ન હોવાં છતાં ઉદ્ધવે પક્ષને સારી રીતે ચલાવ્યો છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી શિવસેના જે મોટાભાઈ ભાજપની આંગળી પકડીને ચાલતો હતો તે પરિસ્થિતિ હવે રહી નથી. ભાજપે હવે કાઠું કાઢી લીધું છે, લોકપ્રિયતા હાંસલ કરી છે, પરંતુ તેણે ઉદારતા દાખવી નથી તે પણ હકીકત છે. પરિણામે, ભાજપે સત્તા ગુમાવવી પડી છે અને સામા પક્ષે શિવસેનાને પ્રખર વિરોધી કોંગ્રેસ સાથે બેસવાનો વારો આવ્યો છે.
સામાન્યપણે વિચારધારા અને એજન્ડામાં સમાનતા સાથે ગઠબંધનો રચાતાં હોય છે, પરંતુ ચૂંટણી પછી માત્ર સત્તાના આધારે રચાતાં જોડાણોમાં નિયમ કે સિદ્ધાંતોનો છોછ રખાતો નથી. જોકે, રાજકારણમાં પણ તકનો લાભ લઈ લેવાનો સિદ્ધાંત જ કેન્દ્રસ્થાન ધરાવે છે. વિરોધી વિચારસરણી ધરાવતા મોટા ભાગના ગઠબંધનો લાંબો સમય ટકે નહિ તે સ્વાભાવિક છે. માયાવતી અને મુલાયમ સિંહ તેમજ માયાવતી-ભાજપ વચ્ચે પણ તડ-જોડની સરકાર લાબું ચાલી નથી. આમ છતાં, કેટલાક ગઠબંધનો ટકે પણ છે. અગાઉ ભાજપનો તીવ્ર વિરોધ કરનારા રામવિલાસ પાસવાન અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ભાજપની સાથે જ છે. તામિલનાડુમાં મૂળ કોંગ્રેસની વિરોધી ડીમએમકે પાર્ટીએ કોંગ્રેસ સાથે રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં ભાગબટાઈ કરેલી જ છે. કોંગ્રેસના પ્રખર વિરોધી ડાબેરી પક્ષોએ ૨૦૦૪માં કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા તે દૂરની વાત નથી.
જોકે, મહારાષ્ટ્રમાં અલગ મુદ્દો છે. મહારાષ્ટ્રમાં મતદારોએ ભાજપ-શિવસેના ગઠબંધન સત્તા પર આવે તેના માટે જ મત આપ્યા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ છે. લોકપ્રિયતા મેળવવા અને સત્તા ટકાવી રાખવા ઉદ્ધવ સરકારે વચનપૂર્તિ કરવી પડશે. સત્તાસ્થાનોની વહેંચણીમાં પણ દોરીસંચાર તો આ ગઠબંધનના શિલ્પી ગણાતા શરદ પવારના હાથમાં જ રહેશે તેમ જણાય છે. કોંગ્રેસને સાથે રાખવાની મથામણ રહેવાં છતાં સત્તામાં બાધક હોય તેવા કોઈ મુદ્દે તેનાથી અલગ થઈ માત્ર શિવસેના-એનસીપી સરકાર ચાલુ રાખવામાં પણ કોઈ મુશ્કેલી નડશે નહિ. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસના માથે ગઠબંધન તોડવાના માછલાં ધોવાશે તેમાં કોઈ શંકા નથી. એનસીપી અને કોંગ્રેસની કાખઘોડીના સહારા સાથેની આ સરકાર ટકાવી રાખવાની સંપૂર્ણ જવાબદારી શિવસેના અને ઉદ્ધવ ઠાકરેના શિરે જ રહેશે.