ભારતના રાજકારણમાં ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે ઓળખાતી કોંગ્રેસ પાર્ટીની હાલત દયાજનક થતી જાય છે. ‘નવી અને જૂની પેઢી’ના નેતાઓ વચ્ચેના આંતરિક વિખવાદે કોંગ્રેસને મરણપથારીએ પહોંચાડી દીધી છે. ‘ત્રણ સાંધે ત્યાં તેર તૂટે’ની રાજકીય પરિસ્થિતિમાં કયા રાજ્યમાં બળવાની હાલતને કેવી રીતે નાથવી તેની મૂંઝવણ વધતી જાય છે, જેનું વર્તમાન ઉદાહરણ રાજસ્થાનનું આપી શકાય. થોડા મહિના અગાઉ જ મધ્ય પ્રદેશમાં પણ કમલનાથ અને દિગ્વિજયસિંહ જૂથો સાથે આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા પ્રબળ નેતા અને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાનમાં હવે હાઈ કોર્ટ અને તેના પછી વિધાનસભામાં જૂની પેઢીના પ્રતીક મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને બળવાખોર યુવાનેતા સચિન પાયલોટનું ભાવિ ઘડાય ત્યાં સુધી રાહ જોવી રહી પરંતુ, ચોતરફ આગ લાગી હોય ત્યારે શું કરવું તેનું આંતરમંથન કર્યા વિના જ કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરી થાગડથીગડ પગલાં લઈ રહી છે. હકીકતે કોંગ્રેસમાં ‘બાર ભાયા અને તેરા ચોકા’ની પરિસ્થિતિ દાયકાઓથી રહી છે. દરેક નેતાને મુખ્ય પ્રધાન બનવું છે અને સેવાના નામે મેવા ખાવા છે પરંતુ, સત્તા વિના સેવા કેવી રીતે કરવી તે સમજાતું નથી.
નવયુવાન રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું તેની પાછળ પણ અડીખમ વૃદ્ધનેતાઓ જ જવાબદાર હતા.
સોનિયા ગાંધીએ કાર્યકારી અધ્યક્ષપદ સ્વીકાર્યાં પછી પણ કોંગ્રેસની સમસ્યાઓ યથાવત્ જ છે. રાહુલની નિકટ મનાતા સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હેમંત બિસ્વા શર્મા અને અશોક તંવર જેવા યુવાન નેતાઓએ કોંગ્રેસનો હાથ અને સાથ છોડ્યો તેના પાછળ રાહુલ ગાંધીની નબળી નેતાગીરી કારણભૂત હોવાનું અવશ્ય કહી શકાય. આજે પણ કોંગ્રેસના નેતૃત્ત્વનો સવાલ તો ખડો જ છે. સોનિયા ગાંધીનું વર્ચસ્વ પહેલાં જેવું રહ્યું નથી, પ્રિયંકા ગાંધી સામે ખુદ રાહુલનો વાંધો હોવાનું કહેવાય છે ત્યારે ગાંધી પરિવારના પૂજારી નેતાઓની નજર તેમના સિવાય કશું નિહાળતી નથી. આજે કોંગ્રેસ પાર્ટી સુકાની વિનાના જહાજની જેમ ગોથા ખાય છે.
એમ કહેવાય છે કે ઘરડાં ગાડા વાળે પરંતુ, દરેક વખતે એમ હોતું નથી. મધ્ય પ્રદેશ અને આસામમાં પાયલોટ અને હિમંતા બિશ્વા શર્માએ કરેલી મહેનતનું ફળ વૃદ્ધ નેતાઓ ચાખી રહ્યા હતા. આનાથી ત્રાસીને યુવાનેતાઓ ભાજપમાં જોડાવા મજબૂર બન્યા હતા. રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ બળવાખોર મિજાજ દર્શાવનારા સચિન પાયલોટને છેવટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ નાયબ મુખ્ય પ્રધાનપદેથી દૂર કરી દેવાયા છે ત્યારે તેઓ પોતાના જૂથ સાથે ભારતીય જનતા પક્ષનો ‘હાથ’ પકડી લેશે તે માત્ર સમયનો સવાલ રહ્યો છે.
હકીકત તો એ છે કે પાયલોટને દૂર કર્યા બાદ પણ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પરનું સંકટ ટળ્યું હોય એવું લાગતું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા પર લાવવા ભારે મહેનત કરનારા સચિન પાયલોટ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા રાખે તે અજુગતું ન કહેવાય પરંતુ, ગેહલોતને ફરી મુખ્ય પ્રધાન બનાવી દેવાયા તેનો આંચકો પાયલોટ હજુ સહન કરી શક્યા નથી. હકીકતમાં ભાજપે સમગ્ર પ્રકરણમાં ચૂપકીદી સેવી રાખી છે કારણ કે તેની પાસે સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબળ નથી અને વર્તમાન રાજશતરંજમાં પાયલોટ પર જ તેમનો આધાર છે.
ભાજપ ત્રીજી રાજકીય પેઢી તૈયાર કરવામાં સક્રિય છે ત્યારે ભૂતકાળમાં રાચી રહેલી કોંગ્રેસમાં યુવા નેતાઓની અવગણના કરાઈ રહી છે. જૂની ઘરેડમાં રહેવાનું કોઈ રાજકીય પક્ષને પોસાય તેમ નથી પરંતુ, કોંગ્રેસ જૂના અનુભવોમાંથી પણ કશું શીખવા તૈયાર હોય તેમ જણાતું નથી.