આતંકવાદ સંદર્ભે યુએન દ્વારા ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે જેમાં, દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના આતંકવાદીઓ મોટી સંખ્યામાં કાર્યરત હોવાની ચેતવણી અપાઈ છે. આઇએસ, અલ-કાયદા અને તેમની સાથે જોડાયેલા આતંકીઓ કે સંગઠનો સંબંધિત એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરિંગ ટીમના ૨૬મા રિપોર્ટમાં વધુ કહેવાયું છે કે ISISએ ભારતમાં પગ પેસારો કરી લીધો છે અને તેની શાખાને વિલાયાહ ઓફ હિન્દ નામ અપાયું છે. અફઘાનિસ્તાનના તાલિબાન હેઠળના નિમરુઝ, હેલમાન્ડ અને કંદહાર પ્રાંતોમાં કાર્યરત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) ભારતીય ઉપખંડમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સંગઠને ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમારના ૧૮૦થી ૨૦૦ આતંકવાદીની ભરતી કરેલી છે.
ભારત સહિત વિશ્વમાં કટ્ટર ખિલાફત સ્થાપવાની ખ્વાહિશ ધરાવતું આ સંગઠન ISIL (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવેન્ટ) નામથી પણ જાણીતું છે. ગત વર્ષની મે મહિનામાં કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પછી ઇસ્લામિક સ્ટેટ દ્વારા દક્ષિણ ભારતના જંગલોમાં નવો પ્રાંત વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત) સ્થાપવાનો દાવો કરાયો હતો. જોકે, જમ્મૂ-કાશ્મીર પોલીસે આ દાવાને નકારી દીધો હતો.
યુએનનો રિપોર્ટ ISIS હવે ભારત માટે જોખમી બન્યું હોવાનો પ્રશ્ન ઉભો કરે છે. વધુ ચોંકાવનારી બાબત એ કહી શકાય કે કોવિડ-૧૯ મહામારીના નામે લોકો પાસેથી નાણા ઉઘરાવાઈ રહ્યા છે. તેના દ્વારા પ્રકાશિત એક પત્રિકામાં મહામારીને અવસર ગણાવી મુસ્લિમ સમુદાયના લોકોને કોવિડ કેરિયર્સ બનીને દેશમાં વાઈરસ - કોરોના જેહાદ ફેલાવવા ઉશ્કેરણી કરાઈ છે. આ જેહાદના તાર મૌલાના સાદ અને તેમની તબલિગી જમાત સાથે જોડાયેલાં હોવાનું પણ કહેવાય છે. લોકડાઉનના ગાળામાં પ્રકાશિત એક મેગેઝિનમાં કોરોનાને ફેલાવવા બદલ મૌલાના સાદની પ્રશંસા પણ કરવામાં આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને આની તપાસમાં સફળતા પ્રાપ્ત થઈ છે તે પરિસ્થિતિની ગંભીરતા પણ દર્શાવે છે. એજન્સીઓ દ્વારા આ મામલે ઘણા લોકોની ધરપકડ કરાઈ છે અને તેઓ CAA (નાગરિકતા સંશોધન કાયદો) અને NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર)ના નામે યુવાનોને ગેરમાર્ગે દોરી બગાવત માટે ઉશ્કેરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. વાત આટલેથી અટકતી નથી. દિલ્હીમાં લોન વુલ્ફ એટેક તેમજ આતંકવાદી હુમલા કરાવવા વિસ્ફોટકોની માંગણી પણ કરવામાં આવતી હતી.
યુએન રિપોર્ટ હમણા આવ્યો પરંતુ, ભારતીય એજન્સીઓ આ બાબતે છેક ૨૦૧૬થી સતર્ક છે તે સારી વાત છે. સત્તાવાળાઓ કહે છે કે કર્ણાટક કરતાં કેરળ અને તામિલનાડુમાં વિવિધ જેહાદી મોડ્યુલ્સ સાઉથ ઈન્ડિયામાં હુમલાઓ કરાવવાની યોજનાઓ ઘડે છે અને તેને અંજામ આપે છે. નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA)ના રડાર પર રસપ્રદ બાબત આવી છે કે ISIS સંબંધિત નેટસર્ફિંગ સૌથી વધુ કેરળમાં થાય છે અને તે પછી તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય આવે છે. આ કટ્ટરવાદી સંગઠનમાં સૌથી વધુ ભરતી કેરળમાંથી થઈ છે. તાજેતરમાં ISISના વર્ચસ્વ ધરાવતા પ્રદેશોમાં કેરળના મુસ્લિમોનું પ્રમાણ વધુ જોવાયું છે. તેમાંથી મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનથી જોડાયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાનની એજન્સીઓનો દોરીસંચાર ચાલતો હોય તેમ પણ બની શકે છે. ભારતે વધુ સાવધ રહેવાની આવશ્યકતા છે.