વાંકદેખું પાકિસ્તાન કોઈ જગ્યાએ ભારતનું મહત્ત્વ સાંખી શકતું નથી અને તેના નેતાઓ કે પ્રતિનિધિઓ હાસ્યાસ્પદ વાણીવિલાસ માટે વધુ પ્રખ્યાત છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુનાઈટેડ નેશન્સની ૭૫મી મહાસભામાં સંબોધન દરમિયાન ભારતવિરોધી રાગ આલાપતા આક્ષેપોની ઝડી વરસાવતા કહી નાખ્યું કે ભારતની વર્તમાન સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ -RSS)ના ઈશારે ગાંધી અને નહેરુના ધર્મનિરપેક્ષ મૂલ્યોને છોડીને ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. ઈમરાને નિમ્ન સ્તરના પ્રવચનમાં બાબરી ધ્વંસનો ઉલ્લેખ કરવા સાથે ભારતને યુદ્ધની આડકતરી ધમકી પણ આપી દીધી હતી અને કાશ્મીર વિવાદ ફરી છેડ્યો કે નહિ તે હવે વિચારવાની બાબત રહી જ નથી કારણકે આ મુદ્દે ભારતદ્વેષ પાકિસ્તાનના લોહીમાં વણાયેલો છે.
ઇમરાન ખાને વિશ્વમંચ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આક્ષેપાત્મક ઉલ્લેખ કરીને તેને ભારે પ્રસિદ્ધિ આપી છે. સંઘ એવી સંસ્થા છે જે, પ્રસિદ્ધિની મોહતાજ નથી કારણકે તેને સામાજિક ઉત્થાનની કામગીરીમાં જ રસ છે. હકીકત એ છે કે પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર છે પરંતુ, ત્યાં ઈસ્લામધર્મીઓ સાથે સમાન વર્તન થતું નથી. અન્ય દેશો અને ખાસ કરીને ભારતમાંથી પાકિસ્તાનને વતન બનાવવા પહોંચેલા મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક- મોહાજિર ગણવામાં આવે છે. ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને તે પોતાના મૂલ્યોને જીવે છે. અહીં મુસ્લિમ, બૌદ્ધ, પારસી, યહુદી કે ખ્રિસ્તી સહિત તમામ ધર્મોનો દરજ્જો એકસમાન છે. ખુદ આરએસએસએ પણ કદી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તરફેણ કરી નથી. સંઘના મતે હિન્દ એટલે કે ભારતમાં વસનારા તમામ હિન્દુ છે, ભલે તેમનો ધર્મ અલગ હોય. RSSની સ્થાપના સમગ્ર દેશના નાગરિકોના ઉત્થાનની ભાવનાથી ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારે ૧૯૨૫માં કરી હતી. તેનો મુદ્રાલેખ જ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનના કાર્યનો રહ્યો છે.
સંઘ દેશવિરોધી હોવાનો પ્રચાર શરુઆતથી થતો રહ્યો છે પરંતુ, ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ સમયે સંઘે જ લોકોમાં દેશદાઝ પ્રબળ બનાવવામાં નેહરુ સરકારને મજબૂત સાથ આપ્યો હતો. એ હકીકત છે કે સંઘની સ્થાપના ચૂસ્ત હિન્દુઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ, આજે મુસ્લિમો પણ સંઘના કાર્યકરો છે. સંઘના કાર્યકરો દેશમાં કોઈ પણ આફત સમયે લોકોની વહારે દોડી જાય છે. આફતગ્રસ્ત લોકો પરધર્મી છે કે લઘુમતી વર્ગના છે તે જોવાતું નથી.
પાકિસ્તાન ખુદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદનું પ્રચારક અને પ્રસારક છે. તે પોતાની ભૂમિ પર ઉછરેલા આતંકવાદીઓને ઉત્તેજન આપતું રહે છે પરંતુ, વિશ્વમાં ઈસ્લામોફોબિયાની વાતો કરતું ફરે છે. ઇમરાન ખાને તો એટલે સુધી ફરિયાદ કરી છે કે સૌથી વધારે ફિદાઈન હુમલા હિન્દુ તામિલ ટાઇગર્સે કર્યા હતા પરંતુ, હિંદુઓને કોઈ દોષ આપતું નથી. આમાં જ ઈમરાનની વરવી માનસિકતા છતી થાય છે. વિશ્વભરમાં મોટા ભાગના આતંકવાદી હુમલાઓમાં કોણ સામેલ છે તે સર્વવિદિત છે. આપણે ભલે કહીએ કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી પરંતુ, ઈમરાન સ્ટાઈલના આતંકવાદને તો ધર્મ હોય જ છે.