ભારતમાં કોરોના વાઇરસનો પ્રસાર કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. કોરોના વાઇરસની મહામારી ફેલાતી અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ અમલી છે ત્યારે તેની નોંધપાત્ર અસરને નહિવત્ બનાવતી બેદરકારી અને બેજવાબદારીની પરાકાષ્ઠાસમાન ઘટના રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ઈસ્લામિક તબલીગી જમાતના મરકઝ અથવા તો મુખ્ય મથક ખાતે ધાર્મિક સંમેલન થકી જોવા મળી છે. લોકડાઉનનો મૂળ હેતુ લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને દેશમાં કોરોના વાઇરસના ફેલાવાની સાંકળ તૂટે તેવો હતો પરંતુ, દિલ્હીની ઘટનાએ તો કોરોના વાઇરસના સંક્રમણની નવી જ સાંકળ શરૂ થવાનું જોખમ સર્જ્યું છે.
માર્ચ મહિનાથી શરૂ થયેલા તબલીગી જમાતના ધાર્મિક સંમેલનમાં દેશવિદેશના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર હતા જેમાંથી કોરોનાનો ચેપ કોણ લઇને આવ્યું હશે તેમજ કોને અને ક્યારે ચેપ લાગ્યો હશે તે સ્પષ્ટ કહી શકાતું નથી પરંતુ, આ લોકો પોતાના રાજ્યોમાં પહોંચી ગયા પછી કોરોના સંક્રમણના કેસ મોટી સંખ્યામાં સામે આવ્યા બાદ દેશમાં હાહાકાર મચી ગયો છે. જમાતમાંથી પાછા ફરેલા લોકોમાંથી તામિલનાડુ, દિલ્હી, તેલંગણ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આસામ, કાશ્મીર અને ગુજરાતથી માંડી છેક કેરળ અને આંદામાન સુધી કોરોના વાઇરસ ફેલાયો છે. દેશમાં કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો હતો અને નવા સંક્રમણના અચાનક વધેલા કેસ સાથે લોકલ ટ્રાન્સમિશનનો ભય વ્યાપી ગયો છે અને લોકડાઉન પર પાણી ફરી વળ્યું છે તેમ કહી શકાય. આજે પરિસ્થિતિ એવી છે કે દેશમાં સંક્રમણના ૩૩ ટકા કેસ તબલીગી અનુયાયીઓ સાથે સંકળાયેલા છે.
જમાતના કાર્યક્રમના આયોજકો અનુસાર આ મેળાવડો શરૂ થયો ત્યારે દેશમાં લોકડાઉન લાગુ નહોતું થયું પરંતુ, આ દલીલ બેજવાબદારી છતી કરે છે. લોકડાઉન પહેલા જ દિલ્હી સરકારે કોઇ પણ સ્થળે પાંચથી વધુ લોકોના એકત્ર થવાને પ્રતિબંધિત કરતી ૧૪૪મી કલમ લગાવી હતી ત્યારે મરકઝમાં આટલી મોટી સંખ્યામાં તબલીગીઓ કેવી રીતે હાજર રહી શકે તે મોટો પ્રશ્ન છે. સેન્ટરમાં ૧૦૦૦ જેટલા લોકો લોકડાઉનના કારણે ફસાયાનું કહેવાયું પરંતુ, પોલીસની કામગીરીમાં ૨૫૦૦ની આસપાસ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી ઘણા ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા. તબલીગી જમાતના અનુયાયીઓ ક્યાં ગયા, કોને મળ્યા તેને શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડનના નિષ્ણાત ડોક્ટર હ્યૂજ મોન્ટેગોમેરીનું કહેવું છે કે કોરોના વાઇરસનો એક પેશન્ટ અન્ય ૫૯,૦૦૦ સુધી લોકોને ચેપ લગાવી શકે છે તો આ રીતે ફેલાઈ ગયેલા સંક્રમિતો કેટલા પ્રમાણમાં ચેપ ફેલાવી શકે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
આ સમગ્ર ઘટનામાં દુનિયાના ૮૦ દેશમાં ફેલાયેલી અને કટ્ટરવાદી ઈસ્લામના પ્રચાર અને પ્રસાર માટે ૧૫ કરોડ જેટલા અનુયાયીઓ તેમજ આતંકવાદી સંગઠનો સાથેનો ઈતિહાસ ધરાવતી તબલીગી જમાતના કટ્ટર ઈસ્લામી વડા મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી મુખ્ય વિલન દેખાય છે. તેમણે ધર્મસભાને સંબોધતાં સમુદાયના લોકોને એવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે કોરોના જેવું કાંઈ જ નથી. તેમણે લોકડાઉનને મુસ્લિમ વિરોધી નિર્ણય ગણાવતા કહ્યું હતું કે મુસ્લિમો એકબીજાને મળી ન શકે, સામૂહિક નમાજ અદા ન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. તેમનો કટ્ટરવાદ એટલો જંગલી છે કે કોરોનાની હોસ્પિટલમાં સારવાર કરાવવી નહિ, મસ્જિદમાં નમાઝ પઢવાથી કોરોના થાય નહિ અને મસ્જિદમાં મરવાથી જન્નત મળશે, ૭૦,૦૦૦ દેવદૂત તમારી સાથે હોય તો તમને કોણ મારી શકશે તેવા દાવાઓ સાથે કટ્ટરતાની અફીણની ગોળી પીવડાવતા પણ મૌલાના અચકાયો ન હતો. લોકો મરવા લાગ્યા છે ત્યારે આ કહેવાતો ધર્મગુરુ તેમને ‘રાહ દર્શાવવાના બદલે’ છુપાઈ ગયો છે.
જોકે એક સારી બાબત એ છે કે ભારતના મોટા ભાગના મુસ્લિમ નેતાઓએ મૌલાના સાદની કરણી અને કથનીને વખોડી નાખી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ધર્મના પરિબળને બાજુએ રાખી કોરોના વાઇરસ સામેની લડત વધુ જલદ બનાવીએ તે જ આ સમયની માગ છે.