નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ના ગ્લાનિભર્યા વાદળોની વચ્ચે નામદાર મહારાણીનું સંબોધન આશાના તેજકિરણ સમાન જણાયું છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સદીમાં એકાદ વખત આવતી માનવીય કટોકટી સામેના જંગમાં પરોવાયેલા રાષ્ટ્ર અને કોમનવેલ્થને અતિ આવશ્યક આશા અને વિશ્વાસનો ડોઝ ઓફર કર્યો છે.
૯૩ વર્ષના મહારાણીએ કરોડો લોકોના હૃદયને સ્પર્શી જતો સુંદર સંદેશો પાઠવ્યો છે કે, ‘આપણે સફળ થઈશું અને આ સફળતા આપણા દરેકની હશે.’ આ સંદેશાએ નવી ઊર્જા અને વિશ્વાસનો સંચાર કર્યો છે.
મારા માફક, અહીંના અને વિદેશના કરોડો લોકો તેમના પ્રેરણાદાયી સંબોધનથી ચોક્કસ રાહતને પામ્યા હશે.
હું, એક પ્રકાશક અને તંત્રી તરીકે સાચી અને ચોકસાઈપૂર્ણ માહિતી આપવાની સાથે જ મારા વાચકોમાં પ્રેરણા અને ઊર્જાનો સંચાર કરવાની વજનદાર (મારા ખભા માટે તે બહુ ભારે છે) જવાબદારીનું વહન કરું છું. પ્રિય મિત્રો, ગત થોડા દિવસોની મારી પીડા અને સંતાપમાં હું આપને સહભાગી બનાવવા ઈચ્છું છું.
કોવિડ-૧૯ના કારણે સર્જાયેલા સામાજિક-આર્થિક સુનામીએ સમગ્ર વિશ્વમાં કિનારાઓ તોડી નાખી પીડાનાં વિશાળ મોજાં ફેલાવ્યાં છે. તેની અસર બધાને થઈ છે અને કેટલાકને અન્યો કરતા થોડી વધુ થઈ છે. જે લોકો સમાજના નીચલા સ્તરમાંથી અને ખાસ કરીને શારીરિક અથવા માનસિક બીમારી ધરાવતા હોય તેમને સૌથી વધુ અસર થઈ છે.
યુકે અને ભારત તેમજ અન્ય દેશોની સરકારો આ મહામારીના ઊંચે જતાં વળાંકને નીચે લાવવા ભારે મથામણ કરી રહી છે. યુકેમાં બોરિસ જ્હોન્સનની સરકાર મહામારી સામે મોડો પ્રતિભાવ આપવા બદલ ટીકાઓનો ભોગ બની છે. સરકારના પક્ષે અપૂરતી ટેસ્ટિંગ સુવિધાઓ તેમજ વાઈરસ સામે મોખરે રહીને લડતા હેલ્થ વર્કર્સ અને ડોક્ટર્સને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટની અછતનો મુદ્દો નિરાશાજનક બની રહ્યો છે.
ભારત પ્રમાણમાં મર્યાદિત સ્રોતો સાથેનો દેશ છે ત્યાં સરકાર અને લોકો સમક્ષના પડકારો વધુ છે. કેટલીક ફરિયાદો અને અને ટીકાએ થોડાઘણા અંશે યોગ્ય પણ છે. પરંતુ, અંગત રીતે કહું તો કેટલાક લોકોના પૂર્વગ્રહો અથવા અગાઉથી માની લીધેલી બાબતોમાંથી ઉદ્ભવતી આ વાતોમાં અતિશયોક્તિ હોવાનું વધુ જણાય છે.
ભારત કેટલીક મર્યાદાઓ સાથે તંદુરસ્ત લોકશાહી અને ઉભરતી ઈકોનોમી છે. તેની ૧.૩ બિલિયનની વસ્તી ત્રણ સપ્તાહ લાંબા લોકડાઉનમાં સાથ આપી રહી છે. સૂચનાઓ ચૂંટાયેલી સરકાર પાસેથી આવે છે પરંતુ, તેનો સફળ અમલ કેન્દ્રને લોકોના સહકારનું પ્રતિબિંબ પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલો-દીવા, મિણબત્તી અથવા ટોર્ચ પ્રગટાવવા, ઘરની સરહદમાં રહીને હેલ્થ વર્કર્સને બિરદાવવા- આ બાબતોએ લોકોના ઉત્સાહને ઊંચો રા્યો છે અને આફત સામે એકતા જાળવવામાં મદદ કરી છે. મારું વિનમ્રપણે માનવું છે કે અત્યાર સુધી તો ભારત તેની તમામ મર્યાદા અને વિરોધાભાસોની મધ્યે આફતને ટાળી શક્યું છે.
કોવિડ-૧૯ની મહામારીએ મને બીજા વિશ્વ યુદ્ધની યાદોનું સ્મરણ કરાવ્યું છે, જ્યારે ભારત પર રાજ કરી રહેલી ઈમ્પિરિયલ સરકારે ત્યાંથી મિત્ર દેશોના લશ્કરી દળોને ખવડાવવા અનાજ મોકલ્યું હતું જેના પરિણામે બંગાળના ૪૦ લાખ લોકોને ભૂખમરાથી મરવાનો વારો આવ્યો હતો.
આ દિવસોમાં માઈગ્રન્ટ ઈન્ડસ્ટ્રી અને ખેતમજૂરો, પોતાના ખભાઓ પર બાળકો ઉંચકી અને હાથમાં સામાનના પોટલાં રાખીને ઘર દેખાતું પણ ન હોય અને સેંકડો માઈલ ચાલતા ઘરે પહોંચવા નીકળ્યા હોય તે જોવું પણ દુઃખદાયી છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, યુવાન અને વૃદ્ધ, ભયના માર્યા, લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાં જીવવા કરતા કોવિડ-૧૯થી મરવું સારું તેમ વિચારતા નીકળી પડ્યા હોય ત્યારે તેમની મુશ્કેલીઓ કોઈ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી.
અગાઉની સરખામણીએ આ સમયે પણ હું આપણા પ્રાચીન શાસ્ત્રોના શરણમાં વધુ રહેતો હોઉં છું. કેટલાક શબ્દો મારા મનમાં રણકાર કરતા રહે છે. મેં યુકેના ભારતીય વિદ્યા ભવન સેન્ટરના રેસિડેન્ટ ડાયરેક્ટર ડો. નંદકુમાર સાથે વાત કરી તો તેમણે તુરત મને થોડાક સુભાષિત મોકલી આપ્યું, જે આ છેઃ
मस्ते दुःसहवेदनाकवलिते मग्ने स्वरेन्तर्गलं
तप्तायां ज्वरपावकेन च तनौ म्लाने हृषीकव्रजे
दूने बन्धुजने कृतप्रलपने धैर्यं विधातुः पुनः
कःशक्तः कलितामयप्रशमनो वैद्यात परः विद्यते.
જ્યારે અસહ્ય શિરદર્દ હોય, ગળામાં પીડા સાથે અવાજ પણ નબળો પડી ગયો હોય, જ્યારે તીવ્ર તાવ-જ્વર હોય, કેટલાંક અવયવો- ઈન્દ્રિયો બરાબર કામ કરતી ન હોવાથી શરીર નબળું પડી જાય, જ્યારે સગાંસંબંધીઓ પણ દુઃખમાં આવી જાય, જ્યારે આપણી આંતરિક હિંમત અને તાકાત પણ સંપૂર્ણપણે છોડી ગયેલાં જણાય તેવા સમયે ડોક્ટર સિવાય બીજું કોણ છે જે દર્દીની ચિંતાને ઘટાડી શકે
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ।।
સનાતન પ્રાર્થના
બધા લોકો સુખી-આનંદિત રહે, બધાં જ બીમારીથી દૂર સ્વસ્થ રહે
બધા લોકો શુભતાનો અનુભવ કરે અને કોઈને દુઃખનો અનુભવ ન થાય.
उदये सविता रक्तः रक्तस्चास्तमने तथा ।
सम्पत्तौ च विपत्तौ च महताम् एकरूपता ।।
સુભાષિતમ
સૂર્યનો ઉદય થાય છે ત્યારે તેનો રંગ લાલ હોય છે અને તેનો અસ્ત થાય છે ત્યારે પણ તે લાલ જ હોય છે. આ જોઈને આપણે એવા નિર્ણય પર આવી શકીએ કે ઉમદા લોકો, હિંમતવાન લોકોમાં સમૃદ્ધિ અને આપદા સમયે કોઈ પરિવર્તન આવતું નથી.
આપણે બધા આપણા મહેનતુ વડા પ્રધાન બોજો (BOJO) ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના (આપણી આસ્થા કે મૂલ્યો ભલે ગમે તે હોય) કરીએ.
હું લેખનું સમાપન કરું તે પહેલા મને જે આશાની લાગણી થાય છે હું આપ સહુ સાથે વહેંચવા માગું છું.
મારા મિત્રો, જરા પણ હતાશ થશો નહિ. હિંમત જાળવી રાખજો. આ સમય પણ પસાર થઈ જશે. આપણે પીડિત બનવાનું છોડી જ દઈએ. પરિસ્થિતિને વિચારો, તેના હકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, આભારની લાગણી વ્યક્ત કરો અને લોકોની મદદે પહોંચો. સૌથી મહત્ત્વની વાત એ છે કે આનંદમાં રહો. તમે બની શકો તેટલા ખુશ રહો. અત્યારે તો લાફિંગ ક્લ્બ્સ સૌથી વધુ સુસંગત ગણાય. છેક ૧૯૯૫માં પંજાબના એક ગામના મદન કટારિયાએ જેનો આરંભ કર્યો હતો તે ટ્રેન્ડ આજે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે. આપણે આપણી જાત પર હસતા શીખીએ. આપણે જૂના સારા દિવસો યાદ કરીએ અને ભવિષ્યના દિવસો વધુ સારા રહેશે તેનો વિશ્વાસ ધરાવીએ. (ક્રમશઃ)