મહામારીના અંધકાર સામે સામૂહિક પ્રકાશનો સંદેશ

Tuesday 07th April 2020 14:48 EDT
 

પાંચમી એપ્રિલની રાત્રે સમગ્ર ભારત દેશને વગર દિવાળીએ દિવાળીનો અનુભવ થયો જ્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધ પર ભારતીયોએ ઘરની લાઈટો બંધ કરી દીપ, મિણબત્તી, ટોર્ચ અને મોબાઈલની લાઈટ્સ પ્રગટાવી - પ્રસરાવી પ્રકાશનો ઝગમગાટ કરી દીધો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવ મિનિટ દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. વર્ષો પૂર્વે નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશવાસીઓને વચન સાથે હાકલ કરી હતી કે, ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા.’ બરાબર આ જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં કોરોના વાઇરસ મહામારી સામેની લડતમાં જાગૃતિ પ્રસરાવવા દેશવાસીઓ પાસે નવ મિનિટ સુધી લાઈટસ બંધ રાખીને પ્રકાશ રેલાવવાની માગણી કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન મોદીથી માંડી દેશ અને રાજ્યોના પ્રધાનો, વિવિધ ક્ષેત્રની સેલેબ્રિટિઝ, ઉદ્યોગપતિઓ અને અદના ભારતીય નાગરિકો લોકપ્રિય નેતાના અનુરોધને સફળ બનાવવા એકજૂટ બની સંકળાયા હતા. મોદીએ અગાઉ પણ ૨૨ માર્ચે જનતા કરફ્યુ પાળવા સાથે કોરોના મહામારી સામે જંગમાં ખડે પગે સેવારત ડોક્ટર્સ, નર્સીસ, પોલીસ તેમજ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો પ્રત્યે આભાર પ્રદર્શિત કરવા સાંજના પાંચ વાગે તાળીઓ પાડવા, થાળી, ઘંટડી, શંખ વગેરેનો નાદ કરવા હાકલ કરી હતી અને લોકોએ તેમાં ભરપૂર સાથ આપ્યો હતો.
આવી હાકલો સામે પ્રશ્ન ઉઠવા સ્વાભાવિક છે કે દીવા પ્રગટાવવાથી કે તાળી, થાળી - ઘંટ વગાડવાથી કોરોના વાઇરસનો નાશ થઈ જવાનો છે? વિશાળ દેશનો વહીવટ ચલાવનારા વડા પ્રધાન પણ જાણે છે કે આમ થશે નહિ કે થાય પણ નહિ. મુખ્ય મુદ્દો કોરોના મહામારીના જંગમાં લોકોને સાથે જોડવાનો છે, તેમને સાચી સમજ આપવાનો અને સામાજિક જાગૃતિ કેળવવાનો છે. દેશવાસીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમનું મનોબળ મજબૂત બનાવવાની વાત છે.
લોકડાઉનનો સમયગાળો નાગરિકોમાં એકલતા તેમજ આર્થિક ઉપાર્જન સહિતની વિવિધ ચિંતાના કારણોસર નકારાત્મકતા પ્રસરાવે છે તેમ મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓ કહે છે. આવા સમયે તેમની નકારાત્મકતા અને હતાશા-નિરાશા દૂર કરી તેમનામાં હકારાત્મક ઊર્જાસંચાર કરવો જરૂરી હોય છે. પ્રકાશ ઘણી સારી બાબતો – ઈશ્વર, સારા સમય, સુખ-આનંદ, ઉત્સાહ, સ્પષ્ટતા, જ્ઞાન થકી અજ્ઞાન અને અંધકારના નાશનું પ્રતીક છે, જેને મોદીએ આગળ વધાર્યા છે. કોરોના મહામારીના વિકટ સમયમાં વડા પ્રધાન મોદી દેશના વહીવટકારની સાથોસાથ લોકો સાથે સીધો સંવાદ કરીને શ્રેષ્ઠ સંવાદક, પ્રેરણાદાયી ઉપદેશક જેવી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે.
સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર મહામારી સામે લડી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નાછૂટકે કરાયેલા લોકડાઉનનું પાલન કરીએ તે જ હિતાવહ અને યોગ્ય છે. દેશભક્તિ દર્શાવવા માટે બહાર નીકળી પડવું જરૂરી નથી. અગાઉ લોકો, જનતા કરફ્યૂ પછી ઉત્સવ માણવાનો હોય તેમ નીકળી પડ્યા હતા તેથી વડા પ્રધાને દીપપ્રાગટ્ય પછી તેમ નહિ કરવાની સ્પષ્ટ સૂચના આપવાની ફરજ પડી હતી. વર્તમાન સમયની માગ છે કે કોરોના મહામારી સામે લડવા દેશ એક થાય અને દેશની ૧૩૦ કરોડની જનતાએ કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં પણ દેશવાસીઓ એકજૂટ હોવાનો સંદેશ પાઠવ્યો છે. તેમણે કોરોના મહામારીના અંધકાર સામે પ્રકાશ રેલાવી વિશ્વને પણ અદ્ભુત અને સકારાત્મક સંકેત આપ્યો છે.


comments powered by Disqus